નોટબંધીના 1 વર્ષનું સત્ય: આજે પણ 2 હજારના છુટ્ટા નથી મળતા
નોટબંધીના એક વર્ષ પછી ગુજરાતમાં સામાન્ય માણસની પરિસ્થિતિ શું છે. જાણો નોટબંધીના લેખા જોખાના એક વર્ષ પછીની જમીની હકીકત અહીં.
ગત 8 નવેમ્બર આજની તારીખે વહેલી સવારે ભારતના મોટાભાગના લોકો આ સમયે એટીએમની લાઇનમાં ઊભા હતા. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાતે જાહેરાત કરી હતી કે આજથી 500 અને 1000ની જૂની નોટો બંધ. તે પછી લગભગ 6 મહિના સુધી નોટને લઇને નવા નવા નિયમો આવ્યા જે સામાન્ય લોકો માટે નવી નવી મુશ્કેલી આવી. આજે આ વાતને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે એક વર્ષ પણ સામાન્ય માણસના જીવનમાં નોટબંધી વખતે જે પરિસ્થિતિ સર્જાઇ હતી તેમાં અને આજની પરિસ્થિતિમાં કંઇ ફરક આવ્યો છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો. અને જે જાણવા મળ્યું તે ખરેખરમાં ચોંકવનારું પણ હકીકત છે. વિગતવાર વાંચો અહીં...
2000ની નોટના છૂટ્ટા
નોટબંધી પછી 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવામાં આવી અને 2000 રૂપિયાની નવી નોટ બહાર કાઢવામાં આવી. પણ હકીકત એ છે કે નોટબંધીના 1 વર્ષ પછી આજની તારીખમાં ગુજરાતમાં કોઇ પણ તમને 2000 રૂપિયાની નોટના છુટ્ટા સરળતાથી આપતું નથી. એટીએમ માંથી 2000ની નોટ તો નીકળી જાય છે પણ એક સામાન્ય માણસને તેના છૂટા કરાવવા જતા ચાર જગ્યાએ ફરવું પડે છે.
ડિજીટલાઇઝેશન
નરેન્દ્ર મોદીએ નોટબંધી પછી તેવા અનેક પ્રયાસો કર્યા જેથી કરીને કેશમાં વ્યવહાર ઓછો થાય અને ડિજીટલ રીતે જ તમામ વ્યવહાર થઇ શકે. તેમનો આ પ્રયાસ સારો હતો પણ હકીકત એ છે કે ગુજરાતમાં આજે પણ હોસ્પિટલ જેવી જગ્યાએ પૈસા રોકડા જ લેવાય છે. ઉદાહરણ તરીકે ટાંકવા હોય તો અમદાવાદની ચાઇલ્ડ કેર હોસ્પિટલ જ લઇ લો. આ બાળકોની જાણીતી હોસ્પિટલ છે પણ કેસ નીકાળવા જાવ રોકડા જ આપવા પડે છે. અને આ એક હોસ્પિટલની વાત નથી ગુજરાતના કોઇ પણ દવાખાને જાવ સ્થિતિ આ છે. તો નોટબંધી પછી એક વર્ષમાં ડિજીટલાઇઝેશન ખાલી બેંગલુરુ, મુંબઇ જેવા શહેરોમાં અમુક અંશે રહ્યું છે આ મામલે ગુજરાતનો વિકાસ થવાનો બાકી છે!
ઘરમાં કેશ
નોટબંધી પછી લોકો બેંકમાં વધુ નાણાં રાખે ઘરમાં રોકડા ઓછા રાખે તે માટે પણ પ્રયાસો થયા. પણ હકીકત એ છે કે ગુજરાતમાં હોસ્પિટલ હોય કે સામાન્ય દુકાન આજે પણ ક્યાંક કાર્ડ નથી ચાલતું. પેટીએમ જેવા ઓપશન પણ ભાગ્યે જ ચાલે છે. એટલે એક વર્ષ પછી પણ લોકોને ઘરમાં ઇમરજન્સીને કેશના નામે પૈસા રાખવા જ પડે છે.
નોટબંધી અને સામાન્ય માણસ
નોટબંધી પછી સામાન્ય માણસ કલાકો સુધી લાઇનમાં ઊભો રહ્યો તેને એમ કે આ તેની દેશ સેવા છે. તેણે પોતાની પ્રામાણિકતા બતાવી પણ હા એક વર્ષ પછી તેને આમાં કંઇ ફરક લાગ્યો નહીં. ફરક ખાલી એટલો છે કે એક વર્ષ પહેલા તે આ સમય એટીએમની લાઇનમાં ઊભો છે અને એક વર્ષ પછી આજે તેના નોર્મલ લાઇફ રીટૂન પર છે. જ્યાં તેને બસમાં બેસવા પણ રોકડા જોઇએ છે. બહાર પરિવાર સાથે ખાવા જતી વખતે પણ રોકડા રાખવા પડે છે અને બિમાર થાય તો તે માટે પણ રોકડા હાથ વગે રાખવા પડે છે. તો નોટબંધી પછી મોદી સરકારે ડિજીટલ કેશ સારો વિચાર તો લાવ્યા પણ તે વિચાર એક વર્ષ પછી પણ આચારમાં નથી આવ્યો તે દુખની વાત છે.