ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ગુજરાત ભાજપમાં અસંતોષ
ભાજપે ઉમેદવારોની યાદી તો જાહેર કરી પરંતુ નેતાઓ અને સમર્થકોને સંતોષ ન આપી શક્યાકેટલાયે સ્થાનિક નેતા અને તેમના સમર્થકોએ કર્યો વિરોધઆ અંગે વધુ વાંચો અહીં...
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે, શુક્રવારે ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં કુલ 70 ઉમેદવારો છે. જો કે, આ પ્રથમ યાદી જાહેર કરવામાં પણ ભાજપે ખાસો સમય લીધો હતો. લગભગ બે દિવસ ચાલેલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક બાદ આ યાદી બહાર પાડવામાં આવી હતી. જેને કારણે પક્ષમાં આનંદીબહેન પટેલ અને અમિત શાહ વચ્ચેનો વિખવાદ સપાટીએ આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. એ પછી હવે વિવિધ વિસ્તારોમાં ભાજપના નેતાઓ અને સમર્થકો પણ નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.
યાદી જાહેર થયા બાદ શુક્રવારે સાંજે પાદરામાં અસંતોષની લાગણી જોવા મળી હતી. પાદરાથી દિનેશ પટેલને ટિકિટ અપાતાં કમલેશ પરમારે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ શનિવારે વઢવાણ ભાજપમાં ઉગ્ર વાતાવરણ જોવા મળ્યું હતુ. વઢવાણથી ધનજી પટેલને ટિકિટ આપવામાં આવી છે અને આઇ.કે.જાડેજાનું પત્તુ કપાઇ ગયું છે. આથી તેમના સમર્થકો રોષે ભરાયા હતા અને આઇ.કે.જાડેજાના નિવાસસ્થાનેથી નીકળી કમલમ્ પહોંચ્યા હતા. આ અંગે આઇ.કે.જાડેજાએ કહ્યું હતું કે, હું 40 વર્ષથી ભાજપમાં છે. 2012માં મને ટિકિટ ન આપતાં સંગઠનનું કામ કરવાનું કહેવામાં આવ્યું હતું, જે મેં કર્યું. આ વખતે પક્ષે મને વઢવાણથી ટિકિટ આપવાનું કહ્યું હતું, પરંતુ એમ થયું નહીં. વઢવાણ પર બહારના ઉમેદવાર સામે અમારો વિરોધ છે, બાકી હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહીશ. વઢવાણમાં જૈન ઉમેદવારને ટિકિટ ન મળતાં જૈન સમાજમાં પણ અસંતોષ છે, તેઓ કમલમ્ સામે કાળી પટ્ટી બાંધી વિરોધ કરનાર છે તથા તેમના ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડશે એમ કહેવાઇ રહ્યું છે. તો બીજી બાજુ દિયોદરમાં પણ અસંતોષ ફેલાય એવી શક્યતા છે.