ગાયો મુદ્દે ભાજપ સામે અલ્પેશ ઠાકોરે મોરચો માંડ્યો
બનાસકાંઠાના ડીસા સહિત રાજ્યની કેટલીક પાંજરાપોળમાં ગાયોને ઘાસચારાના મુદ્દે સર્જાયેલી કટોકટીમાં હવે રાજકારણ ભળ્યું છે.
બનાસકાંઠાના ડીસા સહિત રાજ્યની કેટલીક પાંજરાપોળમાં ગાયોને ઘાસચારાના મુદ્દે સર્જાયેલી કટોકટીમાં હવે રાજકારણ ભળ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા ગૌચર નીતિ જાહેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગરમાં વિશાળ રેલી કરવામાં આવશે. ભાજપની નીતિ સામે ગૌચર પરત અભિયાન શરૂ કરવાની જાહેરાત કરતા તેમણે ગૌ સેવા આયોગના બજેટમાંથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેનો સરકારને જવાબ આપવા જણાવ્યું છે. તેમજ સરકાર સામે અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે.
ભાજપ માત્ર મત માટે જ ગાયો યાદ કરે છે
રાજ્ય સરકાર સમક્ષ ગૌચર મામલે અધ્યક્ષ અને કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વિવિધ માગણી રજૂ કરી તેનો તાત્કાલિક ઉકેલ લાવવા સરકારને ચિમકી આપી છે. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે, ભાજપ સરકાર માત્ર મત માગતી વખતે જ ગાયને યાદ કર્યા બાદ ગૌશાળામાં ગાયને પૂરતો ઘાસચારો આપવામાં પણ હાથ ઊંચા કરી દે છે. ભાજપની આ નીતિ સામે ગૌચર પરત અભિયાન શરૂ કરવાની જાહેરાત કરતા તેમણે માગણી કરી છે કે, રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ગૌચર નીતિ જાહેર કરવી જોઈએ. ગાયોના નિભાવ અને ગાયોની સંભાળ માટે કેવા પગલાં લેવાયાં તે સરકાર જાહેર કરે તેવી માંગ કરી હતી.
ગૌચર ખુલ્લા કરાવવા મુહિમ ચલાવશે
રાજ્યના ૨૭૫૪ ગામમાં ગૌચર જ નહીં હોવા સાથે ૬૨૯માંથી ૫૦૦ પાંજરાપોળ દેવાદાર છે. આથી કોંગ્રેસ, ઠાકોર સેના અને એકતા મંચના કાર્યકર્તાઓ દ્વારા ગૌચર પરત અભિયાન ચલાવવામાં આવશે. તેના ભાગરૂપે જે ગામમાં ગૌચર હડપ કરવામાં આવી હશે ત્યાંની ફરિયાદ મહેસૂલ વિભાગને કરવામાં આવશે. ગુજરાત ઠાકોર સેના દ્વારા રાજ્યવ્યાપી અભિયાન ચલાવી ગૌચર ખુલ્લા કરવવાની મુહિમ ચલાવવાની જાહેરાત કરી હતી.
બિલ્ડરો, ઉદ્યોગપતિઓને ગૌચર નહી આપવા માંગ
રાજ્ય કક્ષાએ કોઇ પણ ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, ભ્રષ્ટાચારી નેતાના સંબંધીને ગૌચર અપાશે નહીં તેવું જાહેરનામું સરકારે કરવા અલ્પેશ ઠાકોરે માગણી કરી હતી. આ ઉપરાંત જિલ્લાવાર દરેક પાંજરાપોળમાં ગૌવંશ દીઠ રોજના ૧૫ કિલોગ્રામ ઘાસચારો આપવો જોઇએ. તેમણે ગૌ સેવા આયોગના બજેટમાંથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેનો સરકારને જવાબ આપવા જણાવ્યું છે.
ગાય માટે 144ની કલમ દુ:ખદ
ગાયના નામે લગાવાયેલી ૧૪૪ની કલમને દુ:ખદ ગણાવતા તેમણે જણાવ્યું છે કે, રવિવારના રોજ તમામ જિલ્લા મથકોએ ગાય માતાને ગંગાજળથી સ્નાન સાથે પૂજા કરવાનું આયોજન છે. ખરેખર ગુજરાતમાં કુલ ૨૩.૩૭ લાખ હે.ચો.મી. ગૌચર હોવું જોઇએ. તેના બદલે ૧૭.૮૧ લાખ હે.ચો.મી. જ ગૌચર ઉપલબ્ધ છે. આથી કોંગ્રેસ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રવિવારે ગૌસેવા આયોગના ચેરમેન ચૈતન્ય શંભુપ્રસાદ મહારાજના નિવાસસ્થાને દેખાવો યોજીને ગૌચર ખુલ્લા કરવા માંગ પ્રબળ કરશે.