અત્યારસુધી ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા વાવાઝોડા પર એક નજર
અરબી સમુદ્રમાં હવાળનું દબાણ ઉભુ થતાં ચક્રાવાત સર્જાયો છે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડુ ત્રાટકી શકે છે. જેના પગલે સમગ્ર તટ વિસ્તારમાં હાઇ એલર્ટ આપી દેવામાં આવ્યુ્ં છે, તેમજ માછીમારોને દરિયામાં નહીં જવાની ચેતાવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે. નિલોફર નામનું આ વાવાઝોડું કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ સહિતના વિસ્તારમાં ત્રાટકી શકે છે. જેના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે.
નિલોફર વાવાઝોડાને લઇને રાજ્ય સરકાર સાબદી બની ગઇ છે. તેણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગમચેતી પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે અને જોમખ સામે કેવા પ્રકારના સાવચેતીના પગલા ભરવામા આવશે તેને લઇને બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. જોકે આ પહેલીવાર નથી કે ગુજરાત પર વાવાઝોડું ત્રાટક્યું હોય, પરંતુ આ પહેલા પણ અનેકવાર વાવાઝોડાએ ગુજરાતના દરિયા કિનારાને નિશાન બનાવ્યો છે. 1975થી લઇને 1999 સુધી અનેકવાર ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતના તટીય વિસ્તારોમાં વાવઝોડાએ તારાજી સર્જી છે. તો ચાલો તસવીરો થકી એ અંગે માહિતી મેળવીએ.
19-24 ઓક્ટોબર, 1975
1975માં પોરબંદરના નોર્થવેસ્ટ દરિયાકાંઠે 15 કિ.મી દૂર વાવાઝોડું સર્જાયું હતું, જેની અસર જામનગર અને રાજકોટ વિસ્તારમાં પણ થઇ હતી. આ વાવાઝોડાની ઝડપી 160થી180 કિ.મીની હતી, જેમાં 85 લોકોના મોત નીપજ્યા હતા અને અંદાજે 75 કરોડ રૂપિયાનું નુક્સાન થયું હતું.
31 મેથી 5 જૂન, 1976
1976માં પણ વાવાઝોડાએ સૌરાષ્ટ્રને નિશાન બનાવ્યું હતું. 3 જૂનના રોજ 167 કિ.મીની ઝડપે ફૂંકાયેલા પવને 70 લોકોનો ભોગ લીધો હતો અને 51 ગામોને અસર પહોંચાડી હતી. જેમાં અંદાજે 3 કરોડ રૂપિયાનું નુક્સાન પહોંચ્યું હતું.
28 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 1981
આ સમયગાળા દરમિયાન પોરબંદર પાસે વાવાઝોડું ત્રાટક્યું હતું. બાદમાં તે જામનગર અને જુનાગઢ જિલ્લા તરફ ફંટાયું હતું. જેમાં 5700 ઘરોને ખાસું એવું નુક્સાન પહોંચ્યું હતું.
4થી9 નવેમ્બર, 1982
આ સાલમાં વેરાવળથી 5 કિ.મી દૂર વાવાઝોડું સર્જાયું હતું, જેણે 511 લોકોનો ભોગ લીધો હતો અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં તારાજી સર્જી હતી. જેમાં 127.23 કરોડનું નુક્સાન પહોંચ્યું હતું.
12થી15 નવેમ્બર, 1993
1993માં ગુજરાત સિંધ કોસ્ટમાં આવેલું વાવાઝોડું તિવ્ર નહોતું અને તેની કોઇ માઠી અસર ગુજરાતને થઇ નહોતી.
5થી9 જૂન, 1998
આ વાવાઝોડુ પોરબંદરના તટીય વિસ્તારમાંથી પસાર થયું હતું, અને તેની અસર કચ્છ સુધી જોવા મળી હતી. જેમાં 1173 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 1774 લોકો લાપતા થઇ ગયા હતા. આ વાવાઝોડાથી પહોંચેલા નુક્સાનનો આંક 1865 કરોડની આસપાસ હતો.
16થી 22 મે, 1999
1999માં આવેલા વાવાઝોડાએ કચ્છ અને જામનગરમાં તારાજી સર્જી હતી. જેમાં 453 લોકોનો ભોગ લેવાયો હતો અને 80 કરોડ રૂપિયાનું નુક્સાન થયું હતું.