ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારે ઝાડુ વડે કરી સફાઇ
અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ 'ટૉયલેટ એક પ્રેમ કથા'ના પ્રમોશન દરમિયાન લખનઉમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથને મળ્યા હતા.
અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની આગામી ફિલ્મ 'ટૉયલેટ એક પ્રેમ કથા'એ શરૂઆતથી જ લોકોમાં ઉત્સુકતા ઊભી કરી છે. હાલ આ બંન્ને સ્ટાર્સ પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન સાથે જ તેઓ શૌચાલયની સુવિધા અને સ્વચ્છતા અંગે પણ લોકોને જાગૃત કરી રહ્યાં છે. એવામાં શુક્રવારે સવારે પ્રમોશન માટે ઉત્તર પ્રદેશ પહોંચેલ અક્ષય કુમાર અને ભૂમિએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ખાસ મુલાકાત કરતાં ફરી ચર્ચા ઊભી થઇ છે. અક્ષય કુમાર જે રીતે સ્વચ્છતાનો પ્રચાર કરી રહ્યાં છે, એને જોતાં જલ્દી જ તેમને આ અભિયાનના બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવે તો પણ નવાઇ નહીં!
અક્ષય કુમારની ફિલ્મ ટેક્સ ફ્રી
અક્ષય કુમારની આ મુલાકાત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ ફિલ્મ ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવાનો આદેશ આપ્યો હતો. આટલું જ નહીં, અક્ષય કુમાર સાથે યોગી આદિત્યનાથ અને આખું મંત્રીમંડળ 'ટૉયલેટ એક પ્રેમ કથા' જોનાર છે. લખનઉમાં અક્ષય કુમાર અને ભૂમિએ સીએમ યોગી દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાનના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ઝાડુ વડે સફાઇ પણ કરી હતી.
Cleanliness Driveમાં લીધો ભાગ
અક્ષય કુમારે આ મુલાકાતમાં યોગી આદિત્યનાથ સાથે શૌચાલય અને સ્વચ્છતા સાથે જોડાયેલી યોજનાઓ અંગે વાત કરી હતી. સાથે જ તેઓ લખનઉની Cleanliness Driveમાં પણ ભાગ લીધો હતો. અક્ષય કુમારે જાતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર યોગી આદિત્યનાથ સાથે વાત કરતો આ ફોટો શેર કર્યો હતો. અક્ષય કુમારે સાથે જ લખ્યું હતું કે, આ કેમ્પનનો ભાગ બનીને તેમને અત્યંત ખુશી થઇ છે. લખનઉના અક્ષય કુમારે મંચ પર સ્વચ્છતાના નારા લગાવ્યા હતા અને લોકોને વિનંતી કરી હતી કે, તેઓ પોતાની આસપાસ, ઘરમાં અને પ્રદેશમાં સ્વચ્છતા જાળવે.
નરેન્દ્ર મોદી સાથે પણ કરી હતી મુલાકાત
થોડા સમય પહેલાં જ અક્ષય કુમારે કહ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે વાડપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ફિલ્મ જુએ, પરંતુ તેઓ વ્યસ્ત હોવાથી પછીથી આ ફિલ્મ જોશે. નોંધનીય છે કે, નેશનલ એવોર્ડ મળ્યા બાદ અક્ષય કુમાર જાતે આ ફિલ્મ અંગે જાણકારી આપવાના હેતુસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ ફિલ્મ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત અભિયાન પર આધારિત છે, આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું ત્યારે પીએમ મોદીએ પણ સ્વચ્છતાને પ્રમોટ કરવાના આ પ્રયાસના વખાણ કર્યા હતા.
ટૉયલેટ એક પ્રેમ કથા
અક્ષય કુમારની આ રોમેન્ટિક કોમેડી લાગતી ફિલ્મમાં મજેદાર વાર્તા દ્વારા સમાજને એક જરૂરી મેસેજ આપવાનો પ્રયત્ન થયો છે. વર્તમાન સામાજીક મુદ્દાને લઇને બનેલ આ ફિલ્મને કારણે અક્ષય કુમાર સતત ચર્ચામાં છે. આ એક એવા કપલની વાર્તા છે, જેમાં લગ્ન બાદ પત્નીને ખબર પડે છે કે, તેના પતિના ઘરમાં શૌચાલય નથી અને આથી તે ઘર છોડીને જતી રહે છે. આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થનાર છે.