ગુજરાતમાં ઓમિક્રોનના BF7 વેરિયન્ટનો એક પણ કેસ નહીં-આરોગ્ય વિભાગ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યુ કે, રાજ્યમાં ઓમિક્રોનનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી. તમામ દર્દીઓ સાજા થઈ ગયા છે.
ગાંધીનગર : આજકાલમાં કોરોના વેરિઅન્ટને BF7 લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતમાં પણ આ વેરિઅન્ટના દર્દીઓ મળ્યા હોવાના સમાચાર આવ્યા હતા. જો કે હાલ ગુજરાત રાજ્યમાં ઓમિક્રોનના BF7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી. વિગતો આપતા આરોગ્ય વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં જુલાઇ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટના કેસ નોંધાયા હતા.
આરોગ્ય વિભાગે જણાવ્યુ કે, અમદાવાદના 60 વર્ષીય પુરુષ દર્દીને કોવિડ પોઝીટીવ આવતા તેનું સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર ખાતેની જીએસઆરબી સરકારી ટેસ્ટીંગ લેબમાં મોકલવામાં આવ્યું હતુ. જેનો રીપોર્ટ ૨૦ સપ્ટેમ્બરના રોજ પોઝીટીવ આવ્યો હતો. આ પુરૂષ દર્દીને કફ અને તાવની ફરિયાદ હતી. તે હોમઆઇસોલેશનમાં જ સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયા હતા.
આ સિવાય વડોદરાના ૬૧ વર્ષીય મહિલાનો કોવિડ રીપોર્ટ પોઝીટીવ આવતા દર્દીનું તેનું જીનોમ સિકવન્સીંગ સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યું હતુ. તેનો રીપોર્ટ ૧૯ નવેમ્બરના રોજ પોઝીટીવ આવ્યો હતો.આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં સારવાર મેળવીને સ્વસ્થ થયા હતા.
અન્ય એક દર્દી અમદાવાદના ૫૭ વર્ષીય પુરુષ દર્દીને ૧૧મી નવેમ્બરના રોજ કોવિડ પોઝીટીવ આવતા તેનું પણ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ ટેસ્ટીંગ માટે લેબમાં મોકલવામાં આવ્યું હતુ. જેનો ૨૦મી ડિસેમ્બરના રોજ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં જ સંપૂર્ણપણે સ્વસ્થ થયા હતા.