ચૂંટણી પહેલા પાટીદારો માટે બિન અનામત આયોગની રચનાની જાહેરાત
ગુજરાત સરકાર દ્વારા ચૂંટણી પહેલા બિન અનામત આયોગની રચનાની જાહેરાત કરવામાં આવી.
થોડા સમય પહેલા જ રાજ્ય સરકાર અને પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે અનામત સહિતના મુદ્દાનો ઉકેલ લાવવા માટે બેઠક યોજાઇ હતી. આ મામલે એક આયોગ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મંગળવારે સાંજે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરી આ બિન અનામત આયોગની રચના અંગે જાહેરાત કરી હતી. ટૂંક સમયમાં જ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે, એવામાં આ સમયે સરકાર દ્વારા કરવામાં આવેલ આ જાહેરાત ખૂબ મહત્વપૂર્ણ છે.
સરકારની પાટીદારો સાથે થયેલ બેઠક બાદ રાજ્ય સરકારે આ બેઠકને સફળ ગણાવી હતી, જ્યારે કેટલાક પાટીદારોએ બેઠકને નિષ્ફળ ગણાવી હતી. હાર્દિક પટેલે પણ આ બેઠકને બિનપરિણામલક્ષી ઠેરવી હતી, પરંતુ આયોગની રચનાના નિર્ણયને આવકાર્યો હતો. આ બેઠકમાં આયોગની રચના ઉપરાંત પાટીદારો પર ચાલતા કેસ પરત ખેંચવાની તથા શહીદ થયેલ પાટીદારના પરિવારજનોને સહાય આપવાની તથા નોકરી આપવના મુદ્દે પણ ચર્ચા થઇ હતી. આ મામલે નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યમાં પાટીદારો પર થયેલ પોલીસ અત્યાચારોની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ એ.કે.પુંજની આગેવાની હેઠળ રચાયેલ પંચ દ્વારા કરવામાં આવશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ નાયબ મુખ્યમંત્રી નીતિન પેટલ દ્વારા પણ એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 16 બોર્ડ-નિગમોને સાતમા પગારપંચનો લાભ આપવામાં આવસે, જે હેઠળ 1710 કર્મચારીઓને ફાયદો થશે.