ગુજરાતમાં જાગૃતિ માટે ચૂંટણીપંચે મેસ્કોટનું અનાવરણ કર્યું
ગાંધીનગર, 18 ઑક્ટોબર : ગુજરાતમાં આવી રહેલી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મતદારોની જાગૃતિ માટે ચૂંટણીપંચે ગુરુવારે 18 ઑક્ટોબર, 2012ના રોજ બે મેસ્કોટનું અનાવરણ કર્યું છે. જેને શ્રી મત અને શ્રી મતી નામ આપવામાં આવ્યાં છે.
આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે જણાવ્યું કે "ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં મતદાન અંગે રાજ્યના મહિલા અને પુરુષ મતદારોમાં જાગૃતિ લાવવા અને તેમનો મતદાનનો હક યોગ્ય રીતે ઉપયોગમાં આવે તે માટે મેસ્કોટ તૈયાર કરવામાં આવ્યા છે. આ મેસ્કોટ મતદાન કરનારાની આંગળી પર લગાવવામાં આવતી કાળી શાહીના સ્વરૂપે છે. મેસ્કોટના નામ શ્રી મત અને શ્રી મતિ રાખવામાં આવ્યા છે. જેમાં મતનો અર્થ વોટ અને મતિનો અર્થ બુધ્ધિ થાય છે. જેને સંયુક્ત રીતે કહી શકાય કે મતદારોએ તેમના મતોનો ઉપોયગ બુધ્ધિપૂર્વક કરવો જોઇએ."
રાજ્ય ચૂંટણી પંચ રાજ્યના દરેક વિસ્તારમાં પોસ્ટર, હોર્ડિંગ્સ અને અન્ય પ્રાચાર માધ્યમોની મદદથી તેનો પ્રચાર કરશે. કરવાલે આગળ જણાવ્યું કે ભારતનું ચૂંટણી પંચ ચૂંટણી અધિકારીઓ માટે અને પોલીસ અધિકારીઓ માટે તાલીમ યોજશે.