મોદીએ બાપાને પગે લાગી મેળવ્યા આશીર્વાદ
અમદાવાદ, 20 ડિસેમ્બર : મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચુંટણી 2012માં ભવ્ય વિજય મેળવ્યા બાદ સૌપ્રથમ પોતાના માતા હીરાબેનને મળવા પહોંચ્યાં. મોદીએ માતાના આશીર્વાદ લીધા અને પછી તેઓ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને મળવા પહોંચ્યાં.

મોદીએ કેશુભાઈ પટેલની મુલાકાત લેતા રાજકીય અટકળોના દોર શરૂ થઈ ગયા હતાં. સમગ્ર ચુંટણી દરમિયાન કેશુભાઈ પટેલ મોદી માટે માથાનો દુઃખાવો બની રહેલ. કેશુભાઈ પટેલે એકમાત્ર મોદી વિરુદ્ધ જ આખો મોર્ચો ખોલ્યો હતો અને તેમના જ કારણે તેમને નવો પક્ષ સ્થાપવો પડ્યો હતો. કેશુભાઈ પટેલ માટે ગુજરાતના રાજકારણમાં મોદી જ સૌથી મોટા શત્રુ હતાં. આમ છતાં મોદીએ સમગ્ર ચુંટણી ઝુંબેશ દરમિયાન એકેય વાર કેશુભાઈ વિરુદ્ધ હરફ સુદ્ધા નહોતા ઉચાર્યો નહોતો. અહીં સુધી કે કેશુભાઈ પટેલે વાણીવિલાસ કરતાં એક વાર મોદીને ઢફોળશંખ સુદ્ધા કહી દીધુ હતું.
નોંધનીય છે કે મોદીએ 7મી ઑક્ટોબર, 2001ના રોજ જ્યારે પ્રથમ વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી હતી, ત્યારે પ્રથમ કેશુભાઈ પટેલના ચરણ-સ્પર્શ કર્યા હતાં અને આ ચરણ-સ્પર્શની આબરૂ મોદીએ છેક સુધી જાળવી રાખી.
કેશુભાઈના સતત પ્રહારો છતાં મોદીએ ચુંટણી જીત્યા બાદ કેશુભાઈ પટેલની મુલાકાત લીધી. બંનેએ એક-બીજાનુ મોઢું મીઠું કરાવ્યું. કેશુભાઈએ મોદીને ચુંટણીમાં વિજય બદલ શુભેચ્છાઓ પાઠવી. આ અગાઉ મોદી કેશુભાઈના પગે પણ લાગ્યાં.
જોકે મુલાકાત બાદ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કેશુભાઈએ જણાવ્યું કે આ એક શિષ્ટાચાર મુલાકાત હતી. 2007માં પણ જ્યારે મોદી જીત્યા હતાં, ત્યારે મેં તેમને ફોન કરી જણાવ્યુ હતું કે હું શુભેચ્છા આપવા આઉં કે તમે આવો છો? ત્યારે મોદીએ જણાવ્યુ હતું કે તેઓ આવે છે. આ વખતે પણ તેઓ વિજય બાદ મળવા આવ્યાં.
કેશુભાઈએ મુલાકાત દરમિયાન થયેલ વાતચીત અંગેના સવાલ પર જણાવ્યું કે કોઈ પણ પ્રકારની રાજકીય વાતચીત નથી થઈ. હા અમે બંને સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાયેલા છીએ. હું પ્રમુખ છું અને તેઓ ટ્રસ્ટી છે. તેથી તે અંગેની થોડીક ચર્ચા થઈ. તેમણે જીપીપીની આગળની વ્યુહરચના અંગે જણાવ્યું કે અમે પ્રેસ કૉન્ફરંસ કરીને વિસ્તારથી જણાવીશું.












Click it and Unblock the Notifications
