રથાયાત્રાઃ જગન્નાથ, બલરામ અને સુભદ્રાના આ રૂપની પૌરાણિક કથા
રથયાત્રામાં શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાનું જે રૂપ જોવા મળે છે, એ પાછળની પૌરાણિક કથા જાણો અહીં..
ભારતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ઓરિસ્સાના પુરી શહેરની સાથે જ અન્ય શહેરોમાં પણ રથયાત્રા કાઢવામાં આવે છે. 25 જૂન, 2017ના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 140 રથયાત્રા નીકળી છે. આજે ભગવાન જગન્નાથ ગોવાળ વેશમાં નગરયાત્રાએ નીકળ્યા ત્યારે 'જય જગન્નાથ'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
રથયાત્રાનું પૌરાણિક મહત્વ પણ ઘણું છે. રથયાત્રામાં શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાનું જે રૂપ જોવા મળે છે, એ પાછળની પૌરાણિક કથા ખૂબ જ રસપ્રદ છે. આ કથામાં પણ શ્રીકૃષ્ણ અને રાધાના પ્રેમનો ઉલ્લેખ છે.
શ્રીકૃષ્ણ ઊંઘમાં બોલી ગયા રાધાનું નામ
દ્વારકામાં પોતાની રાણીઓ સાથે સુખમય જીવન પસાર કરી રહેલાં શ્રીકૃષ્ણ એકવાર ઊંઘમાં રાધાનું નામ બોલી ગયા. રૂક્મણી સહિત તમામ રાણીઓને ભારે આશ્ચર્ય થયું. રૂક્મણીએ વૃંદાવનની રાધા અને શ્રીકૃષ્ણની મૈત્રી અંગે સાંભળ્યું હતું, પરંતુ તેમને ઝાઝી જાણકારી નહોતી. આથી સૌ રાણીઓએ માતા રોહિણીને વિનંતી કરી કે, તેઓ તેમને કૃષ્ણ અને રાધાની રાસલીલાની વાર્તા જણાવે.
માતા રોહિણીની શરત
માતા રોહિણીએ રાણીઓ સામે શરત મુકી કે, તેઓ રાણીઓને રાધા અંગે ચોક્કસ કહેશે, પરંતુ શ્રીકૃષ્ણ અને બલરામ મહેલમાં ન આવવા જોઇએ. માતા રોહિણી અને રાણીઓએ સુભદ્રાને રાજમહેલના દ્વાર પર ધ્યાન રાખવા બેસાડ્યા. માતા રોહિણીએ રાધા-કૃષ્ણની વાર્તા શરૂ કરી. સુભદ્રા પણ દરવાજે કાન રાખી આ વાર્તા સાંભળવા લાગ્યા.
કૃષ્ણ-બલરામને સુભદ્રાએ રોક્યા
એ જ સમયે કૃષ્ણ અને બલરામ ત્યાં આવી પહોંચ્યા. તેમણે રાજમેહલમાં જવાનો પ્રયાસ કરતાં સુભદ્રાએ તેમને રોક્યા. અંતે કૃષ્ણ અને બલરામ પણ સુભદ્રા સાથે મળીને દરવાજા પર કાન લગાવી વાર્તા સાંભળવા લાગ્યા. સુભદ્રા, કૃષ્ણ અને બલરામ પર માતા રોહિણીના કથારસ અને ભક્તિની એવી અસર થઇ કે, ત્રણેયના હાથ અને પગ સંકોચાવા લાગ્યા અને આંખો મોટી થવા માંડી.
નારદ મુનિને વરદાન
એ જ સમયે નારદ મુનિ ત્યાં આવી પહોંચ્યા. તેઓ ત્રણેયના આ રૂપનું દર્શન કરીને આશ્ચર્ય પામ્યા. નારદ મુનિના આગમનથી ત્રણેયના આકાર ફરી સામાન્ય થઇ ગયા. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને આજીજી કરી કે, તેઓ પોતાનું આ રૂપ જગતને બતાવે. શ્રી કૃષ્ણના મુખમાંથી શબ્દો સરી પડ્યા, તથાસ્તુ. શ્રી કૃષ્ણએ નારદ મુનિને વચન આપતાં કહ્યું કે, તેઓ ત્રેતાયુગમાં જગતને પોતાનું આ રૂપ બતાવશે.