ખુશીઓ ઝાડ પર ઉગતી હોત તો કેવું સારું..!
દિવાળી એ પ્રકાશનો પર્વ છે અને દરેક હિન્દુ ધર્મના લોકો માટે દર વર્ષે અનેરી ખુશીઓ લઇને આવે છે. કહેવાય છે કે ભારતીયો ઉત્સવપ્રીય પ્રજા છે અને તેઓ દરેક તહેવારોને યથાશક્તિ પ્રમાણે ઉજવી જાણે છે. પરંતુ જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ સામાન્ય માણસ માટે ખુશીઓનો જથ્થો વધુને વધુ મોંધો બનતો જઇ રહ્યો છે.
ભારતને તહેવારોનો દેશ કહેવામાં આવે છે. પરંતુ મજાની વાત એ છે કે અહિંના માણસોને ઉજવવા માટે તહેવારો મફત મળી ગયા છે પરંતુ તેને તેમાં ખુશીઓના રંગ ભરવા માટેની પિચકારી જાણે ધીરે ધીરે છીનવાતી જઇ રહી હોય તેવું જણાઇ રહ્યું છે અને આ ખુશીઓ છીનવી લેતા રાક્ષસનું નામ છે મોંઘવારી...!
ગણેશ ચતૂર્થી, નવરાત્રી, દશેરા, દિવાળી, ઉત્તરાયણ વગેરે વગેરે તહેવારો એક પછી એક આવતા જ રહે છે. પરંતુ ઉત્સવોમાં સામાન્ય માણસ હવે પહેલાની તુલનાએ ઝંપલાવી શકતો નથી કારણ કે દિવસેને દિવસે મોંઘવારી માઝા મૂકી રહી છે. ખાણી-પીણીથી લઇને મોજશોખના દરેક સાધનોના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. જેને પહોંચી વળવા સામાન્ય માણસ પાંગળો બનતો જાય છે.
એવું કહેવામાં કોઇ બે મત નથી કે ખુશીઓનો જથ્થો માર્કેટમાં તો છે પરંતું તેને ખરીદીને ઘરે લઇ આવવાની ત્રેવડ હવે સામાન્ય વ્યક્તિ પાસે નથી રહી. દિવાળીનો પર્વ હોવાથી તેને અનુલક્ષીને વાત કરીએ તો દૂધના ભાવ લીટરે 32થી 36 રૂપિયા થઇ ગયા છે જેના કારણે દૂધમાંથી બનતી બનાવટો, મીઠાઇયોના ભાવ પણ ઉચકાયા છે.
ફટાકડાનું તો કહેવું જ શું? તેના ભાવ સાંભળીને તો દિવાળી કરવાનું જ મન ના થાય. પહેલા 2000થી 5000 હજારમાં દારૂખાનું આવી જતુ અને એ પણ દેવ દિવાળી સુધી ચાલતું પરતું હવે કોઠીના એક પેકેટના 80 રૂપિયા, સાદા તારામંડળના એક સિંગલ પેકેટના 20 રૂપિયા થઇ ગયા છે. તો પછી અન્ય હાઇફાઇ વેરાઇટીના તો ભાવ જ શું પૂછવાનો? અને એમાં પણ ચાઇના બનાવટના ફટાકડા અને પિસ્તોલોનું ભારતીય બજાર પર રાજ થઇ ગયું છે.
આખું વરસ ગેસ, તેલ, પેટ્રોલ, ડિઝલ, ઇલેક્ટ્રીસીટીના ભાવવધારાના મારથી અધમૂવો બની ચૂકેલો સામાન્ય માણસ વરસને અંતે દિવાળી પર્વની ઉજવણી કેવી રીતે કરી શકે. આ પરિસ્થિતિમાં દરેક માણસને એક સામાન્ય વિચાર જરૂર આવે કે 'કાશ ખુશીઓ ઝાડ પર ઉગતી હોત તો કેવું સારું..!'