પદ્માવતી:ગાંધીનગરમાં કરણી સેનાનું મહાસંમેલન, સુરતમાં પણ ઉગ્ર વિરોધ
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. કરણી સેના દ્વારા ગાંધીનગર ખાતે ફિલ્મના વિરોધમાં મહા સંમેલન. આ અંગે વધુ વાંચો અહીં.
સંજય લીલા ભણસાલીએ થોડા દિવસો પહેલાં જ તેમની આગામી ફિલ્મ 'પદ્માવતી' પર ચાલતા વિવાદો અંગે સ્પષ્ટતા આપતો વીડિયો જાહેર કર્યો હતો. આમ છતાં, આ ફિલ્મનો વિરોધ હજુ ચાલુ જ છે. કરણી સેના દ્વારા આ ફિલ્મના વિરોધમાં રવિવારે ગાંધીનગરના રામકથા મેદાનમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેવા માટે લોકેન્દ્રસિંહ કાલવી પણ ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, તેઓ 1 ડિસેમ્બરના રોજ ફિલ્મ રિલીઝ નહીં થવા દે. લોકેન્દ્રસિંહે કહ્યું હતું કે, આ ફિલ્મમાં રાણી પદ્માવતીનું અપમાન થયું છે અને આથી વિરોધ ચાલુ રહેશે.

પ્રતિકાત્મક તસવીર, સાભાર: ટ્વીટર
તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં પ્રદીપસિંહ જાડેજા, આઇ.કે.જાડેજા, શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા વગેરે જેવા દિગ્ગજ નેતાઓનું પણ માનવું છે કે, ફિલ્મમાં રાણી પદ્માવતીનું અપમાન થયું હોય તો વિરોધ યોગ્ય છે. જો કે, આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા કોઇ રાજકીય નેતા આ સંમેલનમાં હાજર નહીં રહે. બીજી બાજુ સુરતમાં પણ રાજપૂતો સાથે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે આ ફિલ્મની રિલીઝ સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. સુરતના રસ્તાઓ 'નહીં સહેંગે, નહીં સહેંગે, રાણી કા અપમાન નહીં સહેંગે' જેવા નારાઓથી ગાજી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે, આ માત્ર એક જાતિની વાત નથી. સમગ્ર હિંદુ સમાજની આસ્થા પર પ્રહાર છે અને આથી આજે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના સભ્યો રસ્તા પર ઉતરી 'પદ્માવતી' ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
