હાર્દિકને જામીન મળ્યા પણ હજી જેલમાં જ રહેવું પડશે, જાણો કેમ?
પાટીદાર સમાજ અને પાટીદાર અનામત આંદોલન માટે આજે એક મોટો દિવસ છે. કારણ કે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની જામીન અરજી પર શુક્રવારે ગુજરાત હાઇકોર્ટે મોહર લગાવી છે. 6 મહિના ગુજરાતની બહાર રહેવાની અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવામાં મદદરૂપ રહેવાની શરતે હાર્દિક પટેલને જામીન મળી છે.
આ માટે હાર્દિક પટેલે હાલ તેના પાસપોર્ટ પણ કોર્ટ સમક્ષ સબમીટ કરાવ્યા છે. પણ હજી પણ હાર્દિક પટેલની જેલની બહાર નીકળવાનો માર્ગ એટલો સરળ નથી થયો. કારણ કે રાજદ્રોહના આ કેસ સિવાય પણ તેની પર અન્ય કેસ લાગેલો છે. વિસનગરના એક કેસની સુનવણી 11મી જુલાઇએ થવાની છે. જે બાદ જ હાર્દિક પટેલની જેલની બહાર આવવાની શક્યતા સ્પષ્ટ થશે.
જો કે પાછલા 9 મહિનાથી ગુજરાતની અલગ અલગ જેલોની હવા ખાતા હાર્દિક પટેલની જેલની બહાર આવવાની શક્યતા હવે ખુબ જ સ્પષ્ટ થતા તેના પરિવાર અને પાટીદાર નેતાઓએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. ત્યારે આ અંગે કેવી કેવી પ્રતિક્રિયા આપવામાં આવી છે તે વિષે વધુ જાણો અહીં...
ભરત પટેલ
હાર્દિકના પિતા ભરત પટેલ આ અંગે ખુશી વ્યક્ત કરી છે કે છેવટે તેમનો પુત્ર જેલની બહાર નીકળશે. તેમણે મીડિયા ચેનલો જોડે વાત કરતા જણાવ્યું કે તેમણે ફટાકડા ફોડીને તેમની આ ખુશીને માણી હતી. વધુમાં તેમણે કહ્યું કે જેલની બહાર નીકળીને પણ મારો પુત્ર બીજા રાજ્યમાં રહીને પણ સમાજના કામ કરતો રહેશે.
પાટીદાર આંદોલનને મળશે વેગ
નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલન હાર્દિકના જેલમાં ગયા પછી એક અંશે શાંત પડી ગયું હતું. પણ જ્યારે હાર્દિકના બહાર આવવાની ખબર આવી છે ત્યારે તે વાત પણ પાક્કી છે કે આ આંદોલનને પણ વેગ મળશે જ.
15મી સુધી તો જેલમાં
વિસનગર કોર્ટમાં હાર્દિક પટેલને 11મી તારીખે રજૂ કરવામાં આવશે. તેની પર એક ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાનો આરોપ છે. જો આ કેસમાં હાર્દિકના પક્ષમાં ચુકાદો આવશે તો તે 15મી સુધી બહાર આવી શકે છે.
ખુશીનો માહોલ
જો કે હાલ તો હાર્દિકની જામીન મંજૂર થતા સમગ્ર પાટીદાર સમાજમાં ખુશી વ્યાપી ગઇ છે. આ સમાચાર મળતા હાર્દિકના ગામ વિરમગામમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને લોકોએ આશા વ્યક્ત કરી હતી કે હાર્દિક 15મી જુલાઇએ જેલની બહાર આવશે.
હાર્દિક પટેલની પ્રતિક્રિયા
જામીન મળ્યા બાદ હાર્દિક પટેલે જામીન અંગે પ્રતિક્રિયા આપતા મીડિયાને જણાવ્યું હતું કે "મને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે. સરકાર કે મધ્યસ્થીની વગર અમે અમારું આ આંદોલન ચાલુ રાખશું. અને આગામી રણનીતિ નક્કી કરશું."