'મેડમ'ને ગુજરાતમાં જે ના દેખાયુ તે PMએ કહીં બતાવ્યું

છેલ્લા 10 વર્ષમાં ગુજરાતનો ચહેરો બદલાયો છે તેમાં બેમત નથી
અન્ય રાજ્યોની સરખામણીએ કે પછી છેલ્લા 10 કે 12 વર્ષ પહેલાના ગુજરાત રાજ્યની સરખામણીએ આજના ગુજરાતને જોવામાં આવે તો ચોક્કસપણે એ વાત કહીં શકાય કે રાજ્યમાં વિકાસ થયો છે. ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા છે, માર્ગ અને મકાનો સુધર્યા છે, નહેરો છેવાડા સુધી પહોંચી રહી છે. વિકાસલક્ષી અને કલ્યાણ લક્ષી યોજનાઓનો લાભ લોકો લેતા થયા છે. અનેકવિધ બાબતોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ ચઢિયાતું સાબિત થયું છે અને તેની નોંધ માત્ર દેશે જ નહીં પરંતુ વિશ્વએ જ લીધી છે અને દેશના ઘણા રાજ્યો એવા છે જે ગુજરાતમાં જે વિકાસ મોડલ અપનાવવામાં આવ્યું છે તેને અનુસરવા જઇ રહ્યાં છે. ખૂદ વડાપ્રધાન પણ પોતાના નિવેદનમાં કહીં ચૂક્યા છે કે આજે વિશ્વક્ષેત્રે ગુજરાતની ઓળખ એક વિકસીત રાજ્ય તરીકે થાય છે, એટલે એક રીતે જોઇએ તો છેલ્લા 10 વર્ષમાં ગુજરાતનો ચહેરો બદલાયો છે તેમાં બેમત નથી.
મનમોહન સિંહે કર્યા વિકસીત ગુજરાતના વખાણ
વિવારે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા ખાતે વડાપ્રધાન મનમોહન સિંહએ જાહેરસભા સંબોધી હતી. જેમાં તેમણે વિકસીત ગુજરાત અને ગુજરાતીઓના વખાણ કર્યા હતા. ચૂંટણી સભાને સંબોધન કરતા તેમણે કહ્યું હતું, કે ગુજરાત રાજ્યની દેશમાં એક અલગ ઓળખાણ છે. ગુજરાતની પ્રજા ઘણી જ મહેનતું છે અને તેમની એ મહેનતના કારણે આજે રાજ્ય વિશ્વભરમાં પણ જાણીતું બન્યું છે. અહીં જે કંઇ પણ વિકાસ થયો છે તે તેની આ મહેનતું પ્રજાના કારણે જ થયો છે. વિકાસના પથ પર જઇ રહેલા આ રાજ્યની એટલાં માટે જ ગણતરી વિકસીત રાજ્યોમાં થઇ રહી છે. જો કે, જે રાજ્યનો જે વિકાસ દેખાઇ રહ્યો છે તેનો લાભ શું લઘુમતીઓને થઇ રહ્યો છે? ગુજરાતનો આ વિકાસ માત્રને માત્ર અમુક ગણ્યા ગાઠ્યાં લોકોને જ થઇ રહ્યો છે અને તેમના માટે જ આ વિકાસ છે.
સોનિયા ગાંધી કહે છે કે ગુજરાતમાં વિકાસ થયો નથી
ચૂંટણીનો માહોલ જામ્યો નહોતો તે પહેલા સોનિયા ગાંધીએ રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં કોઇ વિકાસ થયો નથી તેમ કહ્યું હતું, અને શાસિત ભાજપ સરકાર માત્ર મોટી મોટી વાતો કરીને રાજ્યની પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે તેવા નિવેદનો કર્યા હતા. તેમજ થોડા દિવસ પહેલા પણ તેમણે કેશોદમાં સભા સંબોધતા મોદી પર આડકતરા પ્રહારો કરી ગુજરાતના વિકાસમાં હાલની ભાજપ સરકારે કોઇ યોગદાન આપ્યું નથી. કેન્દ્ર દ્વારા જે સહાયો મળી રહી છે તેને પોતાના નામે ચઢાવી રહી છે. ગુજરાતનો વિકાસ કોંગ્રેસની જ્યારે સરકાર હતી ત્યારે થયો હતો.
સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાનાં ચૂંટણી પ્રચારનાં અંતિમ ચરણમાં જૂનાગઢ જિલ્લાનાં કેશોદ ખાતે વિશાળ મેદનીને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુજરાત સરકારની મુદ્દાસર આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે વિકાસની રેકર્ડ વગાડતી રાજ્ય સરકાર પાણી, વીજળી અને બિયારણ પણ આપી શકતી નથી. માત્રને માત્ર ખોટો પ્રચાર અને બયાનબાજી કરતી સરકારના પાપે પરંપરાગત કૌશલ્યથી ભરપૂર હોવા છતાં સૌરાષ્ટ્રની ખુબ જ દુર્દશા થઈ છે, જેના કારણે સૌરાષ્ટ્રનાં સમજદાર લોકો આ દુર્દશાનો પૂરી તાકાતથી ચૂંટણીમાં જવાબ આપશે. આમ આદમી, કિસાનો અને મહિલાઓની પીડાને તેમણે પોતાના નિવેદનમાં વણી લીધી હતી. બની શકે કદાચ તેઓ પણ મનમોહન સિંહની માફક ગુજરાતમાં થયેલા વિકાસનો ફાયદો લઘુમતી અને રાજ્યના છેવાડા લોકોને નથી થયો કે પછી સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે સરકારે અન્ય કર્યો છે તેમ કહેવા માંગતા હોય પરંતુ તેમના ભાષણમાં આ બધી વાત રજૂ કરવાના બદલે ગુજરાતમાં વિકાસ નથી થયો તે વાત જ વધારીને કહેવામા આવે છે.
એક જ પક્ષના બે દિગ્ગજ અને પીઢ નેતાઓ દ્વારા ગુજરાતના વિકાસને લઇને બેવડી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે એ વાત વિચારતા કરી મુકે છે કે, ગુજરાતમાં ચૂંટણી લડવા માટે કોંગ્રેસ દ્વારા રાજ્યના વિકાસને લઇને જે વાત કરવામાં આવી રહી છે, તેમાં ખરેખર કોની વાતને માન્ય રાખવી? વડાપ્રધાનની કે સોનિયા ગાંધીની...












Click it and Unblock the Notifications
