વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013 વિકાસનો કુંભ મેળો છે : નરેન્દ્ર મોદી
ગાંધીનગર, 8 જાન્યુઆરી : ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે ભારતના સૌથી મોટા ટ્રેડ શો 'ગ્લોબલ ટ્રેડ શો'નું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ એક્ઝિબિટર્સ કેટલોગનું વિમોચન પણ કર્યું હતું. આ કેટલોગના 348 પાનામાં ભાગ લેનારા તમામ એક્ઝિબિટર્સ, તેમની પ્રોડક્ટ્સ અંગેના રાઇટ-અપનો સમાવેશ થાય છે. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ને સાબરમતીને કિનારે લાગેલા વિકાસના કુંભ મેળા તરીકે લેખાવ્યો હતો.
આ પ્રસંગે સંબોધન કરતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે "વર્ષ 2003થી અમે વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટને પ્રદર્શનને આગળ લઇ જવા માટે સત સુધારા વધારા કરતા રહ્યા. અનેક પ્રશ્નો અને જિજ્ઞાસા વચ્ચે આ યાત્રાનો અમે પ્રારંભ કર્યો હતો. વર્ષ 2003માં પાલડી ખાતે આવેલા ટાગોર હોલમાં નાનકડું પ્રદર્શન યોજ્યું હતું જેને જોતા માત્ર 15 મીનિટ લાગતી હતી. આજે અમે ક્યાં પહોંચી ગયા છીએ. આ સફળતા સતત મંથનનું પરિણામ છે. આજે ગુજરાતમાં આવવાનું ચૂકાઇ ન જાય તે માટે સૌ ધ્યાન રાખે છે."
વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ જુઓ તસવીરોમાં. ક્લિક કરો અહીં.
એક સમય એવો હતો જ્યારે ટ્રેડ શો માત્ર દિલ્હીમાં યોજાતા હતા. ગુજરાતે જે પ્રયાસો કર્યા છે તે માત્ર ગુજરાત સુધી સીમિત રહેવાને બદલે ગુજરાતના અન્ય રાજ્યો માટે પ્રેરણાસ્રોત બન્યાં છે. તેઓ વેપારને આકર્ષવા માટે પોતાની રીતે પ્રયાસો કરે છે. ગુજરાતનો પ્રયાસ ટ્રેન્ડ સેટર બન્યો છે.
આપણે કોઇ કંપનીનું બ્રોશર જોઇએ, તેના વિશે સાંભળીએ તેના કરતા આ પ્રકારના ટ્રેડ ફેરમાં તે કંપનીઓની હાજરીનો પ્રભાવ જુદો હોય છે. કોઇ કંપની ખરીદવા ઇચ્છે છે, કોઇ વેચાણ કરવા ઇચ્છે છે, કોઇ જ્ઞાન મેળવવા ઇચ્છે છે. એક જ સ્થળે બધી જ સુવિધાઓ ટ્રેડ ફેર પૂરી પાડી શકે છે. અમારા બધા જ ટ્રેડ ફેર વેપાર માટે કેટલિક એજન્ટ તરીકે આગળ આવ્યા છે. તેમાં લાંબાગાળાની ભાગીદારી થાય છે.
અમે કૃષિમેળા યોજ્યા જેમાં નવી ટેકનોલોજીને જાણવા માટે ખેડૂતોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. આ કારણે અમે નક્કી કર્યું કે દર બે વર્ષે એગ્રોટેક મેળો યોજવો. પાછલા વર્ષે યોજેલા એગ્રોટેકમાં અમને ખૂબ લાભ થયો છે. ભારતના મોટાભાગના રાજ્યો આ સમિટમાં જોડાઇ છે. આનાથી એક લાભ એ પણ થાય છે કે આજની યુવા પેઢી તેને જોવા આવે છે, નવું જાણે છે, સમજે છે અને નવું કરવાની દિશામાં વિચારે છે. નવી પેઢી માટે આ પ્રકારના પ્રયાસ ઉપકારક હોય છે.
અમારું માનવું છે કે આ ટ્રેડ ફેરને માત્ર રૂપિયાની દ્રષ્ટિએ જોવામાં ના આવે. તે જ્ઞાન મેળવવાના સાધન તરીકે આગળ આવે જેથી યુવાનોને વિઝન મળે. તેમના વિચારોને વિસ્તાર મળે. તેઓ જે અભ્યાસ કરે છે તેને પ્રેક્ટિકલ સ્વરૂપે જોઇ શકે છે. યુવાનો જેટલી મોટી સંખ્યામાં તેને નિહાળશે તેને વધારે એક્સપોઝર મળશે. તેમને એક જ જગ્યાએ વર્ષભરનું જ્ઞાન મળે છે. આપણી ભાવિ પેઢીને નવી પ્રેરણા આપવા માટે ટ્રેડ ફેર લાંબાગાળાનો લાભ આપે છે.
આ વખતે વેપાર સાથે સંકળાયેલી મહિલાઓની અરજીને ધ્યાનમાં રાખીને તેમના માટે અલાયદો વિભાગ રાખ્યો છે. અમે મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. વિકાસ યાત્રામાં બધાની સમાન સહભાગીતાનો પ્રયાસ અમે કર્યો છે.
નાગરિકોને મારી અપીલ છે કે આપણા ઘર પાસે ગંગા આવી છે. ત્યારે અહીંની મુલાકાત લે. પ્રયાગમાં ગંગા કિનારે આધ્યાત્મિક કુંભ મેળો છે. ગાંધીનગરમાં સાબરમતીને કિનારે વિકાસનો કુંભ મેળો લાગ્યો છે. તેનો લાભ લઇને સૌ કોઇ તેમાં પાવન થાય. આ સ્વર્ણિમ અક્ષરે લખાશે. અમે અગાઉ જે ટ્રેડ ફેરનું ઉદઘાટન કરતા ત્યારે 300-400 લોકો હાજર રહેતા. આજે આટલા મોટા હોલમાં બેસવાની જગ્યા નથી.
સામાન્ય વ્યક્તિને આશ્વાસન મળે છે કે મારા માટે અહીં કશુંક ઉપયોગી છે. આ અમારા માટે મોટી સિધ્ધિ છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા સૌને અભિનંદન પાઠવું છું અને તેમનો આભાર માનું છું.
ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન અને નરેન્દ્ર મોદીનું સંબોધન નિહાળો અહીં...