આખા દેશમાં ડાંગ જિલ્લાને સાગના વૃક્ષ ઉછેરની બેંક લોન માટે માન્યતા
ઉમરગામથી અંબાજીના સમગ્ર આદિવાસી પટૃામાં શિક્ષણની ભૂખ જાગી ગઇ છે કારણ આ સરકારે ભૂતકાળની સરકારોની ઉદાસિનતામાંથી બહાર આવી તાલુકે તાલુકે વિજ્ઞાનપ્રવાહની શાળા શરૂ કરી છે. પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉત્સવની ઉજવણી કરી રહેલા ડાંગ જિલ્લામાં આહવામાં મુખ્યમંત્રીના હસ્તે વનલક્ષ્મી વિકાસ ઉત્સવ અન્વયે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને ગરીબલક્ષી કાર્યક્રમોના લાભાર્થીઓ, આદિવાસી ખેડૂતો, સખીમંડળની આર્થિક પ્રવૃત્તિઓની બહેનોને, વિતરણ તથા સાર્વજનિક લોકસુવિધાઓ માટેના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણના કામો સંપન્ન થયા હતા. વનબંધુ યોજના, મુખ્યમંત્રી અમૃતમ્મા યોજનાના લાભાર્થીઓ તથા વન અધિકાર ધારા હેઠળ આદિવાસીઓને જંગલની જમીનના હક્કપત્રકો પણ મુખ્યમંત્રીનાં હસ્તે આપવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતની સરહદે આવેલા દૂરસુદૂરના આ ડુંગરાળ પ્રદેશમાં વસતા ડાંગના આદિવાસીઓના ચરણમાં વિકાસના પર્વ તરીકે પ્રજાસત્તાક પર્વને મૂકી દીધું છે. આખા આદિવાસી પૂર્વપટૃામાં સ્કીલડેવલપમેન્ટના ઉત્તમ હુન્નર કૌશલ્યની તાલીમ ઉપલબ્ધ કરી છે જેના કારણે હજારો વિદ્યાર્થીયુવાનો સક્ષમ બન્યા. ૧૦૦ યુવાનો વિદેશમાં આદિવાસી સમાજમાંથી અભ્યાસ કરે છે. ૧૫ આદિવાસી યુવાનો કોમર્શિયલ પાયલોટની તાલીમ લઇ રહ્યા છે. આદિવાસી કન્યાઓ નર્સિંગ સહિતના કૌશલ્ય વિકાસના પ્રશિક્ષણથી નવી શક્તિ બનીને બહાર આવી છે અને રમતગમતક્ષેત્રે આદિવાસી યુવક/યુવતિઓમાં રાષ્ટ્રીય સ્પર્ધામા મેદાન મારી રહ્યા છે.
ડાંગ જિલ્લામાં રૂા.૧૮૦ કરોડના વિકાસનો લાભ મળી રહ્યો છે. જે વિકાસની નવી ઊંચાઇ ઉપર જિલ્લાને લઇ જશે, એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આદિવાસી પૂર્વપટૃમાં કૃષિવિકાસ અને સિંચાઇની સુવિધાના આધુનિક લાભો આ સરકારે આપ્યા છે એની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વાડી પ્રોજેક્ટ, કાજુની ખેતી, શાકભાજીની ખેતીથી કૃષિક્ષેત્રે સમૃદ્ધિની દિશા માં આદિવાસી ખેડૂતો પ્રોત્સાહિત થયા છે. જંગલની જમીનના અધિકારપત્રો આપીને તેમના હક્કોનું રક્ષણ અનેક આંટીઘૂંટીમાંથી બહાર લાવીને હજારો આદિવાસીઓને જંગલની જમીનના હક્કો આપ્યા છે.
વિકાસના ટુકડા ફેંકીને આદિવાસીઓને ઓશિયાળી જિંદગી જીવવા મજબૂર નથી કરવા પરંતુ વનબંધુ યોજનાને વ્યાપક ફલક ઉપર વિસ્તારી રૂા.૪૦,૦૦૦ કરોડનું નવુ પેકેજ અમલમાં મૂકયું છે. વનબંધુ કલ્યાણ યોજના હવે આદિવાસીઓના કલ્યાણ માટે દેશમાં અભ્યાસનો વિષય બન્યો છે, એમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું.
આ પ્રસંગે ડાંગ જિલ્લાના પ્રભારી સચિવ એસ.કે.નંદાએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાને મળેલા અનેકવિધ વિકાસકામોની વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ વન વિભાગની સહભાગી વનમંડળીઓ મારફત પ્રા થયેલા યોજનાકીય લાભોની પણ આંકડાકીય રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે ગુજરાતના મુખ્ય સચિવ એ.કે.જોતિ, ધારાસભ્ય મંગળભાઇ ગાવિત અને મંગુભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખમતી બીબીબેન ચૌધરી, આરોગ્યના અધિક મુખ્ય સચિવ રાજેશ કિશોર, વનવિભાગના અગ્ર સચિવ એસ.કે.દાસ, સમાજ કલ્યાણના અગ્ર સચિવ સંજય પ્રસાદ, અગ્ર મુખ્ય વન સંરક્ષક એચ.કે.ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી બી.કે.ઠક્કર, ડાંગના રાજાઓ, જિલ્લાના અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, વનવાસી ભાઇબહેનો, વિવિધ યોજનાના લાભાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.પ્રારંભમાં વન વિભાગના મુખ્ય વન સંરક્ષક એસ.કે.ચતુર્વેદીએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી લાભાર્થીઓને અપાયેલી સહાય અંગે વિગતવાર જાણકારી આપી હતી, અને અંતમાં નાયબ વન સંરક્ષક એમ.એ.ચૌધરીએ આભારદર્શન કર્યું હતું.