હું છ કરોડ ગુજરાતીઓનો હનુમાન છું: મોદી
અર્જુન મોઢવાડિયાએ એક સભા દરમિયાન મોદીને વાનર કહ્યા હતા, આ વાતનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું, 'એમણે રામાયણનો અભ્યાસ કર્યો હોત તો કદાચ એમને વાનર શક્તિનો અંદાજ આવ્યો હોત. હનુમાનજીની સેવા અને ભક્તિ આજે પણ વિશ્વમાં અજોડ ગણાય છે. હું એમનું આ પ્રમાણપત્ર સ્વીકારું છું. વાનરરૂપી મને ગુજરાતની સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે મારે મન છ કરોડ ગુજરાતીઓ રામ સ્વરૂપ છે અને એમનો હું હનુમાન છું.'
મોદીએ કહ્યું કે, ૧૯૮૦થી ૮૫માં કોંગ્રેસ સરકારે દક્ષિણ ગુજરાતની લીલીછમ ધરતી, ગૌચરને કારાખાનાઓ બનાવવા વેચી માર્યું હતું. એ વેળાએ રાજ્યમાં જેટલી જમીનો ઉદ્યોગપતિઓને વેચાઇ તેમાં ૯૩ ટકા હિસ્સો ગૌચરનો હતો. છેલ્લા ૧૨ વર્ષમાં મારી સરકારે માત્ર ચાર ટકા જ ગૌચરની જમીન ઉદ્યોગકારોને આપી છે એમાંય મોટાભાગની ખરાબાની જમીન છે. તેમણે કહ્યું કે, એક મહાશયે તો મને ઉંદર સાથે સરખાવ્યો. અરે ઉંદર તો વિધ્નહર્તા ગણેશજીનું વહન છે અને ઉંદર રૂપી મેં ગણેશજીને મારી પીઠ પર બેસાડયા છે એટલે તો ગુજરાત અત્યાર સુધીમાં કોઇ વિધ્ન આવ્યું નથી.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાભપાંચમથી પ્રચારના શ્રીગણેશ કરવા સાથે ચૂંટણીના ઇતિહાસમાં એક નવો વિક્રમ પણ નોંધાવ્યો છે. ચૂંટણી પ્રચાર માટે થ્રી ડી હોલોગ્રાફિક પ્રોજેક્શન ટેક્નોલોજીના માધ્યમથી મુખ્યમંત્રીએ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં એક જ સમયે એક સાથે જનમેદનીને સંબોધી હતી. લગભગ પોણા કલાક સુધી મોદીએ સંબોધન કર્યું હતું, જોકે, સેટેલાઇટ લિન્કના કારણે પાંચેક વખતમાં થઇને બાર-તેર મિનિટ સુધી ઓડિયો ખોરવાતાં મોદીના સંબોધનને સાંભળી શકાયું નહતું. જેના અંગે ભાજપે માફી માગી હતી.
ગુજરાત ભાજપની આઇટી ટીમની મહેનતથી મુખ્યમંત્રી ગાંધીનગરમાં બેસીને ભલે સંબોધન કરતા હોય પણ દરેક સભા સ્થળે પ્રત્યક્ષ હાજર રહીને સભા સંબોધી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. આ કુતુહૂલ જોવા માટે નાગરિકોએ નિર્ધારિત સ્થળોએ સાંજથી જ ભીડ જમાવવાની શરૂ કરી હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદીના ભાષણનું જીવંત પ્રસારણ નમોગુજરાત ટીવી ઉપર પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પૂર્વ આયોજિત આ ચાર જાહેર સભાને સંબોધન કરવા માટે આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને શિવ સેનાના સ્થાપક તથા પ્રમુખ બાલા સાહેબ ઠાકરેના અવસાન બાદ સાંજે યોજાયેલી તેમની અંતિમક્રિયામાં હાજરી આપવાનો કાર્યક્રમ રદ કર્યો હતો.