વડીલોને ઓએમજી બતાવવા આતુર છે યુવાન પેઢી
અમદાવાદ, 15 ઑક્ટોબર : યામિની સિનેમાઘરમાંથી નિકળી અને ઘરે પહોંચી. ચેહરા ઉપર સ્મિત હતું. પતિ જલ્પેશ સાથે ઓહ માય ગૉડ (ઓએમજી) જોઈ તે ઘરે પહોંચી અને પહોંચતા જ તેણે પોતાના સાસુને જણાવ્યું, ‘અમે તમારી અને પપ્પા (શ્વસુર) માટે ટિકિટ મંગાવી આપીશું. તમે બંને આ ફિલ્મ જરૂર જોઈ આવો.'
કેવો લાગ્યો આ સંવાદ. જલ્પેશ અને યામિની નામ સાંભળતા જ પહેલી નજરે સ્પષ્ટ થઈ જાય છે કે આ એક યુવાન યુગલ છે. આજના જમાનામાં ન તો જય સંતોષી માં, રામાયણ, મહાભારત, ભક્ત પ્રહ્લાદ, રાજા હરિશ્ચંદ્ર જેવી ફિલ્મો બને છે અને એક ફૂલ દો માલી, આરાધના કે પછી એવી ઘણી બધી જુની ફિલ્મો જેવી ફિલ્મો પણ નથી બનતી કે જે ગીતો અને વાર્તાઓની બાબતમાં કર્ણપ્રિય તેમજ દર્શનીય હતી. પેઢીઓ બદલાઈ, જમાનો બદલાયો, આધુનિક ટેકનીકો જોડાતી ગઈ, નવી પેઢીની રુચિ બદલાતી ગઈ, તે મુજબ હવે ફિલ્મો બને છે. તેમાં ન તો ફિલ્મોનો દોષ છે અને તેમના નિર્માતા-નિર્દેશકોનો પણ દોષ નથી. એવી પરિસ્થિતિમાં જૂની પેઢીના લોકો હવે મોટાભાગે નવી ફિલ્મો જોવી પસંદ કરતા નથી.
નવી ફિ્લ્મો પ્રત્યે જૂની પેઢીની આ નકારાત્મક લાગણી વચ્ચે જલ્પેશ-યામિની જેવું યુવાન યુગલ પોતાના વડીલોને ઓએમજી જોવા માટે માત્ર પ્રોત્સાહન જ નથી આપી રહ્યું, પણ ટિકિટ સુદ્ધા લાઈ આપવા તત્પર છે. આખરે શું છે આ ફિલ્મમાં.
ખેર ફિલ્મમાં જે છે, તે તો હવે જગજાહેર થઈ ચુક્યું છે. ફિલ્મનો સ્પષ્ટ સંદેશ તો અમે પહેલાં જ જણાવી ચુક્યાં છે કે આપણે ભગવાનને શોધવા મંદિરો-મસ્જિદો-ચર્ચો-ગુરુદ્વારાઓમાં જવાની જરૂર નથી. તે આપણી અંદર જ છે.
હકીકતમાં યુવાન પેઢી આ ફિલ્મથી એટલી બધી પ્રભાવિત થઈ છે કે તે પોતાની જૂની પેઢી એટલે કે પોતાના વડીલોના મનમાં ઠસેલી પેલી ભ્રાંતિ હટાવવા માટે કહે છે કે દરેક નવી ફિલ્મ મસાલેદાર કે ધૂમધડાકા વાળા સંગીતને જ નથી પિરસતી.
રિલીઝ થયાના બે સપ્તાહ બાદ ઓએમજી જોઈ આવનાર નિખિલે પણ જણાવ્યું કે આ ફિલ્મ અંધશ્રદ્ધા અને ધર્મના નામે થતા ધતિંગ ખુલ્લા પાડે છે. હકીકતમાં આપણાં વડીલો આપણને બાળપણથી મંદિરોમાં લઈ જાય છે અને મૂર્તિ સ્વરૂપે વિરાજેલા ઈશ્વરને જ આપણે ઈશ્વર માનીએ છીએ. એવું નથી કે તે મૂર્તિમાં ઈશ્વર નથી, પરંતુ ઈશ્વરનો સાક્ષાત્કાર માત્ર અને માત્ર અનુભવનો વિષય છે. આ વાત ગીતા જેવા ગ્રંથો પણ પ્રમાણિત કરે છે. આમ છતાં આપણે ઈશ્વરને સીમિત મંદિરોમાં શોધીએ છીએ કે જે વ્યાપકમાં છે. જે કણ-કણ મેં છે, તેને એક મૂર્તિમાં જ કેમ જોવું જોઇએ.
એક યુવાને ફિલ્મ જોયાં બાદ જણાવ્યું કે તેણે ફિલ્મ જોયાં પછી પોતાની મમ્મીને કહ્યું કે તૂ અક્ષય કુમારની બધી ફિલ્મો જુએ છે, તો પછી આ ફિલ્મ પણ જોઈ જ નાંખ. આ વખતે તને મજા આવશે.
જો યુવાન પેઢી આ ફિલ્મ જોઈ એટલી બધી પ્રભાવિત છે તો તેની પાછળનું એક કારણ એ પણ છે કે પ્રતિસ્પર્ધાના આ દોરમાં આજની યુવાન પેઢી જ્યાં સફળતા પામવાની ધુનમાં ખૂબ મહેનત કરવા તત્પર છે, તો બીજી બાજુ તે પોતાની આ મહેનતમાં ઈશ્વરનો સાથ પણ માંગે છે. આ જ કારણ છે કે આજે તમે કોઈ પણ મંદિરે જાઓ, ત્યાં વૃદ્ધો કરતાં યુવાનોની સંખ્યા વધારે જણાય છે. એવામાં જો યુવાન પેઢી આ ફિલ્મનો સાર સમજી જાય અને પોતાની અંદર, આત્મચિંતન દ્વારા ઈશ્વરનો સાથ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાની શીખ લે, તો આ શીખ વર્ષો જુની પરમ્મરામાં જીવતાં આવેલા આપણા વડીલોએ પણ લેવી જોઇએ. કદાચ એટલે જ યુવાન પેઢી પોતાના વડીલોને આ ફિલ્મ બતાવવા આતુર છે.
જોકે આનંદ નામનો યુવાન પણ આ ફિલ્મમાં ધર્મના નામે થતા ધતિંગ અને વ્યવસાયની વાત સાથે તો સમ્મત છે, પરંતુ તેનું કહેવું છે કે મંદિરોમાં ભગવાન નથી જ, એવું માનવું ભૂલ ભરેલું છે. હા, આનંદ કહે છે કે ફિલ્મમાં અંધશ્રદ્ધા વિશે જે જણાવાયું છે તે લોકોને જાગૃત કરશે. આનંદ ગીતા સાથે પણ સમ્મત છે કે ઈશ્વર આપણી અંદર જ વસેલો છે, પરંતુ તે મંદિરોમાં જતાં લોકોને પણ ખોટાં માનવા તૈયાર નથી કારણ કે બધા શ્રદ્ધાળુઓ માત્ર પૈસા લુંટાવવા કે અંધશ્રદ્ધા સાથે જ મંદિરે નથી જતાં.