મુંબઈમાં ઝાડના કપાત પર નિયંત્રણ, બુલેટ ટ્રેન માટે હજારો ઝાડ માટે મૌન
મુંબઈની આરે કોલોનીમાાં વૃક્ષોના કપાત પર સુપ્રિમ કોર્ટે સોમવારે તત્કાળ રોક લગાવી દીધી. સાથે જ કહ્યુ કે વૃક્ષ કપાતનો વિરોધ કરનારા તમામ પ્રદર્શનકારીઓને તત્કાળ છોડી દેવામાં આવે.
મુંબઈની આરે કોલોનીમાાં વૃક્ષોના કપાત પર સુપ્રિમ કોર્ટે સોમવારે તત્કાળ રોક લગાવી દીધી. સાથે જ કહ્યુ કે વૃક્ષ કપાતનો વિરોધ કરનારા તમામ પ્રદર્શનકારીઓને તત્કાળ છોડી દેવામાં આવે. આ મામલે હવે 21 ઓક્ટોબરના રોજ સુનાવણી થશે. ત્યાં સુધી કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો છે. જો કે આરેમાં આશરે 2700 વૃક્ષો કપાયા તે પહેલા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના રૂટમાં પણ હાજરો વૃક્ષો કાપવામાં આવ્યા હતા. ત્યારે રોક લાગી શકી ન્હોતી. અત્યારે પણ મહારાષ્ટ્ર-ગુજરાત બંને રાજ્યોમાં હજારો વૃક્ષોની બલી ચઢી ચૂકી છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ(NHSRCL)નું કહેવું છે કે આશરે 25 હજારથી વધુ વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરશે. જ્યારે બુલેટ ટ્રેનના રૂટમાં આવનારા 60 હજાર વૃક્ષોને હટાવવામાં આવશે. આ વૃક્ષ કપાતનો પૂરજોર વિરોધ થઈ શક્યો નથી.
એમએમઆરસી-એમસીજીએમથી વધુ એનએચએસઆરસીએલ કપાવી રહ્યુ છે વૃક્ષો
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મેન્ગ્રોવ વનની પણ બલી ચઢી શકે છે. કારણ કે હાઈકોર્ટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડને રોકી નથી. એનએચએસઆરસીએલનું કહેવું છે કે એક વૃક્ષની જગ્યાએ 10 વૃક્ષો લગાડાશે. જો કે આ નિયમનું યોગ્ય પાલન નથી થઈ રહ્યુ. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે હજારો વૃક્ષોને કાપી દેવાયા હતા. બંને પરિયોજના માટે પુનઃવૃક્ષારોપણ પરવાનો અપાયો નથી. ઉલ્ટાનું બુલેટ ટ્રેન માટે હજારો વૃક્ષોને કાપી દેવાની અનુમતિ આપી દેવાઈ.
ગેરકાયદેસર વસાહતોની બલી કેમ લેવાતી નથી?
બુલેટ ટ્રેન માટે મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં 20,000 થી વધુ મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ થવાની શક્યતા છે. ઘણા પર્યાવરણવિદો કહે છે કે શહેરોમાં આવેલી ગેરકાયદેસર વસાહતો આવા પ્રોજેક્ટ્સની બલી કેમ ચઢતી નથી જ્યારે વૃક્ષોને કાપવાથી પ્રકૃતિને ઝડપથી નુકસાન થાય છે.
અમદાવાદ મેટ્રો રેલ માટે 2200 પાનખર વૃક્ષોનું નિકંદન
બુલેટ ટ્રેન અને મુંબઇ મેટ્રો પ્રોજેક્ટ્સમાં પર્યાવરણવિદ્દોના વિરોધને ડામવાના પ્રયાસો થઈ રહ્યા છે. બુલેટ ટ્રેન ઉપરાંત અમદાવાદ મેટ્રો રેલ માટે લગભગ 2200 પાનખર વૃક્ષો કાપવામાં આવ્યા છે. મેટ્રો રેલના બીજા તબક્કામાં, ગાંધીનગરમાં 3000 થી વધુ વૃક્ષો છે, જેને હવે કાપવાની મંજૂરી આપવામાં આવશે.
ગુજરાત-મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 80,437 વૃક્ષ કપાશે
માહિતી અધિકાર અધિનિયમ હેઠળ આંદોલન કાર્યકરો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં બુલેટ ટ્રેન માટે કુલ 80,437 વૃક્ષોનું એક સાથે નિકંદન કાઢી દેવામાં આવશે. ગુજરાતમાં મહત્તમ સંખ્યામાં વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, બીએમસીએ મુંબઈ મેટ્રો કારશેડના નિર્માણ માટે 2700 થી વધુ વૃક્ષો હટાવવા કહ્યું હતું. ઘણાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક રોક લગાવી.
બુલેટ ટ્રેનના રૂટ માટે આટલા વૃક્ષો કાપવામાં આવશે
બુલેટ ટ્રેન માટે દક્ષિણ ગુજરાતના વલસાડમાં 12,248 વૃક્ષોનો નાશ કરવામાં આવશે. મહારાષ્ટ્રના પાલઘરમાં લગભગ 17,748 મેન્ગ્રોવ વૃક્ષોનો કાપવાના છે. જ્યારે અમદાવાદથી મુંબઇ સુધીના 505 કિલોમીટરના માર્ગ ઉપર પણ લગભગ 26,980 ફળોના ઝાડનું નિકંદન કાઢી દેવાશે. બુલેટ ટ્રેન ટ્રેક માટે કુલ 1691.20 હેક્ટર જમીન અધિગ્રહણ કરવામાં આવી રહ્યુ છે.
અમદાવાદ મેટ્રો માટે કેટલા નવા વૃક્ષો વાવવામાં આવ્યા તે અંગે જણાવાયુ નથી
મુંબઈ મેટ્રો પહેલા અમદાવાદ મેટ્રો માટે કાપેલા વૃક્ષો સામે કેટલા નવા વૃક્ષો વાવવામાં આવ્યા તે અંગે ઓથોરીટી તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી. આ જ રીતે, મુંબઇ મેટ્રો માટે કેટલા વૃક્ષો વાવવામાં આવશે તેની પણ કોઈ માહિતી નથી. કડવું સત્ય તો એ છે કે સરકારી અધિકારીઓ ઝાડ હટાવવાની વાતે કંઈ કહેવા તૈયાર નથી.
પંચામૃત ભવનના વિરોધમાં સરકારે પાછળ હટવું પડ્યુ
ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીએ પંચામૃત ભવન બનાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ ભવન બનતા પહેલા તેઓ મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી બની ગયા. ત્યાર બાદ આનંદીબેન પટેલની સરકારે આ ભવનની કામગીરીને ચાલુ રાખી. જેમાં ગાંધીનગરના પર્યાવરણવિદોના વિરોધનો સામનો કરવો પડ્યો. જ્યાં આ પંચામૃત ભવન બનવાનું હતુ તે જગ્યાએ 20,000થી વધુ વૃક્ષો હતા. વિરોધને કારણે ગુજરાતની હાલ રૂપાણી સરકાર ભવન-નિર્માણને લઈ કોઈ નિર્ણય લઈ શકી નથી. સચિવાલય સાથે જોડાયેલા સુત્રોનું કહેવું છે કે હવે પંચામૃત ભવન બનાવવા માટે જગ્યા બદલાશે. એવી જગ્યા પસંદ કરાશે, જ્યાં ઓછા વૃક્ષો હશે. જો આ રીતે વૃક્ષોના કપાત સામે પૂરજોરમાં વિરોધ થતો રહ્યો તો મોટાપાયે વૃક્ષોનું નિકંદન કાઢતા રોકી શકાશે.
આ પણ વાંચો: NHSRCL: બુલેટ ટ્રેનના રૂટમાં આવતા 1 વૃક્ષ કપાત સામે 10 વૃક્ષો ઉગાડાશે