જેલ કે મુક્તિ, આજે નક્કી થશે હાર્દિક પટેલનું ભાવી
આજે હાર્દિક પટેલ અને સમગ્ર પાટીદાર સમાજ માટે મહત્વનો દિવસ છે. કારણ કે આજે હાર્દિક પટેલને જેલ મળશે કે મુક્તિ મળશે તે વાત નક્કી થશે. વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં સોમવારે કોર્ટ દ્વારા હાર્દિક પટેલની જામીન અરજી પર ચુકાદો આવવાનો છે. નોંધનીય છે કે આજે હાઇકોર્ટમાં બપોરે 1 વાગ્યાની આસપાસ આ પર ચૂકાદો આવશે.
પાછલા 9 મહિનાથી પાટીદાર અનામત આંદોલન બાદ થયેલી હિંસા અને તોડફોડના કારણે હાર્દિક પટેલ જેલમાં છે. જો કે રાજદ્રોહના કેસમાં હાલમાં જ તેને નામદાર કોર્ટે શરતી જામીન આપ્યા છે. પણ વિસનગરના કેસના કારણે તેને હાલ જેલમાં રહેવાનો વખત આવ્યો છે. પણ જો આજે કોર્ટ તેને આ કેસમાંથી પણ જામીન આપશે તો હાર્દિક પટેલની જેલમાંથી બહાર આવવાની શક્યતા વધી જશે. જો કે રાજદ્રોહના કેસમાં મળેલ શરતી જામીન મુજબ હાર્દિક પટેલને ગુજરાતની બહારના રાજ્યમાં 6 મહિના સુધી રહેવું પડશે.
ત્યારે હાલ તો હાર્દિક પટેલનો પરિવાર હાર્દિક પટેલની જેલમુક્તિને લઇને આશાવાદી છે. અને પાટીદાર સમાજ પર તેમના લાડીલા નેતાની જેલની બહાર આવવાની શક્યતાને લઇને હરખમાં છે. ત્યારે હાર્દિક પટેલના ભાવિનો ફેસલો સોમવારે બપોરે 1 વાગ્યા સુધીમાં આવી જશે. જે અંગે માહિતી મેળવવા વાંચતા રહો વનઇન્ડિયા.