દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોગા પ્રોટોકોલ વર્કશોપ યોજાયો
બનાસકાંઠાના સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી કલ્યાણ વિભાગ અને કોલેજ ઓફ બેઝિક સાયન્સ ઍન્ડ હ્યુમાનીટીઝના રાષ્ટ્રીય યોજનાના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'ફીટ ઇન્ડિયા' ચળવળનો યુવાન વિદ્યાર્થીઓમાં વ્યાપ વધારવાના હેતુથી એક દિવસીય "કોમન યોગા પ્રોટોકોલ" પર યોગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સરદારકૃષિનગર ખાતેની વિવિધ વિદ્યાલયના કુલ-૮૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ યોગા કાર્યક્રમની શરૂઆતમાં યુનિવર્સિટીના કુલસચિવ પ્રો. જે.આર.વડોદરીયાએ વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવી શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓને "૩ સ્ટેપ રિધમિક બ્રીધિંગ" ની સમજણ આપી આ પદ્ધતિથી લયબદ્ધ શ્વાસોશ્વાસ શિખવાડી તેનાથી થતાં ફાયદાઓ વિશે સમજણ આપી હતી. આધુનિક સમયમાં કેવી રીતે યૌગિક જીવન જીવી શકીએ તેનાં પર ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ યોગાસનનું નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું અને તેમના યોગકૌશલે વિદ્યાર્થીઓને યોગાભ્યાસ શરૂ કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. તેમના વ્યાખ્યાનમાં યોગ, આત્મા, શરીર, ઇન્દ્રિયો અને અન્ય આધિભૌતિક આયામો પર અસરકારક રજૂઆત કરી હતી.
વિદ્યાર્થી કલ્યાણ નિયામકશ્રી ડૉ. કે.પી.ઠાકર અને બેઝિક સાયન્સ એન્ડ હ્યુમાનીટીઝ મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. વી. એચ. કણબીના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડૉ. વિશ્વાસ જોશી અને જે.એસ.પટેલે કર્યું હતુ. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર.એમ.ચૌહાણે સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ નિયામક વિદ્યાર્થી કલ્યાણ વિભાગ તેમજ બેઝિક સાયન્સ એન્ડ હ્યુમાનીટીઝ મહાવિદ્યાલયને અભિનંદન પાઠવ્યા હતા.