ગોરક્ષા માટે લોહીની છેલ્લી બૂંદ સુધી લડી હતી આ ‘વાઘણ’
અમદાવાદ, 27 ઑગસ્ટ : 27મી ઑગસ્ટ, 1993નો દિવસ અહિંસા અને જીવદયા પ્રેમીઓ માટે આઘાતજનક હતો. અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં કેટલાંક હિંસક અને સ્વાર્થી તત્વોએ હિંસાનો જે ખેલ પાડ્યો, તેણે જીવદયા પ્રેમીઓના રુંવાટા ઊભા કરી નાંખ્યાં. તે વખતે આ મુટ્ઠીભર સ્વાર્થી તત્વોને લાગ્યું હશે કે એક ગીતાબેન રાંભિયાને ખતમ કરી દેતાં તેમનો રસ્તો સાફ થઈ જશે, પણ તેમનો બલિદાન લાખો પશુઓ માટે અભયદાન બની ચુક્યો છે. આજે અમદાવાદ શહેર કે ગુજરાતની નવી પેઢી કદાચ ગીતાબેન રાંભિયાને નહીં ઓળખતી હોય, પણ આ એ જ ગીતાબેન હતાં કે જેમણે પોતાના લોહીની આખરી બૂંદ સુધી ગોરક્ષણ માટે કામ કર્યું અને જીવદયા માટે જીવ આપી દીધું.
કોણ હતાં ગીતાબેન? ગીતાબેન રાંભિયા 90ના દાયકામાં સમગ્ર ગુજરાતમાં ગુજરાતી વાઘણ અને ઝાંસીની રાણી તરીકે જાણીતા બન્યા હતાં. ગોવંશ રક્ષણની તેમની ઝુંબેશે જ તેમને ઝાંસીની રાણીનું બિરૂદ અપાવ્યુ હતું, પરંતુ 27મી ઑગસ્ટ, 1993ના દિવસે એટલે કે આજથી 21 વર્ષ અગાઉ ગીતાબેન રાંભિયાનું અમદાવાદના આંબાવાડી સર્કલ પાસે સરાજાહેર ખૂન કરી દેવામાં આવ્યું. જોકે તેમના મોત બાદ પણ તેમનો ધ્યેયમંત્ર સિદ્ધ કરી રહ્યાં છે તેમના પતિ બચુભાઈ રાંભિયા તથા પુત્ર ચૈતન્ય રાંભિયા. ગીતાબેનનું જીવ હત્યા રોકવા માટેનું કાર્ય આજે કારવાં બની ચુક્યો છે.
બચુભાઈ રાંભિયા આજથી 21 વર્ષ અગાઉ થયેલ તે ભયાનક ઘટનાને આજે પણ યાદ તો કરે છે, પણ ગીતાબેનની શહીદી દર વર્ષે તેમની અંદર નવું જોમ પૂરે છે. પત્નીના અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે તેમણે ગીતાબેનના મોત બાદ તરત જ ગીતાબેન રાંભિયા સ્મૃતિ અહિંસા ટ્રસ્ટ તથા ગીતાબેન રાંભિયા પરિવાર ચૅરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને ગીતાબેનના અધૂરા કાર્યોને સતત આગળ ધપાવ્યાં. બચુભાઈનું કહેવું છે કે તેમનો પરિવાર જીવ હિંસા રોકવા માટે કોઈ પણ કુર્બાની આપવા તૈયાર છે. આજે ગીતાબેનની 21મી પુણ્યતિથિ છે અને આજે પણ બચુભાઈ અને ચૈતન્ય બંને ગીતાબેનના કાર્યોને આગળ ધપાવી રહ્યાં છે.
આવો તસવીરો સાથે જાણીએ ગીતાબેન રાંભિયા વિશે :
અમદાવાદને કર્મભૂમિ બનાવી
ગીતાબેન રાંભિયાના બલિદાનના કારણે જ આજે ગુજરાતમાં ગોવંશ પ્રતિબંધ કાનૂન લાગૂ છે. ગીતાબેનનો જન્મ મધ્ય પ્રદેશના જબલપુર ખાતે 30મી જૂન, 1957ના રોજ થયો હતો. મુંબઈથી એમએ કર્યા બાદ ગીતાબેનનું લગ્ન 3જી ડિસેમ્બર, 1977ના રોજ કચ્છ જિલ્લાના રામાણિયા ગામના જૈન યુવાન બચુભાઈ રાંભિયા સાથે થયું. લગ્ન બાદ બંને વ્યવસાય અર્થે ગાંધીધામ સ્થાયી થયાં. ગાંધીધામ ખાતે જ ગીતાબેનને જીવદયા કાર્યોની પ્રેરણા મળી અને તેમણે તેની શરુઆત પણ કરી નાંખી. દરમિયાન 3જી ડિસેમ્બર, 1983ના રોજ અખિલ ભારતીય હિંસા નિવારણ સંઘના મહામંત્રી સુરેશભાઈ ઝવેરીના આમંત્રણ ઉપર ગીતાબેને જીવદયા કાર્યો માટે અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી.
માનદ્ પીઆઈ બન્યાં
અમદાવાદ આવતાં જ ગીતાબેન રાંભિયાની જીવદયા ઝુંબેશ ગતિ પકડવા લાગી. તેમના કાર્યોથી ગુજરાત સરકાર પણ પ્રભાવિત થઈ. ગુજરાત સરકારે નવેમ્બર-1984માં ગેરકાયદે રીતે કતલખાને લઈ જવાતા મૂંગા પશુઓને બચાવવાનું કામ કરવા બદલ ગીતાબેન રાંભિયાને માનદ્ પોલીસ ઇંસ્પેક્ટરની ઉપાધિ આપી. કાનૂનની વર્ધી પહેર્યા બાદ તો જાણે ગીતાબેનનું જીવદયા અભિયાન પુરઝડપે દોડવા લાગ્યું.
કૂતરાઓની હત્યાનો પણ વિરોધ
પોલીસ ઇંસ્પેક્ટર બન્યા બાદ ગીતાબેને 5મી નવેમ્બર, 1984ના રોજ અમદાવાદના પાનકોર નાકા વિસ્તારમાં પાંચ ગાયોને કતલખાને જતી બચાવી જીવદયા કાર્યોની શરુઆત કરી અને આ સિલસિલો જીવન ભર ચાલતો રહ્યો. માત્ર છત્રીસ વર્ષનો જ અલ્પાયુ જીવી શકેલા ગીતાબેને 1 લાખ 65 હજારથી વધુ મૂંગા પશુઓને મોતના મુખેથી બચાવ્યાં. ગીતાબેને પોતાના કાર્યકાળ દરમિયાન અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુરેશી ઢોર બજારમાંથી 137 વાછરડાં બચાવ્યાં, તો 1989માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પકડવામાં આવતાં રખડતા કૂતરાઓની હત્યા પ્રત્યે વિરોધ વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદી બની રિપોર્ટ નોંધાવી.
ઝાંસીની રાણીનું બિરૂદ
ગીતાબેન રાંભિયાના જીવદયા ઝુંબેશ હેઠળ બહુદારીભર્યા કારનામાઓને જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને તેમને ઝાંસીની રાણીનું બિરૂદ આપ્યું. તે વખતના મેયર જયેન્દ્ર પંડિતે ગીતાબેનને ઝાંસીની રાણીનું પુરસ્કાર પણ આપ્યું. તે પછી ગીતાબેન રાંભિયાએ સાબરમતી વિસ્તારમાં જોધપુરની એક માલગાડી થોભાવી તેમાંથી 686 વાછરડાં બચાવ્યાં. 1990માં કચ્છના તૃણા બંદરેથી 1156 ઘેંટા-બકરાઓનું નિર્યાત થતાં રોક્યું.
સગર્ભાવસ્થામાં પણ સક્રિય
ગીતાબેનના જીવદયા પ્રેમની પરાકાષ્ઠાને 7મી જૂન, 1991ના એક બનાવ ઉપરથી સમજી શકાય છે કે જ્યારે તેઓ સગર્ભા હતાં. તેમના પ્રસુતિની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હતી. તે દિવસે તેઓ શહેરના બહેરામપુરા વિસ્તારમાં હતાં કે જ્યાંથી તેમણે 21 વાછરડાઓને કતલખાને જતા બચાવ્યાં. આ કાર્યવાહીના થોડાક જ કલાકો બાદ તેમણે પુત્ર ચૈતન્યને જન્મ આપ્યો.
અને થંભી ગઈ સફર
ઝાંસીની રાણીની આ જીવદયા ઝુંબેશની સફર 27મી ઑગસ્ટ, 1993ના રોજ થંભી ગઈ. તે દિવસે ગીતાબેન રાંભિયાએ શહેરના આસ્ટોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 6 વાછરડાઓને કતલખાને જતા બચાવ્યા હતાં. આ વાછરડાઓને લઈ ગીતાબેન પોલીટેક્નિક ખાતે આવેલ પાંજરાપોળ મૂકવા ગયાં. ત્યાંથી ગીતાબેન જ્યારે પરત ફરી રહ્યા હતાં, ત્યારે જ આંબાવાડી ખાતે આવેલ સી. એન. વિદ્યાલય નજીક કેટલાંક હિંસક તત્વો ગીતાબેનને ઘેરી વળ્યાં. આ હિંસક તત્વોએ ગીતાબેનને છરો ભોંકી તેમની હત્યા કરી નાંખી. તેમની હત્યા બાદ તે સ્થળને મ્યુનિસિપલ કૉર્પોરેશને ગોરક્ષક ગીતાબેન રાંભિયા ચોક તરીકે નામકરણ કર્યું.
બોધપાઠમાં મળ્યું કાનૂન
ગીતાબેનની હત્યા સરકાર અને સમાજમાં બોધપાઠ આપી ગઈ. તેમના બલિદાન બાદ એક માસની અંદર જ તે વખતના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલે 25મી સપ્ટેમ્બર, 1993ના રોજ વિધાનસભામાં ગોવંશ પ્રતિબંધક ઠરાવ પાસ કર્યો. ગીતાનો તે બલિદાન આજે લાખો પશુઓ માટે અભયદાન બની ચુક્યો છે. ગીતાબેનની શહીદી બાદ તેમના પતિ બચુભાઈએ પણ જીવદયાને જ પોતાના જીવનનો ધ્યેય મંત્ર બનાવ્યો અને બે સંગઠનોની સ્થાપના કરી. અત્યાર સુધી બચુભાઈ રાંભિયાના સંગઠનોએ લાખો પશુઓને બચાવ્યાં છે અને આ કામગીરી અવિતર ચાલુ જ છે. ઉપરાંત તેમના સંગઠનો ઈજાગ્રસ્ત-બીમાર પશુ-પક્ષીઓની સારવારનું કામ પણ કરી રહ્યાં છે.