વિવાદાસ્પદ પોસ્ટ કરનારાની હવે ખેર નથી, ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસ બાદ અમદાવાદ પોલિસે આપી ચેતવણી
અમદાવાદ શહેર પોલિસે શહેરીજનોને ચેતવણી આપી છે. જાણો વિગત.
અમદાવાદઃ ધંધુકામાં રહેતા કિશન ભરવાડ હત્યા કેસ મામલે હજુ ધમધમાટ ચાલી રહ્યો છે. ATSએ મૌલવીની ધરપકડ કરી છે અને ગઈકાલે તેને દિલ્લીથી ગુજરાત લાવવામાં આવ્યા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે ત્યારે આ કેસમાં વધુ એક યુવકની અટકાયત કરી હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ધંધુકામાં રહેતા કિશન ભરવાડે સોશિયલ મીડિયામાં બીજા ધર્મને લઈને વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી ત્યારબાદ તેની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને હત્યાનુ કનેક્શન પાકિસ્તાન સુધી પહોંચ્યુ છે. આ દરમિયાન અમદાવાદ શહેર પોલિસે શહેરીજનોને ખાસ અપીલ કરી છે.
અમદાવાદ શહેર પોલિસ દ્વારા સોશિયલ મીડિયામાં ભડકાઉ ભાષણ ન ફેલાવવાની અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ભડકાઉ કે ઉશ્કેરણીજનક ટિપ્પણી, મેસેજ કે વીડિયો અપલોડ કરનારા સામે પોલિસ કડક કાર્યવાહી કરશે. રાજ્યમાં ધાર્મિક શાંતિ જળવાઈ રહે તે માટે પોલિસે લોકોને ખાસ અપીલ કરી છે. બે ધર્મ વચ્ચે વિવાદ ઉભો ન થાય તે માટે પોલિસે આ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ શેર કરવાથી દૂર રહેવાની લોકોને સલાહ આપી છે. સાયબર સેલની ટીમ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ અને મેસેજ પર સતત મોનીટરિંગ કરી રહી છે. જો કોઈ વ્યક્તિ આવી પોસ્ટ કરતા ઝડપાશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ધંધુકામાં વિવાદાસ્પદ ધાર્મિક પોસ્ટ બાદ કિશન ભરવાડની હત્યા કેસની તપાસ ગૃહમંત્રીના આદેશ બાદ ગુજરાત એટીએસને સોંપવામાં આવી છે. સોશિયલ મીડિયાથી લઈને તમામ પાસાંઓ પર એટીએસ તપાસ કરશે. આ કેસમાં આરોપીઓ કોના સંપર્કમાં હતા તેની પણ તપાસ કરવામાં આવશે. હાલમાં મૌલવી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના રિમાન્ડના આધારે પાકિસ્તાન કનેક્શનની પણ તપાસ ચાલુ છે. સોશિયલ મીડિયા, મોબાઈલ ડેટા સહિત સમગ્ર તપાસ એટીએસ દ્વારા કરવામાં આવશે.