ગુજરાત ચૂંટણીઃ 'ચેલા'થી કામ ચાલશે? 'ગુરુ'નું શું?
આતંકવાદી હુમલાની સરખામણીની વાત કરીએ, તો અફજલ ગુરુએ લોકશાહીના મંદિર ઉપર હુમલો કર્યો હતો. તેથી તેની સામે મુંબઈ હુમલાનો આતંકવાદી કસાબ ચેલો જ કહેવાય. એવામાં ગુજરાતની ચુંટણીઓમાં જો કોંગ્રેસ ચેલાનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરશે, તો મોદીએ ગુરુ દ્વારા કોંગ્રેસને ઘેરવાની તૈયારી કરી નાંખી છે.
એક રીતે જોઇએ તો કસાબને ફાંસી આપ્યાના અમુક કલાકોમાં જ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું કે, અજમલ કસાબને ફાંસી આપીને સરકારે સારું કામ કર્યું છે. પરંતું અફજલ ગુરુને ફાંસી ક્યારે આપવામાં આવશે. મોદીએ આ મુદ્દો છેડીને સ્પષ્ટ ઇશારો કરી આપ્યો છે કે તેમને કસાબના કાસળથી સંતોષ હોય તો પણ તેઓ અફજલ ગુરુ મુદ્દે કોંગ્રેસની અધૂરપનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે.
આ એ જ અફઝલ ગુરુ છે કે જેણે સંસદ ઉપર હુમલો કર્યો હતો અને તે 2007ની ચૂંટણીમાં પણ ખુબ ગાજ્યો હતો. એ ચૂંટણીમાં કોંગ્રેસ એક બાજુ કંધાર કાંડ અને મૌલાના મસૂદ અઝહરનો મુદ્દો ચગાવતી હતી તો જવાબમાં મોદી ગુરુનો મુદ્દો ઉપાડી કોંગ્રેસને ઘેરતા હતા. હાલની પરિસ્થિતિ જોતા ફરી એકવાર ગુજરાતની ચૂંટણીમાં આતંકવાદ મોટો મુદ્દો બની શકે છે. કોંગ્રેસ કસાબને ફાંસીના મુદ્દે જસ ખાટવાનો પ્રયત્ન કરી શકે છે. મોદીને એ વાતનો અણસાર આવી ગયો અને તેમણે ટ્વિટર પર અફઝલ ગુરુનો મુદ્દો ઉપાડી કોંગ્રેસને જવાબ આપવાની તૈયારી કરી નાંખી.