આજે મોદીએ 10 નવા તાલુકાઓની જાહેરાત કરી
નવા તાલુકાની જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે 'વિકાસ યાત્રા દરમિયાન અનેક જિલ્લાઓમાં નવા તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે. આ બધા માટે મુખ્ય સચિવની આગેવાનીમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ તાલુકાની રચનાને અંતિમ સ્વરૂપ આપી રહી છે. આ નવા તાલુકાઓ 26 જાન્યુઆરી, 2013થી કાર્યરત બનશે.'
નવા તાલુકાઓમાં જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ સિટી અને ગીર - ગઢડા નવા તાલુકા, વલસાડ જિલ્લામાં વાપી નવો તાલુકો, મહેસાણા જિલ્લામાં જોટાણા અને ગોઝારિયા નવા તાલુકા, ભરુચ જિલ્લામાં નેત્રંગ નવો તાલુકો, વડોદરા જિલ્લામાં બોડેલી અને છોટા ઉદેપુર નવા તાલુકા, નવસારી જિલ્લામાં ખેરગાંવ નવો તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ નવો તાલુકો બનશે.
રાજ્યમાં નવા તાલુકાઓની જાહેરાત સિવાયની જાહેરાતો કરતા મોદીએ જણાવ્યું કે જૂનાગઢ અને કચ્છ ગુજરાતમાં ટૂરિઝમ કેપિટલ છે. અહીં સૌથી વધારે પર્યટકો આવે છે. આથી ગિરનાર અને ભવનાથના સંતુલિત વિકાસ માટે ઔડા અને ગૂડાની જેમ સ્વતંત્ર વિકાસ સત્તામંડળની રચના કરવામાં આવી છે.
આ પ્રસંગે તેમણે ગાંધીજીના જીવનમાંથી સફાઇ અંગેની પ્રેરણા લઇને સફાઇના કામ માટે રૂપિયા 300 કરોડની જાહેરાત કરી છે. શહેરના ગરીબો માટે શૌચાલય બનાવવા માટે નગર પાલિકાઓ અને મહાનગર પાલિકાઓને માટે 300 કરોડની યોજાના જાહેર કરી છે.
ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યમાં કૌશલ્યવાન નવ યુવાનોની મોટી સંખ્યામાં જરૂરિયાત છે. આ વર્ષે સ્કિલ ડેવલપમેન્ટ પર વધારે ધ્યાન આપવું છે. વિશ્વ સત્તા બનવા માટે સ્કિલ, સ્કેલ, સ્પીડ, ઝીલનો ઉપયોગ કરતા શીખવું પડશે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યના શ્રમ વિભાગ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટના ક્ષેત્રે નવા નિગમની રચના કરવામાં આવશે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિવેકાનંદની 150મી જન્મજયંતિ ચાલી રહી છે ત્યારે તેમના સપનાં સાકાર કરવામાં સમગ્ર ભારતમાંથી ગુજરાતે સૌથી સારું કાર્ય કર્યું છે. જે રમે છે તે ખીલે છે. રમનાર ખીલે છે. રમનારી દરેક વ્યક્તિ ખેલાડી બને એવું નથી પણ તેનાથી રમનારી વ્યક્તિમાં ખેલદિલીની ભાવના જન્મે છે. તેના કારણે એક બીજા પર ભરોસો આવે છે. આ ભરોસો સમાજ માટે લુબ્રિકેટનું કામ કરે છે. જેના કારણે સમાજની આંતરિક શક્તિ વધે છે.
આ પ્રસંગે તેમણે ખાનગી ક્ષેત્રે રોજગાર નિમણૂંક પત્રનું વિતરણ કર્યું હતું. યુવા કેન્દ્રેને રમત ગમતના સાધનોની કિટનું વિતરણ કર્યું હતું.