ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
નિલેશ એરવાડિયાનો લેટર બોમ્બઃ હાર્દિક બદલાયો છે
ગઈ કાલે જ નિખિલ સવાણીએ પાસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે સૌરાષ્ટ્ર પાસના કન્વીનર નિલેશ એરવાડિયાએ હાર્દિકને પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે હાર્દિક પોતાની મહત્વાકાંક્ષાઓને પૂરી કરવા સમાજનો રાજકીય ઉપયોગ ન કરે. નિલેશ એરવાડિયાએ હાર્દિકને જેલ મુક્તિ બાદ અભિનંદન પાઠવ્યા હતા અને સાથે સાથે ઘણી સલાહો પણ આપી હતી.
નિલેશ એરવાડિયા: હાર્દિકે લીધા ખોટા નિર્ણય
નિલેશ એરવાડિયાએ પત્રમાં જણાવ્યુ હતુ કે હાર્દિક લલિતભાઈ વસોયા અને અન્યોના માર્ગદર્શન હેઠળ ઘણા ખોટા નિર્ણયો લીધા છે. વધુમાં આ પત્રમાં જણાવ્યું છે કે હાર્દિકની અપરિપક્વતાને લીધે તે અને પાટીદાર સમાજ વ્યથિત છીએ. સાથે આ પત્રમાં હાર્દિકના કારણે પાટીદારોની એકતા તૂટી રહી હોવાનો પણ આરોપ લગાવામાં આવ્યો હતો.
BAPSના આધ્યાત્મિક વડા પૂ.મહંત સ્વામીની અમદાવાદમાં પધરામણી
પૂજ્ય પ્રમુખસ્વામીના અક્ષરધામ ગમન બાદ પૂજ્ય મંહત સ્વામીએ બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર બન્યા છે. તેઓ હાલ આણંદ અને બોચાસણ બાદ અમદાવાદમાં પધાર્યા હતા. અને 5 તારીખ સુધી અહી રોકાણ કરશે ત્યારે હજારો હરિભક્તો સવારે તેમના પૂજા દર્શન તેમજ સાંજ વિશિષ્ટ સભાનો લાભ લેવા પધારી રહ્યા છે. વધુમાં આજે પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં સાંજે 7 થી 9 દરમિયાન અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં શ્રદ્ધાંજિલ સભા યોજાશે. જેમાં મુખ્યમંત્રી રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.
ભાભરમાં અંજપાભરી શાંતિ, પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા
પાલનપુરના ભાભોરમાં ભાભર કોન્સ્ટેબલના આપઘાત બાદ પરિસ્થિતિ વણસી છે કોન્સ્ટેબલ આપઘાત ચિઠ્ઠીમાં જે નામ લખીને ગયા હતા તે લોકોની ધરપકડ ગુરુવારે પણ ન થતા ઠાકોર સમાજના લોકએ બજારો બંધ કરાવ્યા હતા. અને હાઇ વે પર ચક્કાજામ કરવા એકત્ર થયા હતા. જોકે પોલીસે ટોળાને વિખેરાઈ જવા કહ્યુ હતું પરંતુ ટોળાએ તેમ ન કરાત ટોળા અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો. અને પોલીસે ટિયરગેસના શેલ છોડતા ટોળાએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. જેમાં 3-4 પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા હતા. જોકે આજે ભાભરમાં રાબેતા મુજબ બજારો ખૂલ્યા હતા.
બિલિમોરામાં ટોળાએ બુટલેગર યુવાનની હત્યા કરી
દક્ષિણ ગુજરાતના બિલિમોરા પાસે બીગરી ગામના બૂટલેગરની બાઇકને કારથી ટક્કર મારી નીચે પાડી દીધી હતી. અને ઇજાગ્રસ્ત બૂટલેગર પર ટોળાએ લાકડાનાં ફટકાથી હુમલો કરી ભાગી ગયા હતા. જે બાદ તેને નવાસારીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના પ્રાથમિક નજરે અદાવતની લાગી રહી છે. જે પર પોલિસ હાલ તપાસ કરી રહી છે.
શ્રાવણ મહિનામાં સોમનાથ દાદાને થયું કુલ સાડા ચાર કરોડનું દાન
ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિર પર રૂપિયાનો વરસાદ થયો છે. સોમનાથ મંદિરની એક મહિનાની આવક સાડા ચાર કરોડ ને પાર કરી ગઇ છે. જેણે અત્યાર સુધીની આવક ના તમામ રેકોર્ડ તોડ્યા છે. શ્રાવણ માસમાં 15 લાખ થી વધુ શ્રદ્ધાળુઓ એ દાદા ને શીશ ઝુકાવી કુલ સાડા ચાર કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું છે.
પત્નીએ પતિને ફેક આઇડીથી ફેસબુક પર ફસાવ્યો
લગ્ન જીવનમાં ત્રીજી વ્યક્તિની હાજરી કેટલી ભયનજક બન રહે છે તે ફરી એક વાર સુરતની ઘટના થઈ સાબિત થયુ છે. સુરતના સરથાણામાં હિતેશ બેલડિયાએ આવી જ ઘટનામાં આપઘાત કરી લીધો હતો. ઘટના એવી હતી કે હિતેશની પત્નીને પોતાના પ્રેમી સાથે રહેવું હતુ તેથી પતિને બદનામ કરવા તેણે એક યુવતીના નામનું ખોટું એકાઉન્ટ બનાવીને હિતેશ સાથે દોસ્તી કરી હતી. અને તે બાદ તેણે પતિને બ્લેકમેલિંગ કરી હિતેશ જોડે છેટાછેડા પર સાઇન કરી બાળકો સાથે પિયર જતી રહી. જો કે હિતશને જ્યારે આ સમજાયું ત્યારે તેણે આત્મહત્યા કરી પોતાની અંતિમ ચિઠ્ઠીમાં સમગ્ર વ્યથા લખી હતી.
રોજગારી મેળવવાની સાથે મહિલાઓએ કર્યું શૌચાલયનું નિર્માણ
પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી અભિયાન સ્વચ્છ ભારતમાં સખી મંડળોએ મહત્વનું પ્રદાન આપ્યું છે. દાહોદમાં સખીમંડળોએ નરેગા યોજના હેઠળ 1254 જેટલા શૌચાલયનું નિર્માણ કર્યું છે. દાહોદ જિલ્લામાં સખી મંડળોને શૌચાલય બનાવાવની તાલીમ આપવામાં આવે છે. સાથે સાથે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. અને આ સખી મંડળની જ બહેનો તાલીમ લઇને જાતે જ ઘેર - ઘેર શૌચાલય બનાવે છે.
એફઆઇએના અધિકારીઓએ કરી આગોતરા જામીનની અરજી
અમદાવાદમાં FIA ના અધિકારીઓ સામે થયેલી શારિરીક શોષણની ફરિયાદ મામલે ત્રણેય અધિકારીઓએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. કિરીટ પટેલ, અરવિંદ ગજેરા અને કે. ટી. પટેલે ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેના પર 6 સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છેકે અમદાવાદના ઉદ્યોગજગતમાં ખળભળાટ મચાવી મુકે એવી એક ઘટનામાં એક યુવતીએ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન્સ (એફઆઇએ)તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ(જીસીસીઆઇ)માં હોદ્દેદાર એવા ટોચના ઉદ્યોગપતિઓએ તેની જાતીય સતામણી (સેક્સ્યુઅલ હેરેસમેન્ટ)કરી હોવાની ફરિયાદ અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.