કુંભ મેળાનું બજેટ મહાકુંભ કરતાં પણ ત્રણ ગણું વધારે છે
મંગળવારે મકર સંક્રાંતિના તહેવાર સાથે કુંભ મેળાની શરૂઆત થઇ ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે અલ્હાબાદના સંગમ શહેરમાં થતા કુંભ મેળા માટે 4200 કરોડનું બજેટ ફાળવ્યું છે.
મંગળવારે મકર સંક્રાંતિના તહેવાર સાથે કુંભ મેળાની શરૂઆત થઇ ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે અલ્હાબાદના સંગમ શહેરમાં થતા કુંભ મેળા માટે 4200 કરોડનું બજેટ ફાળવ્યું છે.
આ અત્યાર સુધીની સૌથી વધુ બજેટ ફાળવણી છે. 2013 માં મહાકુંભ માટે ફાળવવામાં આવેલા બજેટ કરતાં આ ત્રણ ગણું વધુ છે. 2013 માં મહાકુંભ માટે ઉત્તર પ્રદેશ સરકારે 1300 કરોડનું બજેટ ફાળવ્યું હતું.
આ પણ વાંચો: પ્રયાગરાજ કુંભ 2019: સ્મૃતિ ઈરાનીએ સંગમમાં લગાવી ડુબકી
જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના નાણાં પ્રધાન રાજેશ અગ્રવાલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રાજેશ અગ્રવાલે કહ્યું કે આ સિવાય પણ કેટલાક અન્ય વિભાગોએ આ મેગા ઇવેન્ટ માટે બજેટ ફાળવ્યું છે.
કુંભ મેળા માટે વિસ્તાર પણ થયો બમણો
આ વર્ષે કુંભ મેળા માટે માત્ર બજેટમાં વધારો થયો નથી, વિસ્તાર પણ લગભગ બમણો થઈ ગયો છે. આ વર્ષે કુંભ મેળો 3200 હેક્ટરમાં થઈ રહ્યો છે. અગાઉ તે 1600 હેકટરમાં થતો હતો.
12 વર્ષે આવે છે કુંભ મેળો
હિન્દુ પૌરાણિક કથાઓમાં કુંભ મેળાનું વર્ણન જોવા મળે છે. આ વિશ્વનો સૌથી મોટો મેળો છે જ્યાં મોટા ભાગના લોકો ભેગા થાય છે. આ મેળામાં 48 દિવસોમાં કરોડો લોકો ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ પર સ્નાન કરે છે.
સ્નાન કરનારા લોકોમાં સાધુઓ, સંતો, સાધ્વી, કલ્પવાસી લોકો થી લઈને સામાન્ય લોકો પણ હોય છે. અર્ધકુંભ દર છ વર્ષ થાય છે અને કુંભ મેળો દર 12 વર્ષે થાય છે. વર્તમાન યોગી આદિત્યનાથની સરકારે અર્ધકુંભને કુંભ અને કુંભને મહાકુંભ નામ આપ્યું છે.
કુંભનું પૌરાણિક મહત્વ
આમ તો કુંભ અંગે જાતભાતની પૌરાણિક કથાઓ છે. એક વાત છે, દેવ અને દાનવોની. કહેવાય છે કે મહર્ષિ દુર્વાસાના શ્રાપ આપ્યા બાદ ઈન્દ્ર સહિત અન્ય દેવતાઓ નબળા થઈ ગયા હતા. બાદમાં દાનવોએ દેવતાઓ પર હુમલો કરી તેમને પરાજિત કર્યા. છેલ્લે તમામ દેવતાઓ મળીને ભગવાન વિષ્ણુ પાસે પોતાની સમસ્યાના નિવારણ માટે ગયા.
વિષ્ણુ ભગવાને તેમને દાનવો સાથે મળીને ક્ષીરસાગરમાંથી અમૃત કાઢવાનું કહ્યું. દેવતાઓએ ભગવાન વિષ્ણુની વાત માની અને ઈન્દ્ર પુત્ર 'જયંત'ને અમૃત કળશ લઈને આકાશમાં ઉડી જવા ઈશારો કર્યો. બાદમાં રાક્ષસોએ જયંતનો પીછો કર્યો અને લાંબા સમય બાદ જયંતને અધવચ્ચે જ પકડી પાડ્યો. અમૃત કળશ માટે દેવ અને દાનવો વચ્ચે સતત યુદ્ધ થયું.
12 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધ દરમિયાન પૃથ્વી પર ચાર સ્થળોએ અમૃત ઢોળાયું. આ 4 સ્થળ એટલે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક. કહેવાય છે કે દેવતાઓના આ 12 દિવસ માનવી માટે 12 વર્ષ બરાબર હતા. એટલે પૃથ્વી પર દર 12 વર્ષે કુંભનું આયોજન થાય છે.