જનતાનો અવાજ દબાવશો તો મોટો વિસ્ફોટ થશેઃ હાર્દિક પટેલ
હાર્દિક પટેલે સરકાર પર જનતાનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો.
છેલ્લા 6 દિવસથી હાર્દિક પટેલ અનિશ્ચિત સમય સુધીના અમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. નિકોલમાં ઉપાવસ કરવાની તંત્રએ મંજૂરી ન આપતાં હાર્દિક પોતાના ઘરે જ ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે ઉપવાસ છાવણીમાંથી આડકતરી રીતે હાર્દિકે ફરી સરકાર પર પ્રહાર કર્યો છે. હાર્દિક પટેલ ઉપવાસ દરમિયાન પણ સોશિયલ મીડિયા થકી સતત લોકોની વચ્ચે પોતાની વાત રાખી રહ્યો છે.
સરકાર પર હાર્દિકનો પ્રહાર
પહેલાં હાર્દિક પટેલે ઉપવાસ કરવાની મંજૂરી ન આપવા બદલ સરકાર પર દાદાગીરી કરવાનો આરોપ લગાવ્યો હતો, બાદમાં ઉપવાસ છાવણીમાં આવતા લોકોને રોકી તેમને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો પોલીસ પર પણ આરોપ લગાવ્યો હતો. હાર્દિકે ફરી એકવાર સરકાર પર આડકતરી રીતે પ્રહાર કર્યો છે. તાજેતરમાં જ ટ્વીટ કરીને જનતાનો અવાજ દબાવવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો.
|
તો વિસ્ફોટ થશે
હાર્દિક પટેલે ટ્વીટમાં લખ્યું કે, "સર્વોચ્ચ ન્યાયાલયે પણ કહ્યું કે કોઈપણ સરકાર જનતાનો અવાજ ન દબાવી શકે, જો એમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો મોટો વિસ્ફોટ થશે. ગુજરાતમાં જે રીતે જનતાનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, હું દાવા સાથે કહું છું કે સંપૂર્ણ લોક ક્રાંતિનું આહ્વાન છે. સત્તા વિરુદ્ધ જનતાનો વિસ્ફોટ થશે."
વિરોધ કરો તો સરકાર કેસ કરી દે
ઉપવાસ આંદોલનના પાંચમા દિવસે પોતાનો એક ફોટો ટ્વીટ કરીને હાર્દિક પટેલે લખ્યું હતું કે, "આજે ઉપવાસ આંદોલનનો પાંચમો દિવસ છે. મારા શરીરમાં થોડી પ્રોબ્લેમ છે પરંતુ ચિંતાની કોઈ વાત નથી. મરતા દમ સુધી લડાઈ ચાલુ રહેશે, આપણે જ્યારે-જ્યારે ભગતસિંહ બનવાની વાત કરીએ છીએ ત્યારે-ત્યારે ભાજપ સરકારે આપણા પર રાજદ્રોહનો કેસ લગાવી દીધો છે અને ગાંધીના માર્ગે ઉપવાસ કરી રહ્યા છીએ તો નજરકેદ કરી દેવામાં આવ્યા છે." આ પણ વાંચો-ઉપવાસ ન સમેટે તો હાર્દિકને થઈ શકે યૂરિન ઈન્ફેક્શનઃ ડૉક્ટર