કોંગ્રેસે રાજ્યમાં 4 પાટીદાર CMને જપીને બસવા નથી દીધા:PM
જસદણ ખાતે પીએમ મોદીનું સંબોધનકોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારોપીએમ મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ વાંચો અહીં...
સોમવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. અહીં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ત્યારે બાદ બપોરે જસદણ પહોંચ્યા હતા. જસદણ ખાતે તેમણે સભા સંબોધતા કહ્યું હતું કે, 'જસદણ દર વર્ષે ગાડી ચૂકી જાય છે, અમે અમારી સેવામાં ક્યાંય કચાશ નથી રાખી. દેશને પહેલા એવા રાષ્ટ્રપતિ મળ્યા છે, જેમને સૌના નામ યાદ હોય. સૌરાષ્ટ્રવાસીઓ સીધા રાષ્ટ્રપતિના સંપર્કમાં છે. રક્ષાબંધનમાં અહીંના બધા બહેનો મને રાખડી બાંધવા આવ્યા હતા. મેં પૂછ્યું કે, હું ત્રણ વર્ષથી અહીં છું, તમે આ વર્ષે જ કેમ અહીં આવ્યા? તો જવાબ મળ્યો કે, અમે તો રાષ્ટ્રપતિને રાખડી બાંધવા આવ્યા હતા, ત્યાંથી અહીં આવ્યા. પાણીનો દુકાળ આખી જિંદગી જોયો છે. અમે જ્યારે નર્મદાનું પાણી લાવવાની વાત કરતા હતા ત્યારે એ લોકો અમારી મજાક ઉડાવતા હતા, અપશબ્દો બોલતા હતા. એમની એ ટેવ તો હજુ પણ સુધરી નથી.'
આપ પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહારો
'થોડા વર્ષો પહેલાં દિલ્હીમાં નવી પાર્ટી જન્મી, લોકોને લાગ્યું ઓહો શું કામ કરશે! એ ભાઇ સમાચારમાં રહેવા રોજ કોઇને કોઇ વ્યક્તિને ગાળ આપતા. મને થયું કે, કોંગ્રેસીઓમાં આ કુટેવ તો નથી. પરંતુ એ લોકોએ પણ એ જ ચાલુ કર્યું છે. પરાજય તો થાય, ગુજરાતની જનતાએ પહેલા પણ કોઇ દિવસ તમને સ્વીકાર્યા નહોતા, તો હવે શું સ્વીકારવાની હતી? તેમણે સરદાર પટેલનું અપમાન તો કર્યું જ, ગુજરાતને પણ ખૂબ અન્યાય કર્યો છે. મણિબહેનની ડાયરી જુઓ તો બધાને ખબર પડે કે, તમે સરદાર સાહેબ સાથે કેવો વ્યવહાર કર્યો હતો! બીજાને પૂછવાની જરૂર નથી. મોરારજીભાઇ દેસાઇનું પણ અપમાન કર્યું. તેમણે નિવેદન આપ્યું છે કે, મને રિંગણા-બટાકાની જેમ કાઢી મૂક્યો.'
4 પાટીદાર CM
'કોંગ્રેસે ગુજરાતની અંદર ચાર-ચાર પાટીદાર મુખ્યમંત્રીઓને જપીને બેસવા નથી દીધા. જનસંઘના સમર્થનથી બાબુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ એ કોંગ્રેસને ના ગમ્યું. બાબુભાઈ પટેલ પછી ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા એ પણ કોંગ્રેસને ના ગમ્યું અને તેમની સરકાર પાડવા માટે વિરોધની રણનીતિઓ ઘડી હતી. ગુજરાતને બદનામ કરવા કોઇ પણ રસ્તો અપનાવવો એ કોંગ્રેસનો ઇતિહાસ છે. હવે એમને તકલીફ છે, એક ચાવાળો! મેં આવો દ્વેષ ક્યાંય જોયો નથી, કલ્પ્યો નથી. મેં સાંભળ્યું હતું કે, મોટા લોકો નાના લોકો સાથે કેવું કેવું કરે છે. ખેરખર આટલી નીચતા કોઇ બતાવશે એવું ધાર્યું નહોતું. છાશવારે મને કહે છે કે, ફરી ચા વેચતા કરી દઇશું. કોંગ્રેસવાળા લખી રાખે, આ મોદી છે. ચા વેચશે, દેશ વેચવાનું પાપ ક્યારેય નહીં કરે.'
'કચ્છમાં પીણીની સમસ્યા દૂર કરી'
'કચ્છમાં પાણીનો દુકાળ સમાપ્ત થાય એ માટે નર્મદા યોજના માટે દિલ્હી સરકાર સામે લડત આપી હતી. ખુરશીની ચિંતા હોત તો આ ના કર્યું હોત. નર્મદા યોજનાની પણ એ લોકો મજાક ઉડાવતા. બે તળાવ સૌની યોજનાથી ભરાઇ ગયા છે, બીજા 15 પણ બનવાના છે એ વાત યાદ રાખજો. મુખ્યમંત્રી તરીકે આવ્યો ત્યારે 'વીજળી નથી' ના નામે મારા પૂતળાં બાળતા હતા. મેં કહ્યું, વીજળી ઉત્પન્ન કરવા માટે સમય તો આપો. એ સમયે જ મેં નક્કી કરી લીધું હતું કે, વીજળીની સમસ્યા દૂર કરીશ અને મારા કાર્યકાળ દમિયાન એ મેં કરી બતાવ્યું. ખેતરે-ખેતરે સોલાર પંપ હોય, વીજળીના બિલનું નામોનિશાન ના હોય એ કામ કરવાનું પણ મેં હાથમાં લીધું છે અને હું કરીને રહીશ.'
રાહુલના બટાકાવાળા વીડિયો પર કટાક્ષ
'આ તો ઠીક છે કે, ગુજરાતની પ્રજા સમજદાર છે, ખેડૂતો હોંશિયાર છે. બાકી આવા લોકોના ભાષણ સાંભળીને તો ખેડૂતો બિચારા બટાકાની ખેતી શરૂ કરી દે. એને એમ થાય કે સારી કમાણી થશે. ગુજરાતની પ્રજા હોંશિયાર છે, મહેનત કરશે પણ આવી મફતિયાઓની વાતોમાં નહીં આવે. આ દેશમાં ક્યારેય એવી સરકાર આવી છે જે મધ્યમ વર્ગના માણસને ઘર મળે એવી યોજના બનાવે? આ કામ સૌ પ્રથમ અમે કર્યું છે. મધ્યમ વર્ગને ઘર માટે લોન મળે, લોનના વ્યાજમાં પણ મદદ મળે એવું કામ સૌ પ્રથમ અમારી સરકારે કર્યું છે. આરોગ્ય સેવાઓ ગરીબો ભોગવી શકે, એમના માથે હોસ્પિટલનું બિલ ન ચડે એ વાત સુનિશ્ચિત કરવાનું કામ અમે કર્યું છે. આને કહેવાય વિકાસ, આવી રીતે કરાય વિકાસ. એ લોકોને ખબર જ નથી કે વિકાસ શું છે અને એમને વિકાસ સાથે લેવા-દેવા પણ નથી.'
સામાન્ય માણસ માટે વિમાનની મુસાફરી
'અહીં એરપોર્ટ બનવાનું છે, એના નિર્માણમાં અહીંના લોકોને મજૂરી મળશે. એક તરફ આધુનિકતા અને બીજી બાજુ હવાઇ ચંપલ પહેરતા લોકો વિમાનમાં બેસી શકે એ અમારો ધ્યે છે. અમે નિયમ લાવ્યા, 1 કલાકની મુસાફરીને અઢી હજાર રૂપિયા. સામાન્ય માનવી પણ વિમાનમાં બેસી શકે એ માટે આ કર્યું. વિમાન માત્ર અમીરો માટે નથી. ગામડાઓ, ખેડૂતો, ગરીબ અને મધ્યમ વર્ગ માટે અમે વિકાસ કર્યો છે. મારા-તારાના આંટા વિના, જાતિવાદ વિના વિકાસ કર્યો છે.'
PM મોદીએ આપ્યો વિકાસનો હિસાબ
'કોંગ્રેસ પાર્ટીના બચવાની શક્યતા ગઇ છે. હતાશાને કારણે એ લોકો આવી ભાષાનો પ્રયોગ કરી રહ્યાં છે, તળિયા વગરના આરોપો મુકી રહ્યાં છે. આ ગુજરાતની જનતા 9 તારીખે કોંગ્રેસની એક-એક ગાળનો હિસાબ માંગવાની છે. દિલ્હીમાં બેઠો હોઉં તો પણ ગુજરાતને નુકસાન થાય એવી નીતિ હું બનાવું? હું ગુજરાતની રગે રગથી વાકેફ છું. કોંગ્રેસની સરકાર હતી ત્યારે ફાઇનાન્સના ખાતમાં 50 હજાર કરોડ જતા, હવે ડબલ 1 લાખ કરોડ કરતા પણ વધુ ગુજરાતને ફાળવવામાં આવે છે. આ રો-રો ફેરી સર્વિસ કોણે ચાલુ કરી? કાઠિયાવાડ ખાલી થઇ જતું હતું, એને ફરી ધમધમતું કરવા માટે આવા વિકાસના કામ કરવાનું કામ ભાજપે કર્યું છે. અમારે ગુજરાતને હજુ આગળ લઇ જવું છે. દુનિયાના સમૃદ્ધ દેશો સાથે થશે ગુજરાતની હરીફાઇ.'
GST અને નોટબંધી
'કેટલાક લોકો જીએસટીના નામે ધરાર જૂઠ્ઠાણાં ચલાવે છે. બેઠકમાં બધા રાજ્યના મુખ્યમંત્રીઓ હોય છે, બધા નિર્ણયોમાં ભાગીદાર બને છે. એમાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓ પણ હોય છે, પરંતુ બહાર આવીને અલગ નિવેદનો કરે છે. મેં પહેલા જ કહ્યું હતું કે, આ નવી વ્યવસ્થા છે. આપણે જાતે 50 વાર જોઇને નવું મકાન બનાવ્યું હોય, તો પણ રહેવા જઇએ ત્યારે કરવા જેવા થોડા સુધારા નજરે ચડે. જીએસટી લાગુ કર્યો ત્યારે અમને પણ ખબર હતી કે વિવિધ પ્રશ્નો આવશે. દિલ્હીની સરકાર લોકોની વાત સાંભળે છે, સમજે છે અને સુધારા કરવાની હિંમત કરે છે. આ નવી વ્યવસ્થા જડબેસલાક રીતે થોપી ન શકાય, નવી વ્યવસ્થા લચીલી હોય, અમે સમજીએ છીએ. તમે 17 વર્ષ વેડફ્યા, અમને આ સારુ કરવામાં 17 મહિના પણ નથી લાગવાના, લખી રાખો! નોટબંધી કરી એમાં તો જાણે કમાઉ દિકરો મર્યો હોય અને બેસણામાંથી બહાર ન આવ્યા હોય એવું કરે છે. એમનું બધુ લૂંટાઇ ગયું. નોટબંધી કરી તો બેંકોમાંથી ખબર પડી કે, પાકિસ્તાનમાંથી પૈસા કઇ રીતે જમ્મુ-કાશ્મીરમાં આવતા હતા, આજે એ બધા જેલમાં સડે છે.
જાતિવાદનું ઝેર ભરે છે કોંગ્રેસ
'કાશ્મીરમાં આતંકીઓ સામે અમે જે લડત શરૂ કરી છે, એમાં અત્યાર સુધીમાં બે સદી પાર કરી દીધી. જન્નતમાં મોકલી આપ્યા. મુખ્યમંત્રી હતો ત્યારે અમરનાથના યાત્રીઓ પર હુમલો થયો, આરોપીઓને સજા આપવામાં કંઇ કેટલોયે સમય લાગ્યો, એ પછી પીએેમ બન્યો ત્યારે ફરી અમરનાથના યાત્રીઓ પર હુમલો થયો ત્યારે એક મહિનામાં બધાને વીણી-વીણીને કાર્યક્રમ પૂરો કર્યો! ગુજરાતમાં, અમદાવાદમાં છાશવારે હુલ્લડો થતા હતા. એમાં શાંતિ સ્થાપવાનું કામ ભાજપે કર્યું છે. આજે કોંગ્રેસે ફરી જાતિવાદનું ઝેર ભરવા માંડ્યુ છે. ચૂંટણીઓ આવશે અને જશે, પરંતુ ગુજરાતના તાણાવાણા વીંખાય ન જાય એ જોવાની જવાબદારી આપણી છે. નહીં તો ફરી એવા દિવસો જોવા મળશે, જ્યારે ગુજરાતમાં આપણા ઊભા પાક બાળવામાં આવતા હતા.'