રાજ્ય સરકારે ઉત્તરાયણ માટે જાહેર કરી ગાઇડલાઇન
ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાને કારણે કોરોના સંક્રમણમાં વધરો થવાની શક્યતા છે,જેથી રાજ્ય સરકાર દ્વારા 17 જાન્યુઆરી સુધી નીચે મુજબના આદેશો જાહેર કરાયા છે.
આગામી ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાને કારણે કોરોના સંક્રમણમાં વધારો થવાની શક્યતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા 17 જાન્યુઆરી, 2022 સુધી નીચે મુજબના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
1. કોઇપણ જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો, રસ્તાઓ વગેરે પર એકત્રીત થઇ શકાશે નહીં, તેમજ પતંગ ચગાવી શકાશે નહીં.
2. પ્રવર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો(Close family members only) સાથે જ ઉજવવામાં આવે તે સલાહભર્યું છે.
3. માસ્ક વગર કોઇપણ વ્યકિત મકાન કે ફલેટના ધાબા અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રીત થઇ શકશે નહીં. ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે.
4. મકાન ફલેટના ધાબા અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઇપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહી. ફ્લેટ/રહેણાંક સોસાયટી સંબંધિત કોઇ પણ સૂચનાઓના ભંગ બદલ સોસાયટી/ફ્લેટના સેક્રેટરી/અધિકૃત વ્યકિતઓ જવાબદાર રહેશે અને તેઓ વિરૂદ્ધ નિયમ અનુસારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
5. મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રીત થવા પર પ્રતિબંધ રહેશે.
6. મકાન ફલેટના ધાબા અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડીજે અથવા કોઇ પણ પ્રકારની મ્યુઝિક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રીત થવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી લાઉડ સ્પીકર ડીજે તેમજ મ્યુઝીક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.
7. 65 વર્ષથી વધુ વયના વયસ્ક વ્યકિતઓ/ અન્ય રોગોથી પિડીત વ્યકિતઓ, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી વયના વ્યકિતઓ ઘરે રહે તે સલાહભર્યુ છે.
8. કોઇપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલૈંહ શાંતિનો ભંગ થાય તેવા કોઇ પણ પ્રકારના લખાણો/સ્લોગન/ ચિત્રો પતંગ પર લખી શકાશે નહીં.
9. નામદાર સુપ્રિમ કોર્ટ/ હાઇકોર્ટ તથા NGT ની સૂચનાઓ અન્વયે ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુક્કલ, સ્કાય લેન્ટર્ન, સિન્થેટીક/કાંચ પાયેલા માંઝા, પ્લાસ્ટીક દોરી વગેરે પ્રતિબંધિત રહેશે.
10. જે વ્યક્તિઓ રાજ્યમાં જુદા-જુદા શહેરોએ આવેલ પતંગ બજારની મુલાકાત લે, ત્યારે COVID 19 સંબંધી દિશા નિર્દેશોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને વ્યકિતઓની સંખ્યા મર્યાદિત રહે તે માટે પોલીસ કર્મચારીઓને સહકાર આપવાનો રહેશે
11. COVID 19 સંદર્ભે રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા/ માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.
12. રાજયના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તાર તેમજ આણંદ તથા નડીયાદ શહેરમાં લાગુ કરવામાં આવેલ રાત્રિ કરફ્યુનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
13. ઉપરોકત તમામ સૂચનાઓના અસરકારક અમલીકરણ માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત તેમજ પેટ્રોલિંગ રાખવાનું તથા જરૂરિયાત અનુસાર ડ્રોન તેમજ સીસીટીવી મારફતે પણ સર્વેલન્સ રાખવાનું રહેશે.
ઉપરોક્ત સૂચનાઓનું ઉલ્લંધન કરનારા વ્યકિત કાયદેસરની કાર્યવાહીને પાત્ર થશે.