વલસાડમાં 700 જેટલા લોકોએ કર્યું ધર્મપરિવર્તન
છેલ્લા ઘણા સમયથી ધર્માંતરણનો મૂદ્દો દેશની રાજનીતિમાં છવાયો છે. ધર્માંતરણનો મુદ્દો ભાજપના ગળાની ફાંસ બની ગયો છે, જેને તે બહાર કાઢી પણ નથી શકતી અને ઓકી પણ નથી શકતી. રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ આખા દેશમાં લઘુમતી કોમના લોકોને હિન્દુ ધર્મ અંગીકાર કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. જેના કારણે છેલ્લા ઘણાય દિવસોથી સંસદના બંને ગૃહોની કાર્યવાહી બાધિત થઇ છે.
જોકે આ બધાની વચ્ચે ગુજરાતના વલસાડ જિલ્લાના એક ગામમાં 700 જેટલા લોકોએ ધર્માંતરણ કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. દેશની રાજનીતિમાં ધર્માંતરણના મુદ્દે ધમાલ ચાલતી હોવા છતા શનિવારે વિશ્વ હિન્દુ પરિષદે ધરમપુર તાલુકાના અરણાઇ ગામે 'હિન્દુ સંસ્કૃતિ દિક્ષા' કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે કપરાડા અને ધરમપુર તાલુકાના 200 જેટલા પરિવારોના લગભગ 700 જેટલા સભ્યોને ધર્માંતરણ કરીને પાછા ઘરે લાવવાની નેમ અપનાવી હતી.
ધર્મ પ્રસાર, દક્ષિણ ગુજરાત પ્રાંતના સંયોજક ધર્મેન્દ્રસિંહ યાદવે કહ્યું કે, કપરાડા અને ધરમપુર તાલુકામાં 70થી 80 ટકા ઇસાઇકરણ થયું છે. તમામ ફરી હિન્દુ ધર્મમાં લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. એક વર્ષમાં 60 હજાર લોકોને સ્વધર્મમાં લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય વાત એ છે કે વિકાસના નામે વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીની હાલત હાલમાં સૂડી વચ્ચે સોપારી સમાન થઇ છે. નરેન્દ્ર મોદીની ઉપર એક તરફ દેશની જનતા છે જ્યારે બીજી તરફ સંઘ અને વિહિપના આગેવાનો છે, જેઓ કટ્ટર હિન્દુવાદી માનસિકતા ધરાવે છે. જોકે નરેન્દ્ર મોદીએ આ સંગઠનોને એવી પણ ચીમકી આપી દીધી છે કે મને દેશના વિકાસ માટે સ્વતંત્ર રીતે કાર્ય કરવા દેવામાં આવે અથવા તો હું મારા હોદ્દા પરથી રાજીનામું આપી દઇશ. હવે સવાલ એ પેદા થાય છે કે શું નરેન્દ્ર મોદીની આવી ધમકી બાદ સાંસદો અને ધારાસભ્યો પોતાની જીબ પર કાબુ મેળવી શકશે? શું ભાજપ સમર્થક હિન્દુત્વવાદી સંગઠનો મોદીની વાત માનશે કે પછી તેઓ પોતાની વાત પર અડગ રહેશે. અથવા તો આ ધર્માંતરણની આ સુનામી શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામા બાદ જ થંભશે?