2 એપ્રિલે છે પોલીયો રસીકરણ, જિલ્લામાં ખોલાયા 369 બુથ
2 એપ્રિલે પોલીયો રસીકરણ દિવસ નિમિત્તે 54,400 જેટલાં ભુલકાંઓને આવરી લેવાના લક્ષ્યાંક સાથે સરકારે રચી 738 ટીમો.
રાજ્યભરમાં 2 એપ્રિલના દિવસને પોલીયો દિવસ નિમિત્તે યોજવામાં આવશે. આ દિવસે 0 થી 5 વર્ષની વયના તમામ બાળકોને તમારા ઘરની આસપાસના પોલિયો બુથ આગળ પોલિયોના રસી કરણ માટે જરૂરથી લઇ જશો. જેથી કરીને ગુજરાતનું એક પણ બાળક પોલીયોની રસીથી વંચિત ન રહે. વધુમાં અંતરિયાળ વિસ્તારમાં પણ આ કામગીરી વધુ સઘનતાથી હાથ ધરાય તે રીતનું માઇક્રો પ્લાનીંગ ઘડી કાઢી, જિલ્લાનાં તમામ ભૂલકાંઓને પોલીયો રસીકરણ હેઠળ આવરી લેવાનો પ્રયાસ કરવામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જે માટે આજે આરોગ્ય ખાતા અને પલ્સ પોલીયો સ્ટીયરીંગ કમિટીની એક બેઠક મળી હતી.
જેમાં અધ્યસ્થાનેથી સંબોધતાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રણજીતકુમાર સિંહે ઉમેર્યું હતું કે, નર્મદા જિલ્લામાં પલ્સ પોલીયો રસીકરણના અગાઉના રાઉન્ડની સફળતાને ધ્યાને રાખી, આ સફળતા માટેના અમલીકરણનાં માપદંડની તેમ જ પ્રચાર-પ્રસારની સઘન ઝુંબેશ થકી જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાતી પલ્સ પોલીયો અભિયાનની કામગીરી વધુ પરિણામલક્ષી બની રહે તે જોવામાં આવે. આ ઝુંબેશ દરમિયાન જિલ્લાના મુખ્ય મથકે કંટ્રોલ રૂમમાં હેલ્પલાઇન -(૦૨૬૪૦) ૨૨૧૮૦૬ કાર્યરત રહેશે, જેનો પ્રજાજનોને લાભ લેવા વિનંતી કરાઇ છે.
Read also:સૂર્ય દેવતાનો પ્રક્રોપ શરૂ, રાજ્યભરમાં યેલો એલર્ટ
બેઠકમાં ચર્ચા દરમિયાન ભાગ લેતાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વેકરીયાએ જણાવ્યું હતું કે, તા. ૨ જી એપ્રિલના રોજ અંદાજે ૧,૨૨,૪૭૩ ઘરોના ૦ થી ૫ વર્ષના ૫૪,૪૦૦ જેટલા ભુલકાંઓને ૩૬૯ જેટલા પોલીયો બુથ ઉપરથી રસી પીવડાવવામાં આવશે. જેમાં જિલ્લામાંથી પ્રજાજનોની અવર-જવર હોય તેવા જિલ્લા મથક ઉપરાંત તાલુકા મથકોમાં મેળા અને બજાર, એસ.ટી. ડેપો વગેરે જેવા જાહેર સ્થળોએ ૪૮ જેટલાં ટ્રાન્ઝિટ પોઇન્ટ ઉભા કરવામાં આવશે અને તેની સાથોસાથ ૩૧ મોબાઇલ ટીમો દ્વારા ભુલકાંઓને પોલીયોની રસી પીવડાવવામાં આવશે. આ કામગીરીમાં ૬૮ સુપરવાઇઝર ઉપરાંત જિલ્લામાં ૧૪૭૬ જેટલા કર્મયોગીઓ પણ તેમાં જોડાશે.
વધુમાં તા. ૩ જી અને ૪ થી એપ્રિલના રોજ આરોગ્ય ટુકડીઓ દ્વારા બાકી રહેલા ભુલકાંઓની ઘેર ઘેર તપાસ કરીને તેમને પોલીયોની રસી પીવડાવી લક્ષ્યાંક મુજબના તમામ ભુલકાંઓને પોલીયો સામે રસીથી રક્ષણ આપવામાં આવશે. પોલીયોની રસી ન લીધી હોય તેવા ભુલકાંઓને પોલીયો થવાની શક્યતાઓ રહેલી છે, ત્યારે પોલીયો રોગની ગંભીરતાને લક્ષમાં લઇ તમામ વાલીઓને પોતાના ભુલકાંઓને આ દિવસે પોલીયો રસીના ડોઝ દ્વારા પોલીયો સામે રક્ષણ આપવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.