11 સિંહોના મોતથી હાહાકારઃ વન વિભાગે ઇનફાઇટના કારણે મોત થયાનો ખુલાસો કર્યો
11 સિંહોના મોતથી હાહાકારઃ વન વિભાગે ઇનફાઇટના કારણે મોત થયાનો ખુલાસો કર્યો
રાજ્યની શાન સમાન ગીરના જંગલમાં વસવાટ કરતાં એશિયાટીક સિંહોના એક અઠવાડીયામાં અગિયાર સિંહોના મોત થતાં હાહાકાર મચી ગયો હતો. ટૂંકા ગાળામાં 11 સિંહોના મોતથી વન વિભાગ પણ દોડતું થઇ ગયું છે. જેના પગલે રાજ્ય વન વિભાગના મુખ્ય સંરક્ષક જી.કે. સિંહાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સિંહોના મોત બદલ વિસ્તૃત ખુલાસો કર્યો હતો.
ઇનફાઇટથી થયાં સિંહોના મોત
રાજ્યમાં ગીર અભ્યારણમાં આવેલ દલખાણીયા રેન્જમાં 9 અને જશાઘાર રેન્જમાં 2 એમ કુલ 11 સિંહોના મોત નિપજતાં વન વિભાગ હરકતમાં આવ્યુ હતુ. જેમાં વન વિભાગના મુખ્ય વન સંરક્ષક અધિકારી જી.કે. સિંહાએ આ મૃત્યુ ઇનફાઇટને કારણે થયા હોવાનુ પ્રાથમિક તારણ આપ્યુ છે. સિંહ દ્વારા પોતાના વિસ્તારને વધારવા માટે જે અંદરો અંદર ફાઇટ થાય છે તેના કારણે તેઓને મૃત્યુ થયા હોવાનુ વન વિભાગે તારણ આપીને સમગ્ર ઘટના પર પાણી રેડવાનો પ્રયાસ કર્યો છે.
ત્રણ મૃતદેહના પીએમ રીપોર્ટ હજુ બાકી
ગીરની બે રેન્જમાં આઠ દિવસમાં ૧૧ સિંહના મોતના બનાવ અંગે વન વિભાગે કારણો પણ રજૂ કરી દીધા છે ત્યારે હજુ ત્રણ સિંહના પીએમ રિપોર્ટ આવવાના બાકી છે. તેમના મોતના કારણ જાણી શકાયા નથી.
મુખ્ય વન સંરક્ષકે પ્રેસ કોન્ફરન્સ કરી કર્યો ખુલાસો
સિંહો ગ્રુપમાં વસવાટ કરતા પ્રાણીએ છે. તેઓને પોતાના વિસ્તાર વધારવા અને વર્ચસ્વ જમાવવા માટે એક વિસ્તારથી બિજા વિસ્તારમાં જતા હોય છે ત્યારે જે તે વિસ્તારમાં વસવાટ કરતા સિંહો પર હુમલો કરવામમાં આવે છે તેના કારણે જ આવી ઘટનાઓ સામે આવી છે. જ્યારે સૌથી પહેલા બાળસિંહોને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. જેથી તાજેતરમાં કુલ 11 સિંહો પૈકી 6 બાળ સિંહોનુ મૃત્યુ થયુ હોવાનુ વનવિભાગને ધ્યાનમાં આવ્યુ છે. જયારે બે નરસિંહનુ મૃત્યુ આજ કારણથી થયુ છે. આમ 11 પૈકી 8 સિંહોનો મોત ઇનફાઇટના કારણે થયુ હોવાનુ પ્રાથમિક તારણ વનવિભાગના સચિવ જી.કે.સિંહાએ આપ્યુ છે. જ્યારે આ ઘટનામાં 3 સિંહોના પીએમ રીપોર્ટ આવવવાનુ બાકી છે. ઉપરાંત ઇનફાઇટને કારણે અમુક સિંહો પોતાના વિસ્તાર છોડીને જતા રહે તે દરમિયાન ફુડ ક્રાઇસિંસને કારણે પણ મોત થયા હોવાનુ કારણ થયુ છે. અગાઉ વર્ષ 2017-2018માં કુદરતી રીતે 51 અને અકુદરતી રીતે 18 કુલ 69 સિંહોના મોત નિપજ્યા હોવાનુ વનવિભાગ દ્વારા જણાવામાં આવ્યુ છે.
ઇનફાઇટ અટકાવવા વન વિભાગ લેશે પગલાં
વન વિભાગ દ્વારા ઇનફાઇટ ના થાય તેના માટે યોગ્ય પગલા લેવામાં આવશે. જેમાં જે તે વિસ્તારમાં રહેલા વૃધ્ધ અને શારીરીક અસશક્ત સિંહોનુ રેસ્ક્યુ કરવામાં આવશે. ઉપરાતં ગીર અભ્યારણ વિસ્તારમાં સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે. જ્યારે સિંહોને વિસ્તાર ઓછો પડતાની સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમરેલી અને ભાવનગરમાં ઇકો સેન્સેટીવ ઝોનમાં કન્ર્ઝવેટીવ રીઝર્વેશન પર મહુવા, જેસર જેવા આસપાસના તાલુકાઓમાં કુલ 109 કિલો મિટરનો વિસ્તાર વધારવામાં આવશે. પરંતું, તેમાં સરકારને 546 જેટલી રજૂઆતો મળી હોવા છતાં તેનો કોઇ નિવેડો આવ્યો નથી. છેલ્લે વર્ષ 2015માં કરવામાં આવેલ સિંહોની ગણતરી મુજબ રાજ્યમાં 523 જેટલા સિંહો નોંધાયા છે. જેમા 109 નર, 201 માદા, 73 પાઠડા તથા 140 બાળસિંહોનો સમાવેશ થાય છે.
કોઇ ભેદી વાઇરસ ન હોવાનું વન વિભાગનું તારણ
ક્ષેત્રાધિકાર માટે થતી વર્ચસ્વની લડાઇમાં જ આ ૧૧ સિંહોના આઠ દિવસમાં મોત થયા હોવાની સ્પષ્ટતા પણ વનવિભાગે કરી હતી જે પૈકી ત્રણ માદા અને સબએડલ્ટ સિંહનું ભુખના કારણે મોત થયું હોવાનું પણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ પરથી ખુલાસો થયો છે. ગીરમાં સિંહોના મોતને લઈને ઘણી અટકળો લગાવવામાં આવે છે જેમાં કોઈ ભેદી વાયરસ કે બિમારીથી સિંહોના મોત થયા હોવાનું કહેવામાં આવે છે પરંતુ આ વાત ખોટી છે અને આઠ દિવસમાં ૧૧ સિંહોના થયેલા મોત પાછળ તેમને ઈનફાઈટનું કારણ મુખ્ય જવાબદાર ગણાવ્યું છે.
ત્રણ સિંહો પાસેથી નથી મળી માઇક્રો ચીપ્સ
સિંહો પર નજર રાખવા અને તેમના સંરક્ષણ તેમજ મુવમેન્ટ જાણવા માટે માઈક્રો ચીપ લગાવવામાં આવે છે. નર અને માદા સિંહ મળી પાંચ સિંહના મૃતદેહ પૈકી ફકત બે જ સિંહમાં આ ચીપ મળી હતી જ્યારે ત્રણ સિંહમાં ચીપ મળી નથી. તેનો અર્થ કાઢતાં મુખ્ય વન સંરક્ષકે જણાવ્યું હતું કે ત્રણ સિંહમા માઈક્રો ચીપ મળી નથી એટલે કે આ સિંહ અન્ય વિસ્તારના હશે જે વિસ્તારના આધિપત્ય માટે અહીંના સિંહ ઉપર હુમલો કર્યો હશે. જે દરમ્યાન આ હુમલાખોર સિંહનું જ મોત થયું હશે.
આ પણ વાંચો-બીએસએફ જવાનની હત્યામાં અમારો કોઈ હાથ નથીઃ પાકિસ્તાન