શા માટે, શિવની છાતી પર કાળિકા માતા રાખે છે પગ?
કાળિકા માતાને શક્તિના સૌથી વિનાશક અને વિકરાળ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. માતાજીને કાળો ચહેરો, લાલ આંખો અને ચાર હાથ છે. તેમના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં રાક્ષસનું કપાયેલું માથું હોય છે. જ્યારે અન્ય બે હાથો તેમના ભક્તોને આશિર્વાદ આપે છે. તેમણે વસ્ત્રોના બદલે સંહાર કરેલા રાક્ષસોના અંગોથી પોતાનું અંગ ઢાકેલું છે.
આ ઉપરાંત તેમની જીભ પણ બહાર નીકળેલી છે. સૌથી મહત્વની બાબત એ છે કે કાળિકા માતાએ ભગવાન શિવની છાતી પર પોતાનો પગ મુકેલો છે, જે તેમના પતિ છે. તેની પાછળ એક રસપ્રદ સ્ટોરી છૂપાયેલી છે કે આખરે શા માટે રાક્ષસોનો સંહાર કર્યા પછી ક્રોધિત કાળિકા માતા પોતાનો પગ ભગવાન શિવની છાતી પર રાખે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ રસપ્રદ કહાણીને.

રક્તબીજનો આતંક
એક શક્તિશાળી રાક્ષસ રક્તબીજનો આતંક વધી ગયો હતો. તેની પાસે એવી જાદૂઇ શક્તિ હતી કે જો તેના લોહીનું એક ટીપું પણ જમીન પર પડે તો તેનો હમશકલ રાક્ષસ જન્મ લેતો હતો. જેના કારણે દેવો આ રાક્ષસને રોકવામાં અસમર્થ થાય છે અને અંતે તે દેવી દૂર્ગા પાસે જાય છે અને આ રાક્ષસનો સંહાર કરવા માટે કહે છે.

ત્યારે ધર્યો કાળિકાનો અવતાર
માતા દૂર્ગાએ પોતાના તમામ શસ્ત્રોનો ઉપયોગ એ રાક્ષસના સંહારમાં લગાવી દીધો પરંતુ જ્યારે પણ એ રાક્ષસ પ્રહાર થતો અને તેના શરીરમાંથી લોહીનું ટીપું નીચે પડતાં જ તેનો હમશકલ રાક્ષસ જન્મ લઇ લેતો. આમ રક્તબીજની એક આખી સેના ઉભી થઇ ગઇ, જેને કાબુમાં કરવા માટે દૂર્ગા માતા દ્વારા કાળિકાનું રૂપ ધારણ કરવામાં આવ્યું. તેમણે રાક્ષસોનો સંહાર શરૂ કર્યો અને એ રાક્ષસોના લોહીને પી ગયા જેથી લોહીનું એક પણ ટીપું જમીન પર પડે નહીં. આમ કરીને તેમણે રક્તબીજ અને તેની આખી આર્મીનો સંહાર કરી નાંખ્યો.

ક્રોધિત કાળિકા થયા બેકાબુ
રાક્ષસોના લોહી પીધા બાદ કાળિકા એટલા ક્રોધિત હતા કે તેઓ નૃત્ય કરવા લાગ્યા અને ભૂલી ગયા કે તેમણે બધા જ રાક્ષસોને મારી નાંખ્યા છે, તેઓ નિર્દોષ લોકોને પણ મારવા લાગ્યા. કાળિકાના આ વિનાશક રૂપને જોઇને દેવો ભયભીત થઇ ગયા. તેઓ તુરંત ભગવાન શિવ પાસે ગયા. માત્ર શિવ જ એવા હતા કે તેઓ આ તબક્કે કાળિકાને રોકી શકે એમ હતા.

...તેથી શિવ સુઇ ગઇ જમીન પર
તેથી ભગવાન શિવ એ સ્થળે ગયા જ્યાં ક્રોધાવેશમાં બેકાબુ બનીને કાળિકા નૃત્ય કરી રહ્યાં હતા. ત્યાં જઇને તેઓ જમીન પર સુઇ ગયા. નૃત્ય કરતાં-કરતાં કાળિકાનો પગ ભગવાન શિવની છાતી પર પડ્યો, તુરંત જ કાળિકાને ભાન થયું કે તેમના દ્વારા ખોટું થઇ ગયું છે અને તુરંત તેમના મુખમાંથી જીભ બહાર આવી ગઇ હતી અને તેમણે છાતી પરથી પગ હટાવી લીધો હતો.

કાળિકા માતા આવી ગયા પોતાના અસલ રૂપમાં
બાદમાં તેઓ શરમિંદા થયા કે તેઓ તેમના પતિનું જ લોહી પીવા જઇ રહ્યાં હતા અને તેઓ તુરંત પોતાના અસલ રૂપમાં આવી ગયા હતા અને વિનાશ કરવાનું બંધ કરી દીધું હતું. આ ઉપરાંત કાળિકાના પગ નીચે શિવનું સુઇ જવું એ ઘટના એ વાતનું પણ સ્પષ્ટિકરણ કરે છે કે, કાળિકા અથવા તો શક્તિ વગર શક્તિશાળી વ્યક્તિ પણ શક્તિવિહોણાં થઇ જાય છે.












Click it and Unblock the Notifications
