નર્મદા પાણી કાપ મુદ્દે અહેમદ પટેલે CM રૂપાણીને લખ્યો પત્ર
નર્મદા પાણી કાપ મુદ્દે અહેમદ પટેલે સીએમ રૂપાણીને પત્ર લખતા માહોલ ગરમાયો. જાણો શું છે સમગ્ર મામલો વિસ્તારપૂર્વક અહીં
ગત અઠવાડિયે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે સીઝનમાં ઓછો વરસાદ પડ્યો હોવાને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીનું પ્રમાણ ઘણું ઓછું છે અને આ કારણે SSNNL નર્મદા વિસ્તારમાં 15મી માર્ચ પછી સિંચાઈ માટે પાણી નહીં આપે. આ મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે રાજ્યના મંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો અને આ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતોને આપેલું વચન પાળવું જોઈએ. જો કે આ બાબતે રાજકારણ ગરમાયું છે અહેમદ પટેલના આ પત્રનો જવાબ આપતા ભાજપ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે અહેમદ પટેલ બે બાજુની વાતો કરે છે. જો તેઓને ચિંતા હતી તો જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તે સમયે તેમણે શા માટે નમર્દા અને સરદાર સરોવર યોજના અને ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે રજૂઆત ન કરી. ભરત પંડ્યાએ કહ્યું હતું કે કોંગ્રેસ બે મોઢાની વાતો કરે છે.
આ છે પાણીકાપનો સમગ્ર મુદ્દો
ચાલુ વર્ષે મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ થવાને કારણે નર્મદા સ્ત્રાવ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નર્મદા સ્ત્રાવ ક્ષેત્રમાં આવેલા બંધોમાં દર વર્ષ કરતાં 45 ટકા ઓછો પાણીનો સંગ્રહ થયો હોઇ, ખેડૂતોને સિંચાઈ માટે 15 મી માર્ચ -2018 સુધી પાણી પૂરું પાડવામાં આવશે ત્યારબાદ ખેડુતોએ ઉનાળુ પાકનું વાવેતર ન કરવા અથવા પોતાની પાસે કોઇ અન્ય સ્ત્રોત હોય તો વાવેતર કરવા નર્મદા નિગમ દ્વારા જણાવાયું છે. નર્મદા નિગમ દ્વારા વધુમાં જણાવ્યા અનુસાર આ સાલે મર્યાદિત પાણી ઉપલબ્ધ હોઇ, નર્મદા યોજનામાં હાલ સંગ્રહ થયેલ પાણીનો ઉપયોગ રાજયના કરોડો નાગરીકોને પીવાનું પાણી પુરુ પાડવામાં આવતુ હોઇ આ નિર્ણય કરાયો છે.
સરદાર સરોવર બંધના પાણીનો ઉપયોગ નર્મદા કમાન્ડ વિસ્તારમાં ચોમાસુ, શિયાળુ પાક માટે પુરુ પાડવામાં આવે છે આ વર્ષે નર્મદા સ્ત્રાવ ક્ષેત્રમાં આવેલ બંધોમાં પાણીનો સંગ્રહ 45 ટકા ઓછો હોવાને કારણે નવી દિલ્હી ખાતે નર્મદા કંટ્રોલ ઓથોરીટીની તા.10/1/2018 ના રોજ મળેલ મીટીંગમાં ગુજરાત અને મધ્યપ્રદેશના બંધોમાં પાણી પાછુ હોવાથી દરેક રાજયને ફાળવાતું પાણીમાં કાપ મુકવામાં આવ્યો છે જેના કારણે ગુજરાતને સામાન્ય સંજોગોમાં મળવાપાત્ર 9 મીલીયન એકર ફીટની સામે માત્ર 4.71 મિલિયન એકર ફીટ પાણી ફાળવવામાં આવ્યું છે જેને ધ્યાને લઇ, ગુજરાતમાં પણ નર્મદાનું પાણી, બચત કરવાનીફરજ પડી છે.