ગુજરાતઃ કોવિડ ફરજ પરના નિવાસી તબીબોનું સ્ટાઈપેન્ડ 40% વધ્યું
ગુજરાતઃ કોવિડ ફરજ પરના નિવાસી તબીબોનું સ્ટાઈપેન્ડ 40% વધ્યું
રાજ્યમાં કોરોનાવાયરસનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે કોવિડ 19 ડ્યૂટી પર તબીબો હાજર રહે તે સુનિશ્ચિત કરવા માટે વિજય રૂપાણી સરકારે કોવિડ હોસ્પિટલમાં ફરજ પર રહેલા તમામ રેસિડેન્ટ ડૉક્ટરનું સ્ટાઈપેન્ડ 40% વધારી દીધું છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જૂનિયર ડૉક્ટર એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે શુક્રવારે મળેલી કોન્ફ્રેન્સ બાદ ગુજરાત સરકારે સ્ટાઈપેન્ડ વધારવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે સુરતના તબીબોએ શનિવારથી કામનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી અને એટલું જ નહિ, રાજ્યભરના ડૉક્ટરોએ સુરતના તબીબોને સમર્થન પણ આપ્યું હતું ત્યારે સરકાર હરકતમાં આવી.
ભરૂચઃ કોવિડ 19 હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 18 લોકોનાં મોત
જૂનિયર ડૉક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ બિસ્વજીત રાજે કહ્યું કે, અમે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે વીડિયો કોન્ફ્રેન્સ કર્યો હતો જેઓ સ્ટાઈપેન્ડ વધારવાની અમારી માંગણી સાથે સહમત થયા. આ અગાઉ જ કરી દેવાનું હતું. હવે સ્ટાઈપેન્ડ વધી ગયું હોય તબીબોએ કામનો બહિષ્કાર કરવાનો તેમનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.
આ સ્ટાઈપેન્ડ વધારાથી સરકારી મેડિકલ કોલેજના 5767 અને GMERSના 634 એમ કુલ 6401 નિવાસી ડૉક્ટર્સને ફાયદો થશે. સરકારે કહ્યું કે આ સ્ટાઈપેન્ડ વધારાથી સરકાર પર 100 કરોડનો બોજો વધશે.