ગુજ. વિધાનસભા ચૂંટણી 2017:સત્તાની કમાન અશોક ગેહલોતના હાથમાં?
કોંગ્રેસના સૂત્રના જણાવ્યા અનુસાર, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 સંબંધિત નિર્ણયો અશોક ગેહલોત લેશે.
કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વચ્ચેનો મતભેદ કોઇનાથી છુપો નથી. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017, બાપુની કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત, આ બધાને કારણે કોંગ્રેસ પક્ષ ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે, ભરતસિંહ સોલંકી કે શંકરસિંહ વાઘેલા ચૂંટણીલક્ષી કોઇ નિર્ણયો નહીં લે.
ચૂંટણી બાબતે ઉમેદવારની પસંદગીથી લઇને તમામ કાર્યો કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને અન્ય ચાર સહપ્રભારીઓ મળીને લેશે. અન્ય ચાર સહપ્રભારીઓમાં જીતુ પટવારી, રાજીવ સાતવ, હર્ષવર્ધન અને વર્ષા ગાયકવાડનો સમાવેશ થાય છે.
પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમના મિજાજી સ્વભાવને કારણે પહેલેથી જ ચર્ચામાં રહ્યાં છે. તેમના સ્વભાવને કારણે ઘણા કાર્યકર્તાઓ અને નેતાઓ તેમનો વિરોધ કરતા આવ્યા છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાક આગેવાનોએ અશોક ગેહલોત સમક્ષ ભરતસિંહ સોલંકીની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ નેતાઓની ફરિયાદ સાંભળતા નથી અને સાંભળ્યા છતાં અવગણે છે.