Special: એક્ઝિટ પોલ ભ્રમ છે કે પછી બ્રહ્મ?
આમ તો ભ્રમ અને બ્રહ્મ માત્ર બે શબ્દો છે અને શાબ્દિક દૃષ્ટિએ તેમની રચનામાં કોઈ ઝાઝો ફેર નથી. બ્+હ્+ર્+મ્ અક્ષરો મળી બને છે ભ્રમ અને બ્+ર્+હ્+મ્ અક્ષરો મળી બને છે બ્રહ્મ. બંને શબ્દોની અક્ષર રચનામાં માત્ર હ અને ર અક્ષરોની જ ઉલટફેર છે, પરંતુ તેનાથી આખુ ચિત્ર બદલાઈ શકે છે. ભ્રમ અસત્ય છે અને બ્રહ્મ સત્ય છે. આ શબ્દોને આપણે એક્ઝિટ પોલ સાથે સરખાવીશું. શું એક્ઝિટ પોલ ભ્રમ છે કે પછી બ્રહ્મ.
છેલ્લાં મહિનાઓથી દુનિયાભરની નજર ગુજરાત વિધાનસભાની ચુંટણીના સમાચારો પર મંડાયેલી હતી. હવે તો મતદાન પુર્ણ થતાં ઉમેદવારોનું ભાવિ ઇવીએમ મશીનમાં કેદ થઇ ગયું છે. અને એક્ઝિટ પોલ બાબા આગાહીઓ કરવા લાગ્યાં છે. મોટાભાગના પોલ કહી રહ્યાં છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વાર સત્તા મેળવશે, અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે હેટ્રીક ફટકારશે. બધા જ એક સુરમાં કહી રહ્યાં છે કે 182 સીટોવાળી વિધાનસભામાં ભાજપની સીટોમાં વધારો થશે.
ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ મનોરંજન ચેનલો માટે સર્વશ્રેષ્ઠ સાબિત હોય શકે છે. અત્યાર સુધીનો અનુભવ તો એ જ કહે છે. યાદ કરો 2007ના એક્ઝિટ પોલને જ્યારે ઇવીએમ મશીનનો ખુલ્યા તો તેમાંથી જે આંકડા બહાર આવ્યાં હતા તે હકિકતથી ઘણા અલગ હતા.
ચાલો આપણે એક લટાર ભૂતકાળમાં મારીએ. આજે આપણે 2007ના એક્ઝિટ પોલની વાત કરીશું. 2007માં સીએનએન-આઇબીએન દ્રારા કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં ભાજપને 92-100 સીટો, કોંગ્રેસને 75-88 સીટો, અન્ય પક્ષોને 3-7 સીટો મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. એનડીટીવી દ્રારા કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં ભાજપને 90-100 સીટો, 70-95 સીટો, અને અન્ય પક્ષોને 3-5 સીટો મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
સ્ટાર ન્યુઝ દ્રારા કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં ભાજપને 103 (-24) સીટો, કોંગ્રેસને 76 (+25) સીટો, અન્ય પક્ષોને 3 (-1) સીટો મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. ઝી ન્યુઝ દ્રારા કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં ભાજપને 93-104 સીટો, કોંગ્રેસને 75-87 સીટો, અન્ય પક્ષોને 2-6 સીટો મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે પરિણામ સામે આવ્યું ત્યારે પરિસ્થિતી કંઇક જુદી જ હતી. ભાજપને 117 સીટો, કોંગ્રેસને 59 સીટો અને અન્ય પક્ષોને 6 સીટો મળી હતી.
હવે નજર કરીએ તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની 2012ની ચુંટણીમાં વિવિધ ચેનલો દ્રારા કરવામાં આવેલા એક્ઝિટ પોલ ઉપર. ન્યુઝ 24+ટુડેઝ ચાણક્ય દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર ભાજપને 140 (+11/-11), કોંગ્રેસને 40 (+11/-11) અને અન્યને 6 (+3/-3) મળવાની શક્યતા છે. આજતક અને ઓઆરજીએ કરેલા એક્ઝિટ પોલમાં ભાજપને 118થી 128, કોંગ્રેસને 50થી 56, જીપીપીને એકથી બે અને અન્યોને 4થી 6 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
એબીપી ન્યુઝ દ્રારા કરવામાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર નરેન્દ્ર મોદી હેટ્રીક સર્જશે પરંતુ પોતાની સીટોમાં વધારી કરી શકશે નહી. એબીપી ન્યુઝના એક્ઝિટ પોલ અનુસાર 182 સીટોમાંથી ભાજપને 116 સીટો, કોંગ્રેસને 60 સીટો, કેશુભાઇની ગુજરાત પરિવર્તન પાર્ટીને 3 સીટો તથા અન્ય પક્ષોને 3 સીટો મળશે. ટીવી 9 દ્રારા કરવામાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર નરેન્દ્ર મોદી હેટ્રીક સર્જશે પરંતુ પોતાની સીટોમાં વધારી કરી શકશે નહી. ટીવી 9 ના એક્ઝિટ પોલ અનુસાર 182 સીટોમાંથી ભાજપને 124 સીટો, કોંગ્રેસને 54 સીટો, કેશુભાઇની ગુજરાત પરિવર્તન પાર્ટી તથા અન્ય પક્ષોને 4 સીટો મળશે.
ભારતમાં એક્ઝિટ પોલ સાચા ન પાડવા પાછળ બે કારણો જવાબદાર માનવામાં આવે છે. એક તો એક્ઝિટ પોલ કરતી વખતે મોટાભાગે વૈજ્ઞાનિક પદ્ધતિનું ધ્યાન રાખવામાં નથી આવતું અને બીજુ તથ્ય છે કે જેમ-જેમ ચેનલોની સંખ્યા વધતી હાય છે તેમ-તેમ સર્વે કરનારી કંપનીઓની લાઇન લાગવા માંડી છે. એક રૂમમાં બેસીને બે-ચાર લોકોને ફોન કરીને અથવા બે-ચાર લોકોને મળીને તેમનો અભિપ્રાય જાણીને સર્વે કરનારી કંપનીઓ પણ છે. ભારતમાં એવી ઘણી કંપનીઓ છે કે તેમની ઓફિસમાં પાંચ-છ લોકો કામ કરતા હોય છે પરંતુ તે સચોટ સર્વે કરવાનો દાવો કરે છે.
બીજું એક કારણ છે ભારતીય સમાજની વૈવિધ્યતા અને અનેકતાવાદી સંસ્કૃતિ. આ અનેકતાવાદી સંસ્કૃતિ અત્યારે પણ લોકોને મતદાન કેન્દ્રની હકિકતને જાહેર કરવાથી રોકે છે. કરોડોની વસ્તી ધરાવતા દેશમાં હજાર એક લોકોનો અભિપ્રાય લઇને સાચું અનુમાન લગાવી ન શકાય. ભારતીય લોકતંત્ર હજુસુધી અમેરિકા જેટલું વિકસીત જોવા મળ્યું નથી. જ્યાં લોકો ખુલ્લા મને રિપબ્લિકન અથવા ડેમોક્રેટનો સપોર્ટર હોવાનું જાહેર કરવામાં ખોટુ માનતા નથી. ભારતમાં હજુ સુધી એવી સ્થિતી નથી.
ભારતમાં હજુ પણ લોકો વોટ બીજાને આપે છે અને બહાર આવીને બીજું કંઇક કહે છે. ભારતીય મતદારોમાં એક મોટો વર્ગ જોવા મળે છે જે ભાજપને પસંદ કરે છે, ભાજપે જે પ્રમાણે સાંપ્રદાયિકતા રાજકારણ અપનાવ્યું છે જેના કારણે મતદારો ભાજપને વોટ આપે છે પરંતુ બુથની બહાર આવીને જાહેર કરતા નથી. કારણ કે તેમને ડર લાગે છે કે પ્રગતિશીલ સમાજ તેને કોમ્યુનલ ગણશે. જેના કારણે ભાજપને વોટ આપનારા મતદારો પણ બહાર આવીને જુઠ્ઠું બોલે છે. જેના કારણે એક્ઝિટ પોલ ખોટા સાબિત થાય છે.
ચુંટણીના પરિણામોની ભવિષ્યવાણી કરનારાઓ પણ માને છે આપણા દેશમાં ચુંટણી સ્થાનિક મુદ્દાઓથી પ્રભાવિત છે. મતદાનના એક દિવસે પૂર્વે બનેલી ઘટના ઉમેદવાર કે પક્ષને ખેલ બગાડી શકે છે. એક્ઝિટ પોલ આપણને પરિણામો સંકેતા આપી શકે છે, પરંતુ તેમાં વાસ્તવિકતા હોતી નથી. જે પ્રમાણે એક વ્યક્તિ અંગે બે જ્યોતિષિઓની ભવિષ્યવાણી એકબીજા મેળ ખાતી નથી તેમ એક્ઝિટ પોટના પરિણામો પણ એકબીજા સાથે ક્યારેય મેળ ખાતા નથી. એક પૂર્વની વાત કરે છે તો બીજો પશ્વિમની એમ કુલ જેટલા મોં એટલી વાતો એવી હકિકત છે. નિશાના પર લાગ્યું તો તીર, નહીંતર તુક્કો એનું નામ જ એક્ઝિટ પોલ.












Click it and Unblock the Notifications
