આતંકી હુમલાની શંકા, કચ્છ બોર્ડર પર 'ક્રીક ક્રોકોડાઈલ કમાંડો' તૈનાત કરાયા
જમ્મુ-કાશ્મીર મુદ્દે હોબાળો મચાવ્યા છતાં પાકિસ્તાન દુનિયામાં ભારત વિરુદ્ધ વાતાવરણ ઉભુ કરવામાં નિષ્ફળ રહ્યુ છે. હવે પાકિસ્તાને આંતકનો રસ્તો અપનાવ્યો છે.
જમ્મુ-કાશ્મીર મુદ્દે હોબાળો મચાવ્યા છતાં પાકિસ્તાન દુનિયામાં ભારત વિરુદ્ધ વાતાવરણ ઉભુ કરવામાં નિષ્ફળ રહ્યુ છે. હવે પાકિસ્તાને આંતકનો રસ્તો અપનાવ્યો છે. પાકિસ્તાને પોતાનું તમામ જોર ભારતમાં ઘુસણખોરી કરાવી આંતકી હુમલો કરવા અને સાંપ્રદાયિક હિંસા ફેલાવવા પાછળ લગાવી દીધુ છે. આ માટે પાકિસ્તાનની મરીન સિક્યોરીટીથી લઈ કુખ્યાત આંતકી સંગઠનોનું ષડયંત્ર ઘડી રહ્યા છે. આ ખતરાને ટાળવા માટે ભારતીય નૌકાદળ, કોસ્ટગાર્ડ, બીએસએફ અને ગુપ્તચર એજન્સી હાઈએલર્ટ પર છે. સાથે જ પાકિસ્તાનની નજીકના પોર્ટસ અને આઈલેન્ડસ પર વધારાની પેટ્રોલિંગ ટીમ કામે લાગી ગઈ છે. સાથે જ સંવેદનશીલ બંદરો પર ચાંપતી નજર રખાઈ રહી છે. કંડલા, કચ્છ અને પોરબંદર જેવા સ્થાનો પર ઘુસણખોરીનો ખતરો વધુ રહેતા બીએસએફે કચ્છના સરક્રીક વિસ્તારમાં હવે નવા કમાંડોની તૈનાતી કરી છે.
કચ્છમાં બીએસએફની વિશેષ સુરક્ષા ટીમ તૈનાત
આ કમાંડો છે 'ક્રીક ક્રોકોડાઈલ કમાંડો'. આ કમાંડોની ટીમ કચ્છમાં હરામી નાળાના 22 કીલોમીટર ખંડ પાસે તૈનાત કરાઈ છે. અહીં બોર્ડરની પેલે પાર પાકિસ્તાનના પ્રશિક્ષિત કમાન્ડો ખતરનાક કાવતરુ ઘડી રહ્યા છે. આવા સમયે પાકિસ્તાનના આ હુમલાને રોકવા માટે સીમા સુરક્ષા દળ (બીએસએફ) ક્રીક ક્રોકોડાઈલ કમાંડોની મદદ લેશે. તમને જણાવી દઈએ કે સરક્રીક ક્ષેત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈન્ટરનેશનલ બોર્ડર કહેવાય છે.
પાકિસ્તાનનું કાવતરુ
ઈન્ટેલીજન્સ ઈનપુટમાં આશંકા વ્યકત્ કરાઈ છે કે પાકિસ્તાન પ્રશિક્ષિત એસએસજી કમાંડો કે આતંવાદીઓની નાનકડી નૌકાનો ઉપયોગ કરી કચ્છની ખાડી અને સરક્રીક ક્ષેત્રમાં ધુસવાની તૈયારી કરી રહ્યું છે. પાછલા દિવસો દરમિયાન ભારતીય નૌકાદળના અધ્યક્ષે પણ કહ્યુ હતુ કે પાકની આતંકી ટીમ આ વખતે દરિયાઈ માર્ગથી હુમલો કરશે. પાણીની અંદરથી હુમલાને અંજામ આપવા માટે આ દુશ્મનો ઘણા સમયથી કામ કરી રહ્યા છે.
સરક્રીકમાં બીએસએફ માટે પેટ્રોલિંગ મુશ્કેલ
બીએસએફના એક સીનિયરના જણાવ્યા પ્રમાણે સરક્રીક જેવા વિસ્તારમાં પાકિસ્તાનની બોટ્સ દેખાઈ ચૂકી છે. બીએસએફ માટે અહીં પેટ્રોલિંગ કરવું ઘણું મુશ્કેલ છે. જેથી એટીવીને સરહદી ચોકીઓ પર તૈનાત કરાઈ છે. આ કમાન્ડો પાણી અને જમીન પર લડાઈ કરવામાં એક્સપર્ટ છે સાથે જ સરહદ પાસે થનારા કોઈપણ હુમલાને તે નિષ્ફળ બનાવી શકે છે.
2014માં ક્રીક ક્રોકોડાઈલ કમાંડો યુનિટની રચના
ક્રીક ક્રોકોડાઈલ કમાન્ડોના રૂપે બીએસએફના પ્રથમ કમાન્ડો યુનિટની રચના 2014 માં બનાવવામાં આવી હતી. હવે તે દુશ્મનના વિસ્તારની નજીક તૈનાત કરાયા છે. દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબુત બનાવવા માટે વધારાના સૈન્યને પણ સરહદ પર મોકલવામાં આવ્યા છે.
56 નિર્જન ટાપુ આતંકીઓ માટે સોફ્ટ ટાર્ગેટ
કચ્છ ઉપરાંત રાજ્યના દરિયાઈ સીમાના 56 નિર્જન ટાપુઓ પર પણ સખત તકેદારી રખાઈ રહી છે. આ ટાપુઓ આતંકવાદીઓની ઘુષણખોરી માટે સોફ્ટ ટાર્ગેટ છે. પહેલા પણ આ ટાપુઓનો ગુન્હા માટે દુરુપયોગ થઈ ચૂક્યો છે. જેથી દરિયાના આ ટાપુઓ પર ડ્રોન દ્વારા નજર રખાઈ રહી છે. આમાંના કેટલાય ટાપુઓ પાણીમાં ડૂબી ગયા છે. ત્યાં પણ સિક્ટોરીટી ફોર્સ પેટ્રોલિંગ કરી રહી છે.
આ ટાપુઓથી પહેલા પણ થઈ છે ઘુષણખોરી
ગુજરાતનો દરિયાઈ તટ 16,000 કી.મી લાંબો છે. તેના કિનારામાં 56 નિર્જન ટાપુઓ છે. કહેવાય છે કે મુંબઈમાં 1993માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં જે હથિયારનો ઉપયોગ કરાયો હતો. તે અહીંથી જ લવાયા હતા. આંતકવાદીઓએ પોરબંદરની પાસે ગોસાબારામાં હથિયાર ઉતાર્યા હતા. ત્યારથી આ ટાપુ સુરક્ષા એજન્સીઓની ચિંતાનું કારણ બન્યા છે. પાકિસ્તાન મરીન સિક્યોરીટી સતત ઘુસણખોરીના પ્રયત્નો કરતી રહી છે.
ધુસણખોરી માટે પાકે 100 કમાન્ડો મોકલ્યા
પાછલા દિવસો દરમિયાન પાકિસ્તાની સેનાએ સરક્રીક વિસ્તારમાં એસએસજી કમાન્ડો તૈનાત કર્યા છે. આ કમાંડોની સંખ્યા 100 જાણવા મળી છે. એવું મનાય છે કે આ કમાંડો ભારત વિરુદ્ધ રચાઈ રહેલા ષડયંત્રમાં આતંકીઓને મદદ કરી શકે છે.
ગુજરાત પોલીસ પણ કરી રહી છે 24 કલાક પેટ્રોલિંગ
ગુજરાત પોલીસે પણ દરિયાઈ તટો પર પોતાની ક્ષમતાને વધારી છે અને દરિયાઈ પોલીસે 24 કલાક પેટ્રોલિંગ શરુ કરી દીધુ છે. એટીએસના અધિકારી જેમને હાલમાં જ તટની સુરક્ષાની જવાબદારી સોંપાઈ છે તેમનું કહેવું છે કે અમે સતર્ક છીએ. એ વાત સાચી છે કે પાકિસ્તાન હુમલો કરવાની તૈયારીમાં છે. તે સીધો હુમલો ન કરી શકવાને કારણે આંતકનો આશરો લે છે.
આ પણ વાંચો: પ્લાસ્ટિક પર દેશવ્યાપી પ્રતિબંધ સામે વેપારીઓની અન્ય વિકલ્પની માંગ