હાર્દિક પટેલને રાજદ્રોહ કેસમાં મળ્યા જામીન
રાજદ્રોહના કેસમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને આજે અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટેમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં અમદાવાદના રાજદ્રોહના કેસમાં તેની જામીન અરજી પર સુનવણી થઇ હતી. જે મુજબ ગુજરાતની સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને 6 મહિના સુધી ગુજરાતની બહાર રહેવાની શરતે જામીન અરજી મંજૂર કરી છે.
નોંધનીય છે કે પાછલા લાંબા સમયથી રાજદ્રોહના કેસમાં જેલની હવા ખાઇ રહેલા હાર્દિક પટેલને હવે જેલની બહાર નીકળી શકે છે તેવી શક્યતાઓ ઊભી થઇ છે. જો કે હાલ તો શરતી જામીન મુજબ તેને 6 મહિના સુધી ગુજરાતની બહાર રહેવું પડશે. નોંધનીય છે કે હાર્દિક પટેલના વકીલે આ અંગે એફિડેવિટ કોર્ટમાં મૂકી હતી. જેને કોર્ટે મંજૂર કરી હતી.
નોંધનીય છે કે હાર્દિક પટેલ પર અન્ય પણ કેસ હોવાના કારણે તે જેલની બહાર આવશે કે કેમ તે પર ચિત્ર હજી સ્પષ્ટ નથી થયું પણ હાર્દિકને જામીન મળ્યાના સમચારથી સમગ્ર પાટીદાર સમાજ અને હાર્દિકનો પરિવાર હાલ ખુશ છે. પાટીદાર નેતાએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરી છે.
ત્યાં જ ભાજપના પ્રવકતા ભરત પંડ્યા પણ કહ્યું છે કે હાર્દિકના બહાર આવવાથી તે ખુશ છે કારણ કે ભાજપ અને રાજ્ય સરકાર સંવાદ અને શાંતિના માર્ગે જ તમામ વસ્તુઓનો હલ શોધવામાં વિશ્વાસ રાખે છે. નોંધનીય છે કે આ કેસમાં જોડાયેલા કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયા પહેલા જામીન મળી ચુક્યા છે.