અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચાલુ કારે ટાયર નીકળી જતાં અકસ્માત
અમદાવાદ-રાજકોટ હાઇવે પર બગોદરા ટોલનાકા પાસે ગાડીનું પાછળનું ટાયર નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા ટોલનાકા પાસે ચાલુ કારે ટાયર નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોને ઈજા થઇ હતી. અમદાવાદના બોપલમાં રહેતો મિસ્ત્રી પરિવાર અમદાવાદથી રાજકોટ જઈ રહ્યો હતો, તે દરમિયાન બગોદરા ટોલનાકા પાસે ચાલુ ગાડીએ પાછળનું ટાયર નીકળી જતાં ગાડી ડીવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં સવાર 4 લોકોને ઈજા પહોંચી હતી.
અકસ્માત થતાની સાથે જ આસ-પાસના લોકો દોડી આવ્યા હતા. ગાડીમાં સવાર લોકોને બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે બગોદરા સામુહિક કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. જો કે, પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી રોડ ખુલ્લો કરાવ્યો હતો. આ અકસ્માતમાં મિસ્ત્રી પરિવારના લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી, કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થઇ નથી. પરિવારના અન્ય લોકોને જાણ થતા તેઓ બગોદરા હોસ્પિટલ દોડી આવ્યા હતા.