ભારતીય માછીમારો પર ગોળીબાર કરનારા પાકિસ્તાની કમાન્ડો પર FIR, સરકાર મુદ્દો ઉઠાવશે!
ગુજરાત નજીક અરબી સમુદ્રમાં પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી (PMSA) દ્વારા ભારતીય માછીમારો પર ગોળીબારની ઘટનાને સરકારે ગંભીરતાથી લીધી છે. સરકારે કહ્યું છે કે આ મામલાને રાજદ્વારી સ્તરે ઉઠાવવામાં આવશે.
નવી દિલ્હી : ગુજરાત નજીક અરબી સમુદ્રમાં પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી (PMSA) દ્વારા ભારતીય માછીમારો પર ગોળીબારની ઘટનાને સરકારે ગંભીરતાથી લીધી છે. સરકારે કહ્યું છે કે આ મામલાને રાજદ્વારી સ્તરે ઉઠાવવામાં આવશે. હાલમાં આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપી પાકિસ્તાની મરીન કમાન્ડો વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.
પાકિસ્તાને શનિવારે ભારતીય માછીમારોની બોટ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક માછીમારનું મોત થયું હતું, જ્યારે કેટલાક ઘાયલ થયા હતા. જે બાદ રવિવારે ભારતે કહ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને તેને પાકિસ્તાન સાથે રાજદ્વારી સ્તરે ઉઠાવવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની ગોળીબારમાં માર્યો ગયેલો માછીમાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાનો રહેવાસી હતો. બીજી તરફ દિલ્હીમાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે PMSA દ્વારા કરાયેલા બિનઉશ્કેરણીજનક ગોળીબારને ગંભીરતાથી લીધો છે અને તે આ મુદ્દો પાકિસ્તાન સાથે રાજદ્વારી રીતે ઉઠાવશે.
આજે ગુજરાત પોલીસે પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી (PMSA)ના 10 જવાનો સામે હત્યા અને હત્યાના પ્રયાસના આરોપસર FIR નોંધી છે. આ સંદર્ભે ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ) અને 114 (ગુનો કરવા માટે હાજર) અને આર્મ્સ એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે પોરબંદર જિલ્લાના નવી બંદર પોલીસ સ્ટેશનમાં રવિવારે રાત્રે FIR નોંધવામાં આવી હતી.
FIR મુજબ, શનિવારે સાંજે 4 વાગ્યે 10 પાકિસ્તાનીઓએ માછીમારોની ભારતીય બોટ જલપરીને નિશાન બનાવીને બે બોટ પર પાંચ-પાંચ ગોળીઓ ચલાવી હતી. જેમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના માછીમાર શ્રીધર ચામરે (32)નું મોત થયું હતું. બીજી તરફ ફાયરિંગમાં દીવના રહેવાસી દિલીપ સોલંકી (34) નામના અન્ય એક માછીમારને ઈજા થઈ હતી. ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં તેની સારવાર ચાલી રહી છે.
ભારતીય દરિયાઈ માછીમારી બોટમાં 7 ક્રૂ મેમ્બર હતા. પોરબંદરના માછીમારોના નેતા મનીષ લોધારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી (PMSA) એ બીજી ફિશિંગ બોટ શ્રી પદ્મિની પર સવાર 6 માછીમારોને પકડ્યા હતા અને બોટ પણ જપ્ત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રી પદ્મિની અને જલ પરી બંને ફિશિંગ ટ્રોલર્સના એક જ જૂથનો ભાગ હતા, જે ગુજરાતના જખૌ કિનારે કામ કરી રહ્યા હતા.
માછીમારોની ફરિયાદ મળ્યા બાદ નવી દિલ્હીમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. અમે આ મુદ્દો પાકિસ્તાન સાથે રાજદ્વારી રીતે ઉઠાવવા જઈ રહ્યા છીએ. નોંધપાત્ર વાત એ છે કે, ગયા વર્ષે ફેબ્રુઆરીથી પાકિસ્તાન દ્વારા પકડાયેલા માછીમારોની સંખ્યામાં સતત વધારો થયો છે. ગુજરાત સરકારે ત્યારબાદ રાજ્ય વિધાનસભાને જણાવ્યું કે પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીએ ગયા વર્ષે 13 અને 18 ફેબ્રુઆરી વચ્ચે ચાર અલગ-અલગ ઘટનાઓમાં 11 ફિશિંગ બોટ અને 63 ક્રૂ (માછીમારો)ને જપ્ત કર્યા હતા. તેમાંથી 23 માછીમારો પાકિસ્તાને 13 ફેબ્રુઆરી, 2020 એ એક જ દિવસે પકડ્યા હતા.