છેલ્લાં કેટલાંક સમયથી મોદી પોતાની ચૂંટણી સભાઓની વચ્ચે થોડોક થોડોક સમય કાઢીને કેટલીક ન્યૂઝ ચેનલ્સને પોતાના ઇન્ટરવ્યૂ આપી રહ્યાં છે. જેમાં તેઓ પોતાના વિકાસલક્ષી વિઝન, પાકિસ્તાન સંબંધિત, દાઉદ સંબંધિત મુદ્દાઓ સહિતની બાબતો પર પોતાનો મત વ્યક્ત કરી રહ્યાં છે. આવો જ એક ઇન્ટરવ્યૂ તેમણે આજ તક ચેનલને આપ્યો હતો. ચેનલને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં મોદીએ ચેનલ દ્વારા પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના સારી રીતે પોતાના લાક્ષણિક અંદાજમાં જવાબ આપ્યા, પરંતુ આ બધાની વચ્ચે તેઓ કેટલાંક પ્રશ્નોના જવાબમાં એક એવા શબ્દનો પ્રયોગ વાંરવાર કરી રહ્યાં હતા, જે ચેનલના એક પત્રકાર અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને કંઇક જૂની યાદો તાજી કરાવી દીધી હશે, જેને ભૂલી જવાનું જ તેમણે પંસદ કર્યું હતું.
તમને કદાચ યાદ હોય તો ચેનલના પત્રકાર પૂણ્ય પ્રસુન વાજપયીએ અરવિંદ કેજરીવાલનો ઇન્ટરવ્યૂ લીધો હતો. ઇન્ટરવ્યૂ પૂરો થયા બાદ વાજપયીએ કેજરીવાલને ઘણાં જ ક્રાન્તિકારી ગણાવ્યા હતા. જેનો વીડિયો લીક થયો હતો અને તેને લઇને કેટલીક ન્યૂઝ ચેનલ્સ દ્વારા પેઇડ મીડિયા ગણાવી તેમના પર પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. જોકે, સમય વિતતા કદાચ ચેનલ અને કેજરીવાલ ભૂલી ગયા હશે, પરંતુ મોદી એ વાતને ભૂલ્યા નહોતા. સાચા સમયે સાચો રાજકીય સ્ટ્રોક ફટકારવા માટે જાણીતા મોદીએ ઇન્ટરવ્યૂ દમરિયાન પોતાનો એ સ્ટ્રોક ફટકાર્યો હતો. જેના થકી તેમણે કેજરીવાલના એ દર્દને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઇન્ટરવ્યૂ દરમિયાન નરેન્દ્ર મોદીને ગૌતમ અદાણી, પ્રિયંકા ગાંધી, લઘુમતીઓમાં ભય સહિતના કેટલાંક પ્રશ્નો પૂછ્યા હતા. જેના જવાબ આપતી વખતે નરેન્દ્ર મોદીએ પોતાના લાક્ષણિક અંદાજમા આવીને પોતાના જવાબોની સાથે ચેનલને તેની એ યાદો તાજી કરાવતા વારંવાર ક્રાન્તિકારી શબ્દનો ઉપયોગ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં પરંતુ ઇન્ટરવ્યૂ પૂર્ણ થતી વેળા પર તેમણે ક્રાન્તિકારી ચેનલને ધન્યાવાદ કહ્યાં હતા. ઇન્ટરવ્યૂ દરમિયાન મોદી જે રીતે ક્રાન્તિકારી શબ્દ બોલી રહ્યાં તેને નિહાળતા પણ એવું જ લાગી રહ્યું હતું કે તેઓ જાણી જોઇને આ ચેનલને ક્રાન્તિકારી કહી રહ્યાં છે.
તમે લોકો ક્રાન્તિકારી કામ કરો
આજ તકને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂ દરમિયાન ઉપસ્થિત પત્રકારો દ્વારા નરેન્દ્ર મોદીને ગૌતમ અદાણીને આપવામાં આવેલી જમીન અંગે પ્રશ્ન પૂછ્યો હતો. પત્રકારોએ કહ્યું હતું કે તમારા દ્વારા ગૌતમ અદાણીને 8.32 રૂપિયે પર સ્કેવરના ભાવે જમીન આપવામાં આવી છે, જ્યારે અન્ય ઉદ્યોગપતિઓને શા માટે આપવામાં આવી નથી. જેનો ઉત્તર સામાન્ય રીતે મોદી એમ કહીને આપી શક્યા હોત કે જમીન અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન તૈયાર છે, જેને તમે તમારી ચેનલ થકી દર્શાવી શકો છો, પરંતુ તેમણે ચાબખા મારતા કહ્યું હતું કે તમે એક ક્રાન્તિકારી ચેનલ છો અને એક ક્રાન્તિકારી કામ કરો. તમારી ચેનલ પર એ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દર્શાવો.
તમે ક્રાન્તિકારી મીડિયા છો
ત્યારબાદ આજ તકના પત્રકારો દ્વારા નરેન્દ્ર મોદીને પ્રિયંકા ગાંધી સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેનો પણ તેઓ સીધો જવાબ આપી શકતા હતાં પરંતુ તેમણે ચેનલના અરવિંદ કેજરીવાલ અને પૂણ્યપ્રસુન વાજપયીના ઇન્ટરવ્યૂ દરમિયાનના ક્રાન્તિકારી શબ્દને હથિયાર બનાવી આ પ્રશ્નનો ઉત્તર પણ કંઇક આ રીતે આપ્યો હતો. તેમણે કહ્યું કે, તમે ન્યૂટ્રલ મીડિયા છો કે ન્યૂઝ ટ્રેડર્સ, જેના જવાબમાં પત્રકારોએ ન્યૂટ્રલ મીડિયા કહ્યું અને બાદમાં મોદીએ ચાબખા મારતા કહ્યું, મારા એ ઇન્ટરવ્યૂનો વીડિયો તમારી પાસે હશે, તેને દર્શાવો અને આમ પણ તમે કહો છો કે તમે ક્રાન્તિકારી મીડિયા છો, તો પછી તેને ટીવી પર દર્શાવો, જનતા જાતે જ નિર્ણય કરી લેશે.
ક્રાન્તિકારી ચેનલનું જ્ઞાનવર્ધન કરું
મોદીએ પોતાના ઇન્ટરવ્યૂમાં આ ત્રીજીવાર ક્રાન્તિકારી શબ્દનો પ્રયોગ કરીને ચેનલ પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા. ચેનલના પત્રકારો દ્વારા મોદીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે લોકતંત્રનું એક બેરોમીટર હોય છે કે લઘુમતીઓ કેવી રીતે રહેશે. જ્યારે એવું કહેવાય છે કે લઘુમતીઓમાં તમારો ભય છે. જેના જવાબમાં મોદીએ ચાબખાત્મક અદાંજમાં કહ્યુ હતુ, ''હું આ ક્રાન્તિકારી ચેનલનું જ્ઞાનવર્ધન કરવા માગું છું. લોકતંત્રમાં દરેક વ્યક્તિનું સન્માન થવું જોઇએ. દરેકનો અવાજ સંભળાવવો જોઇએ. એ લોકતંત્ર છે, તેથી તમે આ રીતે કોઇને ભ્રમિત કરવાનું કામ ના કરો.''
ક્રાન્તિકારી ચેનલને ધન્યવાદ
હવે સમય હતો ઇન્ટરવ્યૂ પૂર્ણ થવાનો. નરેન્દ્ર મોદી દ્વારા ચેનલને ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યો તે બદલ પત્રકારોએ તેમનો આભાર માન્યો હતો, જેના જવાબમાં પણ મોદી ચેનલ પર ચાબખા મારવાનું ભૂલ્યા નહીં અને જતાં જતાં કહી દીધું કે આ ક્રાન્તિકારી ચેનલનો ધન્યવાદ. આમ મોદીએ જ્યારે તક મળી ત્યારે કેજરીવાલ અને પૂણ્ય પ્રસુન વાજપયી વચ્ચેની વાતચીતનો જે વીડિયો લીક થયો હતો અને જેમાં વાજપયી દ્વારા વારંવાર બહુત ક્રાન્તિકારી....બહુત ક્રાન્તિકારી એમ કહેવામાં આવ્યું હતું, એ વાતને લઇને ચેનલ પર પ્રહાર કરવાનું ચૂક્યા નહોતા.
આજતક પર મોદીનો ઇન્ટરવ્યુ
આ વીડિયો આજતક પરના મોદીના ઇન્ટરવ્યુનો છે. કેજરીવાલ અને વાજપાયીનો વીડિયો જોવા નેક્સ્ટ સ્લાડ પર ક્લીક કરો.
બહુત ક્રાન્તિકારી
તમને યાદ હોય તો યુટ્યૂબ પર એક વીડિયો ફરતો થયો હતો, જેમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને આજતક ચેનલના પત્રકાર પૂણ્ય પ્રસુન વાજપયીની વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી. જેમાં અરવિંદ કેજરીવાલને તેઓ કેટલાંક સૂચન કરી રહ્યાં હતા અને કેજરીવાલ ભગતસિંહવાળા ભાગને વધારે દર્શાવવાનું કહી રહ્યાં હતા, ત્યારે ચેનલના પત્રકારે અરવિંદ કેજરીવાલના વિચારોને ઘણા જ ક્રાન્તિકારી ગણાવ્યા હતા. જેની ખાસ્સી એવી ચર્ચા થઈ હતી.