હાર્દિક અને જિગ્નેશ મેવાણીથી ડરી ગયા છે મોદી-શાહઃ રાજકોટમાં કન્હૈયા કુમાર
ગુજરાત પહોંચેલા જેએનયુ છાત્રસંઘના પૂર્વાધ્યક્ષ તેમજ ડાબેરી નેતા કન્હૈયા કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર આકરી ટિપ્પણીઓ કરી છે.
ગુજરાત પહોંચેલા જેએનયુ છાત્રસંઘના પૂર્વાધ્યક્ષ તેમજ ડાબેરી નેતા કન્હૈયા કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર આકરી ટિપ્પણીઓ કરી છે. કન્હૈયાએ કહ્યુ કે, 'મોદી અને શાહ અહીંના હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીથી ડરી ગયા છે. એટલા માટે ગુજરાતમાં હુમલાઓ થઈ રહ્યા છે અને ઘણા યુવાનોને ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે.'
રાજકોટમાં ભાજપ પર કરાયા ધારદાર હુમલા
કન્હૈયા ‘ટીમ ઈન્દ્રનીલ ફોર યુ' ના ‘બંધારણ બચાવો' કાર્યક્રમ માટે રાજકોટ પહોંચ્યા છે. અહીં એરપોર્ટ પર પત્રકારોના સવાલો પર તેમણે ઘણી વાતોના જવાબ આપ્યા. તેમણે ભાજપનો વિરોધ કરતા રહેવાની પોતાની ઘણી જૂની વાતો પુનરાવર્તિત કરી. કન્હૈયાએ કહ્યુ કે ભાજપ સરકારમાં બંધારણ પર હુમલા થઈ રહ્યા છે. યુપીમાં માત્ર મુખ્યમંત્રી અખિલેશ યાદવને નથી રોકવામાં આવ્યા પરંતુ તેમના સમર્થકોની પિટાઈ પણ કરવામાં આવી છે. આમ થવુ આપણા માટે દુઃખદ વાત છે. આ બંધારણ પર કરવામાં આવેલી ઈજા છે.
‘ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે'
ગુજરાતમાં એક પછી એક ખેડૂતોની આત્મહત્યાના કેસ પર કન્હૈયાએ કહ્યુ કે અહીં સરકાર મોટા મોટા દાવાઓ કરી રહી છે. જ્યારે ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બની રહ્યા છે. યુવાનો પાસે રોજગાર નથી. તેમનો અવાજ ઉઠાવનારા હાર્દિક અને જિગ્નેશ જેવા યુવાનોને દબાવવામાં આવી રહ્યા છે કારણકે આ યુવાનોથી સરકાર ડરી ગઈ છે. આવા યુવાનો સામે ખોટા કેસો કરીને તેમને ફસાવવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં જિગ્નેશ મેવાણીનો કાર્યક્રમ રદ કરવો ખૂબ જ શરમજનક છે.
‘ગુજરાત મૉડલ જોવા આવ્યો છુ'
એક તરફ કન્હૈયા જ્યાં મીડિયાકર્મીઓને બાઈટ આપી રહ્યા હતા ત્યાં તેમની આગેવાની કરવા માટે એનએસયુઆ તેમજ ટીમ ઈન્દ્રનીલના વર્કર્સ એરપોર્ટ પહોંચી ગયા. આ તરફ તેમના આવવાના સમાચાર મળતા જ ભાજપવાળા પણ વિરોધ કરવા પહોંચી ગયા. પોસ્ટર પર કાળી શાહી લગાવીને વિરોધ કરવામાં આવ્યો. આના પર કન્હૈયાએ કહ્યુ કે, ‘લોકતંત્રમાં બધાને વિરોધ કરવાનો અધિકાર છે. તે જ રીતે ભારતના નાગરિક હોવાના કારણે મને પણ મારી વાત કહેવાનો અધિકાર છે. હું ગુજરાતમાં એ જોવા આવ્યો છુ કે મોદી જે ગુજરાત મૉડલની વારંવાર પ્રશંસા કરતા રહે છે તે હકીકતમાં કેવુ છે? એમાં શું ખાસ છે.'
કોણ છે કન્હૈયા કુમાર
કન્હૈયા કુમાર બિહારના બેગુસરાય જિલ્લામાં તેઘરા વિધાનસભા વિસ્તાર સ્થિત બરોનીના બિહટના રહેવાસી છે. પટનામાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તે દિલ્લી આવ્યા જ્યાં તેમણે જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલયમાં આફ્રિકન સ્ટડીઝ માટે પીએચડીમાં પ્રવેશ મેળવ્યો. વર્ષ 2015માં છાત્રસંઘન અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. અહીંથી જ તેમના વક્તા તરીકેના ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. કહેવાય છે કે જેએનયુ છાત્રસંઘ ચૂંટણીના એક દિવસ પહેલા તેમણે એક સ્પીચ આપી હતી જેનાથી તેમની જીત પાક્કી થઈ ગઈ હતી.
કોણ છે માતાપિતા
કન્હૈયાના પિતાનું નામ જયશંકર સિંહ છે કે જે લકવાગ્રસ્ત છે જ્યારે મા આંગણવાડી સેવિકા છે. મોટો ભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
ડાબેરીઓમાં ઘણા લોકપ્રિય છે કન્હૈયા
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ની સ્ટુડન્ટ વિંગ અખિલ ભારતીય છાત્ર પરિષદ (AISF) ના પ્રમુખ પણ છે. તે ડાબેરી વિચારસરણીથી જોડાયેલા છે એટલા માટે રાજગ સાથે જોડાયેલા પક્ષ અને સંગઠનોનો ખાસ્સો વિરોધ ચાલુ રહે છે. 2016માં તેમના પર દેશદ્રોહના આરોપ પણ લાગ્યા હતા. જેમાં પોલિસે તેમની ધરપકડ કરી લીધી હતી અને બાદમાં કોર્ટે સલાહ આપીને છોડી મૂક્યા હતા.
દેશદ્રોહ સાથે જોડાયેલો આ કેસ જેએનયુમાં અફઝલ ગુરુની વરસી પર 9 ફેબ્રુઆરી, 2016નો રોજ સામે આવ્યો હતો. આ દરમિયાન તેમના કાર્યક્રમમાં ‘ભારત તેરે ટુકડે હોંગે, ઈંશા અલ્લાહ, ઈંશા અલ્લાહ...' જેવા સૂત્રોચ્ચારના વીડિયો વાયરલ થયા હતા. જો કે તેની સત્યતાની પુષ્ટિ થઈ શકી નહોતી. ત્રણ વર્ષ બાદ 2019માં 14 જાન્યુઆરીએ દેશદ્રોહી સુત્રોચ્ચાર મામલે આરોપી ગણીને દિલ્લી પોલિસે કન્હૈયા અને તેમના દોસ્ત ઉમર ખાલિદ સહિત ઘણા લોકો સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. હાલમાં તો કન્હૈયાના આગામી લોકસભા ચૂંટણીમાં ભાગ લેવાની અટકળો લગાવવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ભૂકંપના ઝટકાથી ધ્રૂજ્યો અંદમાન ટાપુ, તીવ્રતા 4.5 રિક્ટર સ્કેલ