તમારા કામની ખબર: નવરાત્રી સમયે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ
નવરાત્રીના સમયે અમદાવાદના અગત્યના રસ્તાઓ પર રાત્રે 10થી 2 વાગ્યા સુધી ભારે વાહનોની અવરજવર પર શહેર પોલીસ કમિશનરે પ્રતિબંધ મૂકયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારે વાહનો પર પ્રતિબંધ લાદતા ટ્રાફિકની સમસ્યા તો હળવી બનશે જ સાથે જ અકસ્માતના બનાવોને પણ ખાળવામાં આ નિર્ણય અગત્યનો સાબિત થશે.
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શિવાનંદ ઝાએ એક યાદીમાં જણાવ્યું છે કે આગામી 1 થી10 તારીખ દરમિયાન રાત્રિના 10થી 2 વાગ્યા સુધીમાં વૈષ્ણોદેવી સર્કલથી ઉજાલા સર્કલ સુધીના આખા એસ.જી.હાઈવે ઉપરાંત, પ્રબોધ રાવળ સર્કલથી 132 ફૂટ રિંગ રોડ અખબારનગર સર્કલ, હેલમેટ ઓવરબ્રીજ થઇ એ.પી.એમ.સી. ત્રણ રસ્તા સુધી અને ઉસ્માનપુરા ચાર રસ્તાથી નવરંગ સર્કલ, વિજય ચાર રસ્તા, નહેરૂનગર સર્કલથી ધરણીધર થઇ અંજલી સર્કલ સુધીના માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.
તો વૈષ્ણોદેવીથી સરખેજ જવા માટે વાહનો સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરી શકે છે. જ્યારે રાત્રે 8 વાગ્યાથી જજીસ બંગલા ચાર રસ્તાથી પકવાન તરફ જવાનો માર્ગ માત્ર 2 વાગ્યા સુધી વનવે રહેશે. ઉપરાંત જેજે માર્ગ પર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવ્યો છે તે રસ્તાની આજુબાજુ રાત્રે આઠથી નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયો છે.