સસ્તા અનાજના દુકાનદારોએ હડતાલ મોકુફ રાખી, કારણ છે આ
સસ્તા અનાજના દુકાનદારો આધાર કાર્ડ અને રેશન કાર્ડને લિંક અપનું કામ કરવાનો કર્યો વિરોધ
આધાર કાર્ડ ને હવે તમારા મોબાઇલ, બેંક અને પેનકાર્ડ જેવી તમામ વસ્તુઓ સમતે રેશન કાર્ડ સાથે પણ લિંક અપ કરવામાં આવ્યું છે. સરકારે તમામ મહત્વના ઓળખપત્રોને આધારકાર્ડ સાથે જોડી લીધુ છે. પણ હવે આ જ કારણે સસ્તા અનાજના દુકાનદારો સરકારની સામે પડ્યા છે. મળતી માહિતી મુજબ 1 એપ્રિલથી સસ્તા અનાજના દુકાનદારોએ રેશન કાર્ડ ધારકોની આધાર કાર્ડની માહિતી આપવાનો આદેશ પુરવઠા વિભાગે કર્યો હતો. જેને લઇ રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક અપ કરી શકાય. જોકે સસ્તા અનાજના દુકાનદારોએ રેશન કાર્ડ ધારકો પાસેથી આધાર કાર્ડ નંબર લેવાના પુરવઠા વિભાગના આદેશનો બહિષ્કાર કર્યો હતો. અને અમદાવાદના સસ્તા અનાજના પુરવઠાના દુકાનદારો હડતાલ પર ઉતરી ગયા હતા.
રાજ્ય ભરમાં રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક અપ કરવા માટે પુરવઠા વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જેને લઇ સસ્તા અનાજના દુકાનદારોએ પુરવઠો આપવાનો બંધ કરી દીધો હતો. સસ્તા અનાજના દુકાન ધારકોની માંગણી હતી કે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક અપ કરવાની કામગીરી કોઈ અન્ય એજન્સીને સોંપવામાં આવે, જો અન્ય એજન્સીને સોંપવામાં નહિ આવે તો તે ત્યાં સુધી અનાજ આપવાની કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી હતી.
જો કે તે પછી સસ્તા અનાજના દુકાનદારોએ ગાંધીનગર અધિકારીઓ સાથે બેઠક કરી હડતાલ મોકૂફ રાખી છે. હાલ તંત્ર સાથે બે કલાકની બેઠક બાદ આ નિર્યણ લેવામાં આવ્યો છે. પુરવઠા વિભાગના અધિકારીઓએ માંગણીઓ સ્વીકારવા અંગે ફરીથી સોમવારે બેઠક બોલવી છે. આ બેઠક પછી જ આ અંગે આગળ રણનીતિ નક્કી કરવામાં આવશે તેવું ફેર પ્રાઇસ શોપ એશોસિએશનના પ્રમુખ પ્રહ્લાદ મોદીએ જણાવ્યું છે.