વલસાડમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો!
વલસાડમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં વલસાડની સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.
વલસાડમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં વલસાડની સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાકક્ષાએ 4 શિક્ષકોને અને તાલુકા કક્ષાએ 7 શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન સમારોહમાં જિલ્લા કક્ષાના 4 શિક્ષકોને પ્રમાણપત્ર, શાલ અને 15,000 રૂપિયાનો ચેક તેમજ તાલુકા કક્ષાના 7 શ્રેષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર, શાલ અને 5000 રૂપિયાનો ચેક આપી સન્માનિત કરાયા હતા. જ્યારે સ્કૂલના આચાર્યોનું પ્રશસ્તિપત્ર વડે સન્માન કરાયું હતું. બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં 100 ટકા પરિણામ મેળવનાર 33 શાળા છે જે પૈકી 8 ગ્રાન્ટેડ શાળાના આચાર્ય અને ટ્રસ્ટીઓનું પણ સન્માન કરાયું હતું. આ સિવાય જિલ્લાની વિવિધ શાળાના 15 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલકા શાહે ચાણક્યના વિધાનને ટાંકીને જણાવ્યું કે, શિક્ષક કયારેય સાધારણ નથી હોતો, જીવનમાં માતા પિતા કરતા શિક્ષકનું મહત્વ વિશેષ છે. માતા-પિતા જન્મ આપે છે પણ શિક્ષક અક્ષરરૂપી જ્ઞાન આપી અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે જ્ઞાનના માર્ગે લઈ જાય છે. સડક અને શિક્ષક બંને એક સમાન છે બંનેનું કામ મંજિલ સુધી પહોંચાડવાનું છે.
આ પ્રસંગે વલસાડ નગર પાલિકાના પ્રમુખ કિન્નરી પટેલ, સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ગીરીશ પંડયા તેમજ શિક્ષણ જગતના વિવિધ સંઘના પ્રમુખો, સાંસદ, ધારાસભ્ય, જિલ્લાના વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.