હાર્દિક પટેલની અટકાયત બાદ ગુજરાતમાં તંગદિલી
અમદાવાદ, 25 ઓગસ્ટ: હાલમાં મળી રહેલા સમાચાર અનુસાર પાટીદારના નેતા હાર્દિક પટેલની જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી પોલીસે ધરપકડ કરી લીધી છે. જેના પગલે રાજ્યમાં હિંસાની ઘટનાઓ વધી ગઇ છે. મહેસાણામાં ગૃહરાજ્ય પ્રધાન રજનીકાંત પટેલના ઘરપર પાટીદારોએ હુમલો કર્યો હતો અને તેમના ઘરને આગ ચાંપી દેવાની બાતમી મળી રહી છે.
આ ઉપરાંત સોલા પોલીસ ચોકીને પણ આગ ચાપવાની ઘટના સામે આવી છે. તેમજ શહેરના રબારીકોલોની અને સીટીએમ વિસ્તારમાં બીઆરટીએસની બસોમાં તોડફોડ કરવામાં આવી હતી, જેના પગલે બીઆરટીએસ અને એએમટીએસે બસ સર્વિસને બંધ કરાવી દીધી છે. નાટકિય ઘટનાક્રમ બાદ હાર્દિક પટેલને વસ્ત્રાપુર પોલીસે મુક્ત કર્યો હતો. જામીન પર મુક્ત થયા બાદ હાર્દિક પટેલે મીડિયાને જણાવ્યું હતું કે તેઓ શાંતિપૂર્વક આંદોલનને ચલાવશે અને તેમના ઉપવાસ ચાલુ રહેશે.
અત્રે નોંધનીય છે કે આજે અમદાવાદમાં હાર્દિક પટેલની આગેવાની હેઠળ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદારોની અનામત માટે ક્રાંતિ રેલી યોજવામાં આવી હતી. પાટીદારોની લાખોની જનમેદનીને સંબોધ્યા બાદ હાર્દિક પટેલે જીએમડીસી ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આની સાથે સાથે અમદાવાદના વસ્ત્રાપુર, નવા વાડજ, પાલડી, વાસણા જેવા વિસ્તારોમાં સ્થિતિ તંગ બની હતી. જોકે પોલીસ દ્વારા સાંજ સુધી બનેલી જુદી જુદી ઘટનાઓને થાડે પાડવામાં આવી હતી, પરંતુ રાત્રે લગભગ 9 વાગ્યે હાર્દિક પટેલની ધરપકડ કરાયા બાદ સમગ્ર રાજ્યમાં હિંસાના બનાવો વધી ગયા હતા.