આવો, આ વખતે ઈકો ફ્રેન્ડલી દિવાળી મનાવીએ, જાણો કેવી રીતે?
આવો જાણીએ ઈકો ફ્રેન્ડલી દિવાળી શું છે અને પર્યાવરણ અને આપણી સુરક્ષા માટે તે કેવી રીતે મનાવવી જોઈએ.
ભારતમાં દિવાળી એટલે પ્રકાશ અને ખુશીઓનો સૌથી મોટો તહેવાર. ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે ભારતમાં દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. રોશની, મિઠાઈ, ભેટ, રંગોળી સાથે ઉજવાતી દિવાળીમાં સમગ્ર દેશ કંઈક અલગ જ રંગમાં રંગાઈ જાય છે. પરંતુ સમય આગળ વધતા આ ખુશીઓને મનાવવાની જે રીત લોકો ઉપયોગ કરી રહ્યા છે તેનાથી હવાનુ પ્રદૂષણ અને અવાજનુ પ્રદૂષણ ફેલાય છે તે આપણા સહુના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ બધાથી બચવા માટે આપણે ઈકો ફ્રેન્ડલી દિવાળી મનાવવી જોઈએ. આવો જાણીએ ઈકો ફ્રેન્ડલી દિવાળી શું છે અને પર્યાવરણ અને આપણી સુરક્ષા માટે તે કેવી રીતે મનાવવી જોઈએ.
ઈકો ફ્રેન્ડલી દિવાળી
ઈકો ફ્રેન્ડલી દિવાળી એટલે એવી દિવાળી જે એનવાયરમેન્ટ એટલે કે પર્યાવરણ સાથે ફ્રેન્ડલી હોય. દિવાળીને આપણે એ રીતે મનાવવી જોઈએ જેથી પર્યાવરણને કોઈ નુકશાન ન થાય. આમાં એવા કોઈ પણ કેમિકલ, ફટાકડા કે વસ્તુનો ઉપયોગ કરવામાં નથી આવતો જેનાથી પ્રદૂષણ ફેલાય અને પર્યાવરણને નુકશાન કરે. ઈકો ફ્રેન્ડલી દિવાળી મનાવવા માટે એવી ઘણી રીતે છે જેથી આપણે વધુ સારી રીતે દિવાળી મનાવી શકીએ છીએ આવો જાણીએ.
સૌથી પહેલા ફટાકડાને કહો ‘ના'
આમ જોવા જઈએ તો દિવાળીમાં નાનાથી માંડી મોટાને સૌથી વધુ ક્રેઝ ફટાકડાનો જ હોય છે. પરંતુ ફટાકડામાં રહેલા કેમિકલ અને ઝેરી તત્વો તેમજ તેનાથી થતુ અવાજનુ પ્રદૂષણ પર્યાવરણ અને આપણા માટે ખતરનાક અને જાનલેવા બની શકે છે. ફટાકડાની ખરાબ અસરને જોતા સુપ્રીમ કોર્ટે દિલ્લી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પણ વાંચોઃ દોસ્તને બ્રેકઅપમાંથી ઉગારવા માટે આ રીતે કરો તેની મદદ
માટીના બનેલા દીવાનો ઉપયોગ કરો
પરંપરા મુજબ દિવાળીમાં માટીના દીવાને જ ઉપયોગમાં લેવા જોઈએ. જૂનવાણી વિચારોના નામ આપણે ભલે માટીના દીવા ઉપયોગમાં ન લઈએ પરંતુ તે પર્યાવરણ માટે તેમજ માટીના દીવા બનાવતા સ્થાનિક કારીગરોની દિવાળી સુધારવામાં પણ આપણે સહાયક બની શકીએ છીએ. શાળા અને કોલેજોમાં પણ બાળકોને માટીના દીવાને રંગોથી સજાવવાની પ્રવૃત્તિ કરાવી તેમને માટીના દીવાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે.
રંગોળી બનાવવા માટે ઑર્ગેનિક રંગોનો ઉપયોગ કરો
દિવાળીમાં ઘરના આંગણે રંગોળી બનાવવાનુ અનેરુ માહાત્મ્ય છે. લોકો વિવિધ રંગોથી રંગોળી બનાવતા હોય છે. પરંતુ આપણે એવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ જેમાં કેમિકલનો ઉપયોગ ના થયો હોય. ફૂલો, વિવિધ ચિત્રો વગેરેથી પણ રંગોળી બનાવવી જોઈએ.
જૂની વસ્તુઓ જરૂરતમંદોને દાનમાં આપો
દિવાળી વખતે જ્યારે આપણે ઘરની સફાઈ કરીએ ત્યારે ઘણી એવી વસ્તુઓ નીકળે છે જે આપણા કામની નથી રહી હોતી, જૂની થઈ ગઈ હોય. આવી વસ્તુઓ આપણે ફેંકી દેવાના બદલે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપવી જોઈએ. આ રીતે ઘરની સફાઈની સાથે સાથે કોઈને મદદ કરવાનો આનંદ પણ આપણે મેળવી શકીએ છીએ.
પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો
આ દિવાળીમાં આપણે સંકલ્પ લેવો જોઈએ કે પ્લાસ્ટિકના બદલે હાથે બનાવેલા પેપર રેપિંગ તેમજ કપડાના થેલીનો ઉપયોગ કરીશુ.
કચરાનો યોગ્ય નિકાલ કરો
તહેવારના આનંદ અને ઉમંગ સાથે સાથે તે ખતમ થવા સુધીમાં ચારે તરફ એટલો કચરો પણ એકઠો થઈ જતો હોય છે અને તેમાં પણ દિવાળીમાં તો ફટાકડા તેમજ ઘરની સફાઈનો કચરો એટલો વધી જતો હોય છે કે જો તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવે તો પર્યાવરણને નુકશાન થાય છે.
મિઠાઈ અને ભેટમાં શું આપશો
બહાર મળતી કેમિકલ યુક્ત અને ગંદકીથી ભરપૂર મિઠાઈઓ આપવાના બદલે ઘરમાં જાતે બનાવેલી મિઠાઈ સ્વજનોને આપવી જોઈએ. વળી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીઝ ન થાય તેનુ ધ્યાન રાખીને વધુ સારા વિકલ્પ તરીકે ભેટમાં હવા શુદ્ધ કરતા છોડ, રસોડાના છોડ, ફેંગ શૂઈ, ખાદીના કપડા કે ડ્રાય ફ્રૂટ્સ પણ આપી શકાય છે.