જન્માષ્ટમી 2018: માત્ર રાધાને જ પ્રેમ કરતા હતા કૃષ્ણ
ભગવાન શ્રી કૃષ્ણ વિશેની આ બાબતેથી બહુ ઓછા લોકો પરિચિત હશે.
3 સપ્ટેમ્બરે જન્માષ્ટમીનો તહેવાર છે ત્યારે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ તો કનૈયાની કેટલીય એવી વાતો છે જે સૌકોઈનું દિલ જીતી લે અને જીવનની સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે પરંતુ કેટલીય એવી વાતો પણ છે જેમના વિશે લોકો બહુ ઓછું જાણે છે, ત્યારે કાન્હાની આવી જ કેટલીક વાતો વિશે આજે વાત કરીએ...
વિષ્ણુનો 8મો અવતાર છે ભગવાન કૃષ્ણ
ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુના 8મા અવતાર છે, જેમને કન્હૈયા, શ્યામ, કેશવ, દ્વારકેશ, દ્વારકાધીશ, વાસુદેવ સહિતના નામોથી ઓળખવામાં આવે છે. કૃષ્ણને કર્મયોગી, આદર્શ દાર્શનિક, સુસજ્જન મહાન પુરુષ માનવામાં આવે છે જેમનો જન્મ દ્વાપરયુગમાં થયો હતો, જેમને આ યુગના સર્વશ્રેષ્ઠ પુરુષ યુગપુરુષ અથવા યુગાવતારનું સ્થાન આપવામાં આવ્યું છે.
મોટાભાઈનું નામ બલરામ
કૃષ્ણના મોટાભાઈનું નામ બલરામ હતું જેઓ શેષનાગના અવતાર હતા. બલરામનો જન્મ અષ્ટમીના બે દિવસ પહેલાં એટલે કે છઠ્ઠના દિવસે થયો હતો, જેને આખો દેશ રાંધણ છઠ્ઠના રૂપે મનાવે છે. જેના બે દિવસ બાદ ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો.
જગતગુરુનું સન્માન આપવામાં આવે છે
કૃષ્ણને સમકાલીન મહર્ષ વેદવ્યાસ દ્વારા રચિત શ્રીમદ્ભગવત અને મહાભારતમાં કૃષ્ણના ચરિત્ર વિશે વિસ્તૃત રૂપે લખવામાં આવ્યું છે. ભગવદ્ ગીતા કૃષ્ણ અને અર્જુનો સંવાદ છે જે ગ્રંથ આજે પણ વિશ્વભરમાં લોકપ્રિય છે. આ કૃતિ માટે કૃષ્ણને જગતગુરુનું સન્માન પણ આપવામાં આવે છે. આમ તો કૃષ્ણ વાસુદેવ અને દેવકીનું આઠમું સંતાન હતા. મથુરાના કારાવાસમાં એમનો જન્મ થયો હતો અને ગોકુળમાં એમનો ઉછેર થયો હતો. યશોદા અને નંદ કૃષ્ણના પાલક માતા-પિતા હતા. ગોકુળમાં જ ભગવાન કૃષ્ણનું બાળપણ વ્યતિત થયું. મથુરા આવીને તેમણે મામા કંસનો વધ કર્યો હતો.
માત્ર રાધાને જ પ્રેમ કર્યો
બધા જાણે જ છે કે ભગવાન કૃષ્ણએ માત્ર રાધાને જ પ્રેમ કર્યો હતો છતાં મહાભારત, પુરાણો કે ભાગવતમાં ક્યાંય રાધાનો ઉલ્લેખ નથી મળતો. દંતકથાઓ મુજબ રાધાજી બરસાનાના રહેવાસી હતાં, બહુ ઓછા લોકો જાણતા હશે કે રાધાજી કૃષ્ણથી ઉંમરમાં મોટાં હતાંય
અર્જુનના સારથી બન્યા કૃષ્ણ
ભગવાન કૃષ્ણના ધનુષનું નામ શારંગ અને અસ્ત્રનું નામ સુદર્શન ચક્ર હતું. ભગવાન શ્રી કૃષ્ણની ગદાનું નામ કૌમોદકી અને શંખને પાંચજન્ય તરીકે ઓળખવામાં આવતો હતો. મહાભારતના યુદ્ધમાં તેમણે અર્જુનના સારથીની ભૂમિકા નિભાવી હતી અને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું હતું જે તેમના જીવનની સર્વશ્રેષ્ઠ રચના માનવામાં આવે છે. 125 વર્ષોના જીવનકાળ બાદ એમણે પોતાની લીલા સમાપ્ત કરી. કલિયુગ ક્યારે શરૂ થયો તે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે, પણ ભગવાન કૃષ્ણના મૃત્યુના તુરંત બાદ કલિયુગનો પ્રારંભ થયો હોવાનું માનવામાં આવે છે. આ પણ વાંચો-કૌરવોનો સાથ આપનાર કર્ણને શ્રીકૃષ્ણએ આપ્યા હતા ત્રણ વચન